Home Blog Page 118

ભાજપે પહેલેથી જ કોંગ્રેસ, ‘આપ’ને મરણપથારીએ પહોંચાડી દીધા હતા, હવે લડવાવાળુ કોઈ બાકી રહ્યું નથી

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા એ દિવસે જ ‘કોંગ્રેસમુક્ત ભારત’નો નારો આપી દીધો હતો અને લોકોની નજર સામે કોંગ્રેસ સાફ થઈ ગઈ
  • સ્થાનિક સ્વરાજ્યની મેગા ચૂંટણી છતાં કોંગ્રેસને ઉમેદવારો મળ્યા નહીં અને જે મળ્યા એમાંથી ઘણા બેસી ગયા, ઘણાએ ઉમેદવારી નોંધાવીને ફોર્મ પાછાં ખેંચી લીધાં હતાં!
  • જાહેરમાં માતાના દૂધના સોંગદખાનારા ‘આપ’ના અનેક ઊભરતા નેતાઓ ભાજપમાં આવી ગયા હતા, છેલ્લે ખમતીધર અને ઝનૂની ગણાતા ખેડૂત નેતા રાજુ કપરાડાએ પણ ભાજપનો કેસરિયો પહેરી લેતા ‘આપ’માં શૂન્યાવકાશ સર્જાયો હતો
  • પાટીદાર આંદોલનના બીજા સ્વરૂપમાં ગુજરાતમાં ઊભરી રહેલી ‘આમ આદમી પાર્ટી’ની ઘણા સમય પહેલાં ભાજપે આયોજનબદ્ધ હવા કાઢી નાંખી હતી
  • વીતેલા વર્ષોમાં સી.આર. પાટીલે ‘આપ’ના ઘણા યુવા ચહેરાઓના ગળામાં ભાજપની કંઠી બાંધીને ‘આપ’ની છાવણી ખાલી કરવાનું કામ કર્યું હતું, હવે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ‘આપ’ના બહુ બોલકા નેતાઓ સાથે બાથ ભીડીને બાકીનું કામ પૂરું કરી દેશે; હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા, રાજુ કરપડા જેવા ઘણા ચહેરા ‘આપ’ છોડીને ભાજપમાં આવી ગયા; હવે જાહેરમંચ ઉપરથી પડકાર ફેંકી શકે એવું ‘આપ’ પાસે કોઈ રહ્યું નથી

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની એટલે કે મહાપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ છેક છેવાડાના ગામડાંઓને સ્પર્શતી હોવા છતાં રાજકીય ગરમાટો આવતો નથી. મહાનગરો અને નગરપાલિકાઓમાં ચૂંટણી હોય એવા માહોલનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ કોઈક અકળ કારણોસર રાજકીય પક્ષોના ટોચના ચહેરાઓ ચૂંટણીપ્રચારથી અલિપ્‍ત છે અથવા તો દૂર ભાગી રહ્યા છે. ખરેખર જોવા જઈએ તો સ્થાનિક ચૂંટણીઓનું મહત્ત્વ વધી જાય છે. હજારો ઉમેદવારો જ્યારે ચૂંટણીના મેદાનમાં હોય ત્યારે સ્વાભાવિક રાજ્યના પ્રત્યેક નાગરિક સુધી રાજકીય અસરો પહોંચવાની જ; પરંતુ આ વખતની ચૂંટણીમાં આમાનું કંઈ જ નથી. જાણે લોકોને ચૂંટણીમાં રસ નથી.

આમ થવા પાછળ એટલું ચોક્કસ માની શકાય કે વર્ષો સુધી શાસન કરનાર રાષ્ટ્રીય પક્ષ કોંગ્રેસનું ગુજરાતનું નેતૃત્વ લગભગ મરી પરવાર્યું છે. હજુ પણ ઘણા લોકો એવા છે કે, જે કોંગ્રેસની વિચારધારાને માને છે અને કોંગ્રેસનો ઉમેદવાર જીતે કે ન જીતે તોપણ કોંગ્રેસને મત આપતા આવ્યા છે. પરંતુ સામે પક્ષે કોંગ્રેસની નેતાગીરી પરવારી ચૂકી છે. જાણે કોંગ્રેસની આખી જમાતને ઊધઈનો ભરડો લાગી ગયો છે. આમ થવા પાછળ બીજું કોઈ નહીં, પરંતુ ખુદ કોંગ્રેસનું નેતૃત્વ જવાબદાર છે. બદલાતી પેઢી, બદલાતા સંજોગો અને લોકોની બદલાતી માનસિકતાની કોંગ્રેસ નેતાગીરીએ ક્યારેય પણ પરવા કરી નહોતી. ફળશ્રુતિરૂપે કોંગ્રેસ હવે ખોખલી થઈ ચૂકી હોવાથી લોકોની નજરમાંથી કોંગ્રેસનો ચહેરો ક્રમશઃ ભુંસાઈ રહ્યો છે. કદાચ એવું પણ બને કે આવનારી પેઢી કોંગ્રેસને ઓળખતી પણ નહીં હોય. કદાચ ઇતિહાસમાં ભણાવાતું હશે કે કોંગ્રેસ નામનો એક પક્ષ હતો.

