અરવલ્લી જિલ્લાના સાઠંબા ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર અર્થે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હેલિકોપ્ટરમાં બાયડ હેલિપેડ ખાતે અચાનક યાંત્રિક ખામી સર્જાતા વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી. પાયલોટની સતર્કતાને કારણે ઉડાન પહેલાં જ ખામી પકડાઈ જતા મોટી દુર્ઘટના ટળી હતી.
મળતી વિગતો મુજબ, મુખ્યમંત્રી સાઠંબામાં ચૂંટણી સભા પૂર્ણ કરીને બાયડ હેલિપેડ પરથી પોતાના આગામી નિર્ધારિત પ્રવાસ માટે રવાના થવાના હતા. જોકે, હેલિકોપ્ટર ટેક-ઓફ્ફ કરે તે પૂર્વે જ પાયલોટને તેમાં કોઈ ગંભીર ટેકનિકલ ક્ષતિ હોવાનું જણાયું હતું. સુરક્ષાના પ્રોટોકોલને પ્રાધાન્ય આપી પાયલોટે તુરંત જ ઉડાન ભરવાનો ઇનકાર કરી દીધો હતો અને હેલિકોપ્ટરને ગ્રાઉન્ડેડ કરવાની ફરજ પડી હતી. તે પછી મુખ્યમંત્રીનો કાફલો સાઠંબાથી સડક માર્ગે સાબરકાંઠા જવા રવાના થયો હતો.
હેલિકોપ્ટરમાં સર્જાયેલી આ ખામીને ગંભીરતાથી લઈને જિલ્લા વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. એન્જિનિયરોની ટીમ દ્વારા હેલિકોપ્ટરનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે જેથી જાણી શકાય કે આ ખામી કયા કારણોસર સર્જાઈ હતી.