દૂર જવાની જરૂર નથી. આ વખતની સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસને ઉમેદવાર તરીકે ઊભા રાખવા ચહેરા પણ મળતા નહોતા અને એટલે છેલ્લી ઘડી સુધી ઉમેદવારોની યાદી પણ જાહેર કરી શકાય નહોતી. આનાથી પણ આગળ કોંગ્રેસે જાહેર કરેલા ઉમેદવારો પણ પાણીમાં બેસી ગયા હતા. ઘણા લોકોએ તો ઉમેદવારી કર્યા પછી ફોર્મ પરત ખેંચી લીધાં હતાં! બલ્કે કોંગ્રેસ કરતા ‘આપ’વાળા વધુ મજબૂત નીકળ્યા હતા. પરંતુ આ વખતે ‘આપ’વાળા માટે ‘ખાટલે મોટી ખોડ’ છે કે આપ પાસે એક પણ મજબૂત નેતા રહ્યો નથી. ચૂંટણી પૂર્વે જ સુરતમાં મજબૂત ગણાતા અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા જેવા યુવા અને ખમતીધર નેતાઓએ ‘આપ’ને રામ-રામ કરીને ભાજપની કંઠી પહેરી લીધી હોવાથી ભાજપના પ્રચાર સામે જડબાતોડ જવાબ આપી શકે એવો એક પણ નેતા ‘આપ’ પાસે બચ્યો નથી. સુરત મનપાની ગત ચૂંટણીમાં ‘આપ’ના ૨૭ કોર્પોરેટરો ચૂંટાયા હતા, પરંતુ આમાથી દસે ભાજપની વાટ પકડી લીધી હતી.

ગત ચૂંટણી વખતે સી.આર. પાટીલ ભાજપના પ્રદેશપ્રમુખ હતા અને તેમણે આમ આદમી પાર્ટીની કમ્મર તોડવામાં કંઈ બાકી રાખ્યું નહોતું. આ વખતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટી સાથે સીધી જ બાથ ભીડી છે અને જેવા સાથે તેવો જડબાતોડ જવાબ આપી રહ્યા છે અને ‘આપ’ પ્રભાવિત વિસ્તારોમાં ભાજપનો પ્રભાવક પ્રચાર કરી રહ્યા છે. હર્ષ સંઘવી યુવાન છે. ચૂંટણી જંગ જીતવાનું ઝનૂન પણ છે. વળી ભાજપે પણ હર્ષ સંઘવીને ચૂંટણીના મેદાનમાં ઉતારીને ‘આપ’ને પરાસ્ત કરવાનું બીડું સોંપ્યું છે.સામે પક્ષે ‘આપ’ના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા મેદાનમાં છે. ગોપાલ ઈટાલિયા ભૂતપૂર્વ પોલીસમેન તેમજ સરકારી ક્લાર્ક તરીકેનો અનુભવ ધરાવે છે અને હવે એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા છે. મતલબ કાયદાના અને સરકારની રાજરમતના માહિતગાર છે. પરંતુ પાર્ટીના નેતૃત્વના સબળ પીઠબળના અભાવે ગોપાલ ઈટાલિયા ચૂંટણીનો આખો ભાર પોતાના ખભે લઈને ચાલી રહ્યા હોય એવું લાગી રહ્યું છે.

ગોપાલ ઈટાલિયાની ભાષા વાગી પડે એવી છે. પોતે કાયદાનો જાણકાર છે એટલે મર્યાદા નહીં ઓળંગે. પરંતુ ખાસ કરીને હર્ષ સંઘવી માટે કરવામાં આવતા શબ્દપ્રયોગ એક રાજનેતાને છાજે એવા નથી. ભૂતકાળમાં હાર્દિક પટેલ, ધાર્મિક માલવિયા, અલ્પેશ કથીરિયા જ્યારે પાટીદાર અનામત આંદોલન ‘પાસ’ના લડાયક ચહેરા હતા ત્યારે વાતવાતમાં ‘છઠ્ઠીનું ધાવણ’ યાદ કરાવી દેવાની ધમકીઓ આપતા ફરતા હતા. પરંતુ રાજકીય લડાઈને જનેતાના છઠ્ઠીના ધાવણને શું લેવા-દેવા છે? અને તેમ છતાં આ બહુ બોલકા યુવા નેતાઓ વાતવાતમાં ‘છઠ્ઠીના ધાવણ’ની વાત કરીને પડકાર ફેંકતા હતા અને લોકો પણ તળપદી ભાષાના પ્રયોગથી અંજાઈને આ યુવા નેતાઓની પાછળ દોટ મૂકતા હતા. પરંતુ પરિણામ શું આવ્યું કહેવાની જરૂર નથી.

ભાજપ અને કોંગ્રેસ નેતાગીરીને પેટ ભરીને ગાળો ભાંડનારા આ એના એ જ લોકો કોંગ્રેસ અને ભાજપમાં ભરાઈ ચૂક્યા છે. હાર્દિક પટેલ કોંગ્રેસમાંથી ચૂંટાયો હતો અને હવે પક્ષપલટો કરીને ભાજપની છાવણીમાં ભરાઈ ગયો છે. હાર્દિક જેવા ઘણા યુવા ચહેરાઓ પાટીદાર અનામત આંદોલનને કારણે પેદા થયા હતા. પરંતુ આ યુવા ચહેરાઓને એ ખબર નહોતી કે તેમના ઝનૂનને કોણ વાપરી રહ્યું છે!

પાટીદાર અનામતનો પ્રશ્ન હતો જ કારણ કે, સામાન્ય વર્ગમાં આવતા પાટીદાર સમાજના સંતાનોને પૂરતા પ્રમાણમાં ટકાવારી હોવા છતાં મેડિકલ, ઈજનેરી કોલેજોમાં એડમિશન મળતા નહોતા. આ જ કારણોસર પાટીદાર યુવાનોને ‘અનામત’ના ચશ્માં પહેરાવી દેવાયાં હતાં. પરંતુ હકીકતમાં ખુદ ભાજપના અસંતુષ્ટ નેતાઓ એક કાંકરે બે પક્ષી મારવા માંગતા હતા. ખુદ ભાજપના અસંતુષ્ટ નેતાઓના મનમાં મુખ્યમંત્રી બનવાની ઇચ્છા હતી અને તેઓ યેનકેન પ્રકારે આનંદીબેન પટેલને ઉથલાવવા માંગતા હતા. આ કામ પાટીદાર અનામત આંદોલનની આડમાં પાર પાડવામાં સફળતા મળી હતી અને આનંદીબેન શાસનનો ‘કસમયે’ અંત આવ્યો હતો.

ખેર, ભાજપની આંતરિક લડાઈની પરાકાષ્‍ઠાની ઘણી બધી વાર્તાઓ છે. પરંતુ પાટીદાર આંદોલનને કારણે હાર્દિક, અલ્પેશ, ધાર્મિક જેવા ઘણા ચહેરાઓ સાંપ્રત રાજકારણમાં આવી ગયા હતા અને મંત્રી બનવાની ઇચ્છાઓ પ્રબળ બની હતી. સૌપ્રથમ હાર્દિક પટેલે કોંગ્રેસની કંઠી બાંધી હતી અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રચારકોમાં સ્થાન મેળવી લીધું હતું! ખરેખર હાર્દિકમાં કેટલું ‘હીર’ છે એ પરખવામાં કોંગ્રેસની નેતાગીરી નિષ્ફળ નીવડી હતી. કેન્દ્રીય નેતાગીરી કાગળના વાઘને અસલી વાઘ માની બેઠી હતી અને કનૈયાની હરોળનો નેતા બનાવી દીધો હતો. પરંતુ પોતાનું ‘હીર’ પુરવાર કરવામાં અલ્પજીવી નીવડેલો હાર્દિક ઉઘાડો પડી ગયો હતો. આ તરફ ‘રાજદ્રોહ’ સહિતના ગુનાઓનો સામનો કરી રહેલા હાર્દિકે ચુપચાપ ભાજપમાં જોડાવું વધુ મુના‌િસબ માન્યું હતું. આમ કરવાથી હાર્દિક ગુનાઓમાંથી દોષમુક્ત થઈ જવા સાથે શાસક પક્ષનો ધારાસભ્ય બની ગયો હતો. ભાજપની છાવણીમાં હાર્દિકનું હાલમાં કેટલું વર્ચસ્વ છે એ કહેવાની જરૂર નથી. પરંતુ ભાજપની છત્રછાયામાં નિરાંતના દિવસો પસાર કરી રહ્યો છે. મંત્રીપદુ મળે કે ન મળે, પરંતુ ભાજપનું ધારાસભ્યપદ મળવાથી સંતોષ માનવા સિવાય હાર્દિક માટે કોઈ કિનારો કે વિકલ્પ નથી.

ખેર, મૂળ વાત ઉપર આવીએ તો હાર્દિક પટેલ પછી પણ અનેક જાણીતા ચહેરાઓએ કોંગ્રેસ અને ‘આપ’નો સાથ છોડીને ભાજપનો ભગવો ધારણ કરી લીધો હતો. કોંગ્રેસને ધુરંધર અને ટોચના નેતા અર્જુન મોઢવડિયા, ચિરાગ પટેલ, અરવિંદ લાડાણી, ઈન્દ્રજીત ઠાકોર, કુંવરજી બાવળિયા, ડૉ.વિપુલ પટેલ, સી.જે. ચાવડા જેવા પક્ષના સર્વોપ‌િર નેતાઓએ રામ-રામ કરી ભાજપનો ભગવો પહેરી લીધો હતો. આમ કરવા પાછળ ઘસાતી જતી કોંગ્રેસ અને સત્તામાં રહેવાની લાલસાએ પક્ષાંતર કરવા મજબૂર કર્યા હતા. મતલબ રાજકીય પક્ષના મૂલ્યની અહીંયા કોઈ જ કિંમત નહોતી.

સામે પક્ષે કોંગ્રેસને નેસ્તનાબૂદ કરવાની ભાજપની યોજના લગભગ સફળ પુરવાર થતી આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા તે દિવસે તેમણે ‘કોંગ્રેસમુક્ત’ ભારતનો નારો આપ્યો હતો અને કોંગ્રેસને કોઈપણ ભોગે નૈતિક કે અનૈતિક રીતે પણ નેસ્તનાબૂદ કરવાનું મિશન હાથમાં લીધું હતું અને સફળતા મળી હતી.ગુજરાતની સ્થાનિક ચૂંટણીઓમાં આ વખતે ભાજપને કોંગ્રેસનો કોઈ જ ભય નથી. કારણ, કોંગ્રેસની નેતાગીરી જ નહીં, પરંતુ કોંગ્રેસને કમિટેડ ગણાતા મતદારોની વિચારધારા બદલવામાં ભાજપને ધારી સફળતા મળી છે. સાથે એક રાજકીય પક્ષ તરીકે કોઈ હરીફ પેદા થતો રોકવો એ પણ એટલું જ મહત્ત્વનું હોવાથી આ વખતની ચૂંટણીમાં ‘આમ આદમી પાર્ટી’નો સફાયો બોલાવવાનું ભાજપનું લક્ષ છે. ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટીના બહુ બોલકા ગણાતા અને લોકોના પ્રશ્નો લઈને ચાલતા યુવા ચહેરાઓને ભાજપે પહેલા પોતાના પક્ષમાં કરી લેવાની વ્યૂહરચના સફળતાપૂર્વક પાર પાડી છે.

સુરતના અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાને પક્ષમાં લઈ લીધા બાદ બોટાદની ખેતીવાડી માર્કેટના ‘કડદાકાંડ’માં ખેડૂતોનું જબરજસ્ત નેતૃત્વ કરનાર રાજુ કપરાડાને યેનકેન પ્રકારે ભાજપમાં સમાવી લેવા ઉપરાંત તાલુકા પંચાયતમાં ટિકિટ આપીને ભાજપે સૌરાષ્ટ્રમાં ઊભા થઈ રહેલા ‘આમ આદમી પાર્ટી’ના નેતૃત્વને શરૂઆતના તબક્કામાં જ ડામી દીધું હતું. વળી, રાજુ કપરાડાની ધરપકડ અને જેલવાસ દરમિયાન ‘આપ’ના રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલ અને ગુજરાત પ્રમુખ ઈસુદાન ગઢવી અસરકારક પુરવાર થયા નહોતા. આમ પણ ઈસુદાન ગઢવી પત્રકાર મટીને રાજકારણી બન્યા હોવાથી એક રીઢા રાજકારણી જેવી તેમની પાસે અપેક્ષા રાખી શકાય નહીં. એક પત્રકાર તરીકે રાજનેતાઓને સવાલ પુછનારને રાજનેતાની ખુરશીમાં બેસાડી દેવામાં આવે તો સ્વાભાવિક અપે‌િક્ષત પરિણામ મળી શકે નહીં.‘આપ’ની વર્તમાન હાલત જોવામાં આવે તો એકમાત્ર ગોપાલ ઈટાલિયા બોલકા નેતા ગણી શકાય. બીજા ચૈતર વસાવા છે, પરંતુ તેઓ માત્ર આ‌િદવાસીપટ્ટીમાં પ્રભાવ ઊભો કરી શકે. હમણાં થોડા દિવસ પહેલા જ ગોપાલ ઈટાલિયાએ માતાના ધાવણની વાત કરીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સામે પડકાર ફેંક્યો હતો અને તાકાત હોય તો ધરપકડ કરવાની વાત કરી હતી. સામે પક્ષે હર્ષ સંઘવીએ પણ પહેલા રીઢા ગુનેગારોને સાફ કર્યા. હવે રીઢા નેતાઓને સાફ કરવાની વાત કરીને વળતો પડકાર ફેંક્યો હતો.સરેરાશ જોવા જઈએ તો આ વખતની ચૂંટણીમાં તક હોવા છતાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગુમાવવાનું જ રહેશે. કારણ, બંને પક્ષોમાં મૂલ્યોનું ધોવાણ થવા સાથે કાયદાકીય સામનો કરવાનો ભય હોવાથી હજુ ઘણા નેતાઓ કોંગ્રેસ અને ‘આપ’ છોડીને ભાજપમાં જોડાઈ જશે અથવા રાજકારણનો રસ્તો ભૂલી જશે. કારણ, આ વખતે ચૂંટણી પહેલા જ ભાજપના સંખ્યાબંધ ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. આ ઘટનાઓ પુરવાર કરે છે કે, ભાજપની વ્યૂહરચના જ સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપને વિજય અપાવશે. પછી જીત પાછળના ગણિત ભલે ગમે તે હોય. ચૂંટણીના રાજકારણમાં જીત હાંસલ કરવી એજ સર્વોપરિ મુદ્દો છે.

સુરત NH-48 પર ભયાનક ટ્રિપલ અકસ્માત: કન્ટેનર ડિવાઈડર પાર કરી સામે ઘૂસ્યું, ડ્રાઈવરનું મોત

સુરત નેશનલ હાઈવે 48 પર સાવા બ્રિજ પાસે આજે એક હૃદયદ્રાવક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. એક કન્ટેનર ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં ઘૂસી જતાં સામેથી આવતા ટેલર અને લક્ઝરી બસ સાથે ધડાકાભેર અથડાયું હતું. આ ભયાનક અકસ્માતમાં ટેલર ચાલકનું કરૂણ મોત નીપજ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, નેશનલ હાઈવે 48 પર સાવા બ્રિજ પરથી પસાર થયેલા એક કન્ટેનર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કન્ટેનર ડિવાઈડર કૂદીને સામેના ટ્રેક પર આવી ગયું હતું. આ દરમિયાન સામેથી આવી રહેલા એક ટેલર સાથે તેની ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, ટેલરની પાછળ આવી રહેલી એક ખાનગી લક્ઝરી બસ પણ આ વાહનો સાથે અથડાઈ હતી.

આ ટ્રિપલ અકસ્માત એટલો ભયાનક હતો કે, ટેલરના કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કેબિનમાં ફસાયેલા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. બીજી તરફ, ખાનગી લક્ઝરી બસમાં સવાર મુસાફરોમાં પણ ચીસાચીસ મચી ગઈ હતી. કેટલાક મુસાફરોને પણ ઈજાઓ પહોંચી હતી, અકસ્માતમાં ઘાયલ થયેલા મુસાફરોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

હાઈવે પર વાહનોની લાંબી કતારો, પોલીસ કાફલો ઘટનાસ્થળે

અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સુરત જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે તાત્કાલિક ક્રેન મંગાવી અકસ્માતગ્રસ્ત વાહનોને રોડ પરથી દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. લાંબી જહેમત બાદ વાહનવ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

કેન્દ્રીય કર્મચારીના મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો : હવે 60% DA મળશે

0

આજે મળેલી કેન્દ્રીય કેબીનેટની બેઠકમાં કેન્દ્રના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કરાયો છે. જાન્યુ-જૂન-2026ના છ માસના ગાળા માટે હવે 60% મોંઘવારી ભથ્થુ મળશે.

એક તરફ કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચની રચના કરી છે જેનો અમલ 1 જાન્યુ. 2026થી જ થનાર છે પણ પંચનો અહેવાલ આવે અને તેના પર આખરી નિર્ણય લેવાય ત્યાં સુધી સાતમા પગારપંચની જે જોગવાઈઓ છે તે લાગુ રહેશે. જે મુજબ વર્ષમાં બે વખત કેન્દ્રના કર્મચારીઓના પગારમાં મોંઘવારી ભથ્થામાં ફેરફાર થાય છે.

જે હવે બેઝીક પગારના 58% મળતુ હતું તે વધીને 60% થઈ જશે. આગામી માસના પગારમાં તેની અસર અપાશે અને ત્રણ માસનું એરિયર્સ પણ ચુકવાય તેવી ધારણા છે. આજે મળેલી કેન્દ્રીય કેબીનેટે રૂા.13000 કરોડના મેરીટાઈમ સોવેર્જીયન ફંડને પણ મંજુરી આપી છે.

જેનો ઉપયોગ યુદ્ધ સહિતની કટોકટીના સમયમાં ભારતીય વ્યાપારી જહાજોને વધતા વિમા પ્રિમીયમમાં રાહત કરવામાં ખર્ચ કરાશે. જયારે પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજનામાં રૂા.3000 કરોડનું વધારાનું ભંડોળ આપવામાં આવ્યું છે.

જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર તીવ્ર ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 5.0ની તીવ્રતા

0

જમ્મુ-કાશ્મીરમાં શનિવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. કાશ્મીર ઘાટીના અનેક વિસ્તારોમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા, જેના કારણે લોકો સાવચેતીના ભાગરૂપે પોતાના ઘરો અને ઓફિસોમાંથી બહાર ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા.

નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના જણાવ્યા અનુસાર, શનિવારે સવારે આશરે 8:24 વાગ્યે આ આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.0 માપવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનના બદખ્શાન ક્ષેત્રના ઝાયબક પાસે જમીનથી 190 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું.

રાહતની વાત એ છે કે અત્યાર સુધી આ ભૂકંપને કારણે કોઈ જાનહાનિ કે મિલકતને નુકસાન થયાના સમાચાર મળ્યા નથી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આંચકા અનુભવાયા બાદ લોકો લાંબા સમય સુધી ઘરની બહાર ઉભા રહ્યા હતા અને સ્થિતિ સામાન્ય જણાયા બાદ જ ફરી ઘરમાં પ્રવેશ કર્યો હતો.

વડાપ્રધાન મોદી આજે રાત્રે 8:30 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે

0

ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાત્રે 8:30 વાગ્યે દેશને સંબોધન કરશે. આ સંબોધનમાં તેઓ ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાત કરશે તેવી સંભાવના છે, જેમાં મહિલાઓના આરક્ષણ જેવા મહત્વના વિષયનો પણ સમાવેશ થઈ શકે છે. સમગ્ર દેશની નજર આ સંબોધન પર કેન્દ્રિત છે.

સુરતના લીંબાયતમાં કોંગ્રેસની સભામાં ભાજપ કાર્યકર્તાનો હોબાળો, ‘જય શ્રી રામ’ના નારાથી વાતાવરણ ઉગ્ર બન્યું

સુરત મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવતા શહેરમાં રાજકીય ગરમાવો દિવસેને દિવસે વધી રહ્યો છે. ખાસ કરીને લિંબાયત વિસ્તારમાં પ્રચાર દરમિયાન એક હાઈવોલ્ટેજ વિવાદ સામે આવ્યો છે, જેને સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચાનો વિષય બનાવી દીધો છે.

માહિતી મુજબ, મદનપુરા વિસ્તારમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા શેરી મીટિંગ યોજાઈ હતી, જેમાં ઉમેદવારો મતદારોને પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા હતા.આ દરમિયાન અચાનક ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા ત્યાં પહોંચ્યો અને મહિલા ઉમેદવારને પ્રશ્ન કર્યો કે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન તેઓ ક્યાં હતા. આ સવાલને પગલે મીટિંગમાં તંગદિલી સર્જાઈ અને બંને પક્ષ વચ્ચે શાબ્દિક અથડામણ શરૂ થઈ ગઈ.

પરિસ્થિતિ ત્યારે વધુ ગરમાઈ ગઈ જ્યારે ભાજપના કાર્યકર્તાએ ‘જય શ્રી રામ’ના નારા લગાવવાનું શરૂ કર્યું. અન્ય કાર્યકર્તાઓ પણ તેમાં જોડાતા સમગ્ર વાતાવરણ ઉગ્ર બન્યું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો છે, જેના કારણે બંને પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થયો છે. ભાજપે કોંગ્રેસ પર ચૂંટણી સમયે જ સક્રિય થવાનો આરોપ લગાવ્યો છે, જ્યારે કોંગ્રેસે ભાજપ પર પ્રચારમાં ખલેલ પહોંચાડવાનો આક્ષેપ કર્યો છે.

લિંબાયત ઉપરાંત વરાછા અને કતારગામ જેવા વિસ્તારોમાં પણ રાજકીય સ્પર્ધા તેજ બની રહી છે. આ ઘટનાને પગલે પોલીસ અને ચૂંટણી તંત્ર સતર્ક બન્યું છે. સ્થાનિક સ્તરે લોકોમાં પણ મતભેદ જોવા મળી રહ્યા છે-કેટલાક લોકો ભાજપના કાર્યકર્તાના સવાલને યોગ્ય ગણાવે છે, જ્યારે કેટલાક લોકો પ્રચારમાં વિક્ષેપને અયોગ્ય માને છે.

આ સમગ્ર ઘટનાએ સ્પષ્ટ કર્યું છે કે ચૂંટણી માત્ર મુદ્દાઓની લડાઈ નથી રહી, પરંતુ ભાવનાત્મક અને રાજકીય ધ્રુવીકરણ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આ વિવાદ મતદાન પર કેવી અસર કરે છે.

ગુજરાતમાં ફરી માવઠાની આગાહી, દેશભરમાં હીટવેવનો એલર્ટ

હવામાન વિભાગે દેશમાં અસહ્ય ગરમી અને લૂની ચેતવણી આપી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના દિવસોને બાદ કરતાં ચાલુ વર્ષે ઉનાળાની શરૂઆતમાં જ તીવ્ર ગરમી પડી રહી છે. મહારાષ્ટ્રના કેટલાય જિલ્લામાં એકાએક તાપમાન વધી જતાં એલર્ટ આપવામાં આવ્યું છે. વિદર્ભનું અકોલા શહેર 44 ડિગ્રી તાપમાન સાથે વિશ્વના સૌથી ગરમ શહેરોમાં સામેલ થયું હતું. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સપ્તાહે ફરી વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરી હતી.

ગુજરાતમાં કેવું રહેશે હવામાન

ગુજરાતના પ્રાદેશિક હવામાન વિભાગ દ્વારા 7 દિવસની કરવામાં આવેલી આગાહી મુજબ, આજે રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેશે. તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. રવિવાર, સોમવાર અને મંગળવાર એમ ત્રણ દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી છાંટા થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ કમોસમી વરસાદનું જોર સામાન્ય હશે તેમ પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા 7 દિવસની આગાહી કરવામાં આવી છે તેમાં રવિવાર, સોમવાર અને મંગળવાર એમ ત્રણ દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી છાંટા થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ કમોસમી વરસાદનું જોર સામાન્ય હશે તેમ પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

21 તારીખે તાપી, ડાંગ અને સૌરાષ્ટ્રના અમરેલી તથા ભાવનગરમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતાઓ છે, જેમાં થંડરસ્ટ્રોર્મ એક્ટિવિટીની સામાન્ય શક્યતાઓ જોવાઈ રહી છે. 22 તારીખે એટલે કે મંગળવારે ભરૂચ અને સુરતની સાથે અમરેલી અને ભાવનગરમાં કમોસમી વરસાદની શક્યતાઓ છે.

અંબાલાલ પટેલે શું કરી છે આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન મુજબ 19થી 21 એપ્રિલ વચ્ચે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યુ છે. વરસાદની સાથે રાજ્યમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે. જો કે 25થી 29 એપ્રિલ દરમિયાન રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવા અને 29 એપ્રિલથી મે મહિનાની શરૂઆતમાં ફરીથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. 11થી 20 મે દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં આંધી-વંટોળનું પ્રમાણ વધશે. કાચા મકાનોના પતરા ઊડી જાય તેવો પવન ફૂંકાવવાની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે.

ભારતીય હવામાન વિભાગે દેશના અનેક રાજ્યોમાં આંધી-વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. 30 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ઉપરાંત વીજળીના કડાકા ભડાકા પણ થશે. અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમ, ત્રિપુરામાં આગમી 5 દિવસ ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ગાજવીજ સાથે વરસાદ અને કેટલીક જગ્યાએ કરાનું એલર્ટ છે. હરિયાણા, પંજાબ, બિહાર, ઝારખંડ, ઓડિશામાં પણ હવામાન વિભાગે હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ, તેલંગાણા અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં 17 થી 21 એપ્રિલ વચ્ચે લૂ નું એલર્ટ અપાયું છે. હાલ અહીં અનેક વિસ્તારોમાં તાપમાન 40 થી 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ચુક્યું છે. ઓડિશા, પશ્ચિમ બંગાળ અને દક્ષિણ ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજ અને બફારો લોકોને પરેશાન કરી શકે છે. રાતના સમયે પણ ગરમીથી રાહતની શક્યતા ઓછી છે.

પશ્ચિમ રાજસ્થાનમાં ભીષણ ગરમીનો પ્રકોપ ચાલુ રહેશે. હવામાન વિભાગે લૂ નું એલર્ટ જાહેર કર્યું છે. જેસલમેર, બીકાનેર અને આસપાસના વિસ્તારમાં તાપમાન સામાન્યથી વધારે છે. આજે રાજ્યમાં કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે આંધીનું એલર્ટ છે. હિમાચલ પ્રદેશમાં 18 અને 19 એપ્રિલના રોજ ગાજવીજ સાતે હળવો વરસાદ વરસી શકે છે. જ્યારે કેટલાક વિસ્તારમાં કરા પડી શકે છે.

ખેડામાં સગીરાનું ત્રણ વર્ષ સુધી શોષણ, 9 આરોપીઓ સામે કડક કાર્યવાહી

0

ખેડામાં લવજેહાદની જાળમાં ફસાવી સગીરા પર 3 વર્ષ સુધી નવ નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું, આ આખી ઘટના પાછળ મુખ્ય સૂત્રધાર તરીકે પરવેઝ પઠાણનું નામ સામે આવ્યું છે, જેણે આશરે બે વર્ષ પૂર્વે સગીરાને પ્રેમજાળમાં ફસાવી વિશ્વાસઘાત કર્યો હતો. આરોપીએ કપટપૂર્વક સગીરા સાથેના અંગત પળોના વીડિયો અને તસવીરો રેકોર્ડ કરી લીધા હતા. આ વાંધાજનક સામગ્રીને જ હથિયાર બનાવીને તેણે સગીરાને માનસિક અને શારીરિક રીતે લાચાર કરી દીધી હતી.

સામૂહિક દુષ્કર્મ અને ધમકીઓનો આતંક

પરવેઝે માત્ર પોતે જ સગીરાનું શોષણ નહોતું કર્યું, પરંતુ તેણે આ વીડિયો પોતાના મિત્રોને પણ બતાવ્યા હતા. ત્યારબાદ, અન્ય 8 નરાધમોએ પણ આ સ્થિતિનો ફાયદો ઉઠાવવાનું શરૂ કર્યું. આ શખ્સો સગીરાને એવી ધમકી આપતા હતા કે જો તે મચક નહીં આપે, તો તેના વીડિયો સોશિયલ મીડિયા પર સાર્વજનિક કરી દેવામાં આવશે અને તેના પરિવારને જીવતા મારી નાખવામાં આવશે.

સમાજમાં બદનામી અને પરિવાર પર તોળાઈ રહેલા જોખમને કારણે સગીરા સતત ભયના ઓથાર હેઠળ રહી હતી. વર્ષ 2023 થી શરૂ થયેલો આ અત્યાચારનો સિલસિલો વર્ષ 2025 ના રમઝાન માસ સુધી અવિરત ચાલતો રહ્યો હતો. સગીરાએ આ ત્રણ વર્ષો દરમિયાન જે યાતના ભોગવી છે, તેણે સમગ્ર રાજ્યમાં ભારે રોષ અને અરેરાટી ફેલાવી દીધી છે. પોલીસ હાલ આ મામલે કડક તપાસ કરી રહી છે જેથી બાકી રહેલા આરોપીને પણ ઝડપી પાડી શકાય.મૌન તોડ્યું અને ન્યાય માટેની લડત શરૂ થઈલાંબા સમય સુધી નરક જેવી યાતનાઓ અને સતત બ્લેકમેલિંગ સહન કર્યા બાદ, આખરે સગીરાએ હિંમત એકઠી કરી પોતાની આપવીતી પરિવાર સમક્ષ રજૂ કરી હતી. દીકરી પર થયેલા આ ભયાનક અત્યાચારની જાણ થતાં જ પરિવારે હિન્દુ સંગઠનોની મદદ લીધી હતી. તેમના સક્રિય સહયોગથી ખેડા ટાઉન પોલીસ મથકે નરાધમો વિરુદ્ધ વિધિવત ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેનાથી આ આખા પાશવી કાંડનો પર્દાફાશ થયો છે.

પોલીસની કડક કાર્યવાહી: 8 નરાધમો જેલના સળિયા પાછળ

ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતા ખેડા પોલીસે તાત્કાલિક ધોરણે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે મુખ્ય આરોપી પરવેઝ પઠાણ સહિત માહિર, ફૈઝાન, તૌફીક અને સાહીલ જેવા 9 શખ્સો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) અને પોક્સો (POCSO) એક્ટની વિવિધ કડક કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ઓપરેશન હાથ ધરીને પોલીસે અત્યાર સુધીમાં 8 આરોપીઓને દબોચી લીધા છે, જ્યારે એક ફરાર શખ્સને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.

સુનિયોજિત ષડયંત્ર અને ન્યાયિક પ્રક્રિયા

પોલીસના પ્રાથમિક નિવેદન અનુસાર, આ સમગ્ર કૃત્ય એક સુનિયોજિત કાવતરું હોવાનું જણાય છે, જેમાં સગીરાને લાચાર બનાવી તેનું શોષણ કરવામાં આવ્યું હતું. પીડિતાનું મેડિકલ પરીક્ષણ કરાવીને જરૂરી પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓએ ખાતરી આપી છે કે આ કેસમાં એવી મજબૂત ચાર્જશીટ તૈયાર કરવામાં આવશે જેથી તમામ નરાધમોને કડકમાં કડક અને દાખલારૂપ સજા મળે.

સાઠંબામાં હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી, મુખ્યમંત્રીનો રોડ માર્ગે સુરક્ષિત પ્રવાસ

અરવલ્લી જિલ્લાના સાઠંબા ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર અર્થે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હેલિકોપ્ટરમાં બાયડ હેલિપેડ ખાતે અચાનક યાંત્રિક ખામી સર્જાતા વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી. પાયલોટની સતર્કતાને કારણે ઉડાન પહેલાં જ ખામી પકડાઈ જતા મોટી દુર્ઘટના ટળી હતી.

મળતી વિગતો મુજબ, મુખ્યમંત્રી સાઠંબામાં ચૂંટણી સભા પૂર્ણ કરીને બાયડ હેલિપેડ પરથી પોતાના આગામી નિર્ધારિત પ્રવાસ માટે રવાના થવાના હતા. જોકે, હેલિકોપ્ટર ટેક-ઓફ્ફ કરે તે પૂર્વે જ પાયલોટને તેમાં કોઈ ગંભીર ટેકનિકલ ક્ષતિ હોવાનું જણાયું હતું. સુરક્ષાના પ્રોટોકોલને પ્રાધાન્ય આપી પાયલોટે તુરંત જ ઉડાન ભરવાનો ઇનકાર કરી દીધો હતો અને હેલિકોપ્ટરને ગ્રાઉન્ડેડ કરવાની ફરજ પડી હતી. તે પછી મુખ્યમંત્રીનો કાફલો સાઠંબાથી સડક માર્ગે સાબરકાંઠા જવા રવાના થયો હતો.

હેલિકોપ્ટરમાં સર્જાયેલી આ ખામીને ગંભીરતાથી લઈને જિલ્લા વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. એન્જિનિયરોની ટીમ દ્વારા હેલિકોપ્ટરનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે જેથી જાણી શકાય કે આ ખામી કયા કારણોસર સર્જાઈ હતી.

ટ્રમ્પના પ્રતિબંધોની પરવા નહીં: રશિયા પાસેથી તેલ ખરીદી ચાલુ રાખશે ભારત

ઈરાન યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટની સમસ્યા વચ્ચે ભારત સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મધ્યપૂર્વના યુદ્ધ દરમિયાન અમેરિકાએ ભારતને ચેતવણી આપી હતી. અમેરિકાએ રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારતને ચોક્કસ સમય આપ્યો હતો, તેની અવધી હવે પૂર્ણ થઈ ગઈ છે. તેમ છતાં પણ ભારત રશિયા પાસેથી તેલની ખરીદી ચાલુ રાખશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. અમેરિકાએ પ્રતિબંધ લગાવ્યો હોવા છતાં પણ ભારત રશિયા પાસેથી તેલની ખરીદી બંધ નહીં કરે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

ભારત હવે અમેરિકાની ધમકીઓ પર એટલું ધ્યાન આપી રહ્યું નથી. અમેરિકાએ આ પહેલા પણ રશિયા પાસેથી તેલની ખરીદી કરવા પર ભારત પર 25 ટકા વધારે ટેરિફ લગાવ્યો હતો. તે વખતે પણ ભારતે રશિયા પાસેથી તેલની ખરીદીને સંપૂર્ણ રીતે બંધ તો નહોતી જ કરી, પરંતુ હા થોડી ઓછી કરી હોવાનું જાણવા ળ્યું હતું. અમેરિકા ધમકી આપે છે, પરંતુ ભારત પોતાના દેશમાં ઊર્જાશક્તિનું ખપતને પૂર્ણ કરવા માટે તેને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. અમેરિકા શું કરે છે અથવા શું કહે છે, તેના પર ભારત વધારે ધ્યાન આપતું નથી. કારણ કે, મહત્વપૂર્ણ બાબત એ છે કે, પેટ્રોલ- ડીઝલ અને ગેસની અછત ના સર્જાય તેના પર ધ્યાન આપવામાં આવે!

ભારતે અમેરિકાને કેવી સલાહ આપી?
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ભારતે અમેરિકાને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે, રશિયા પાસેથી તેલની ખરીદી 140 કરોડ લોકોની ભલાઈ માટે કરવામાં આવી રહી છે. વૈશ્વિક બજાર અને સ્થિતિઓને ધ્યાને રાખતા રશિયા પાસેથી તેલની ખરીદી કરવામાં આવે છે અને આવતી પણ રહેશે. અમેરિકાની સુપ્રીમ કોર્ટ પણ ટેરિફ મામલે ટ્રમ્પને ફટકાર લગાવી ચૂકી છે, એટલે અમેરિકાની ધમકીઓ પર ભારત પણ ખાસ ધ્યાન આપતું નથી. રશિયા સાથે આ વેપાર ચાલુ રહેશે, અમેરિકાને કોઈ સમસ્યા હોય તો તેને જાતે તેનો ઉકેલ શોધી લે તેવી સલાહ પણ આપવામાં આવી છે.

રશિયા પાસેથી ભારતે કેટલું તેલ ખરીદ્યું?
આંકડા પ્રમાણે વાત કરવામાં આવે તો, 2025માં ભારતે રશિયા પાસેથી દરરોજ સરેરાશ 26 લાખ બેરલ ક્રૂડ ઓઇલ ખરીદી કરી હતી. જોકે, ફેબ્રુઆરી 2025માં, ક્રૂડ ઓઇલ ખરીદી ઘટીને ૧૦ લાખ બેરલ પ્રતિ દિવસ થઈ ગઈ હતી. માર્ચમાં, આ વોલ્યુમ વધારીને 15 લાખ બેરલ પ્રતિદિન કરવામાં આવ્યું હતું. વર્તમાનની વાત કરવામાં આવે તો, એપ્રિલમાં પ્રતિદિન 20 લાખ બેરલના દરે ખરીદી કરવામાં આવી રહી છે. જેનો અર્થ એ થયો કે ભારત તેના ક્રૂડ ઓઇલનો 38 ટકા હિસ્સો રશિયા પાસેથી ખરીદી રહ્યું છે.