Home Blog Page 115

8મા પગાર પંચમાં લઘુતમ બેઝિક વેતન રૂ. 69,000 કરવાની માંગ તેજ

0

કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફાર કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આઠમા પગાર પંચને લઈને નેશનલ કાઉન્સિલની સ્ટાફ સાઈડ દ્વારા સરકારને એક મહત્વપૂર્ણ મેમોરેન્ડમ સુપ્રત કરવામાં આવ્યું છે.

આ મેમોરેન્ડમમાં સરકારી કર્મચારીઓનો લઘુત્તમ બેઝિક પગાર વધારીને 69 હજાર રૂપિયા કરવાની મજબૂત ભલામણ કરવામાં આવી છે.આ દરખાસ્ત સરકારને સોંપવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય કર્મચારીઓના વર્તમાન આર્થિક ભારણને હળવો કરવાનો અને જીવનધોરણમાં સુધારો લાવવાનો છે.

આ મેમોરેન્ડમની સૌથી મહત્વની બાબત એ છે કે, તેમાં કર્મચારીના પરિવારની ગણતરીના માળખામાં ફેરફાર કરવાની માંગ કરવામાં આવી છે. અત્યાર સુધીની સિસ્ટમમાં પરિવારને 3 યુનિટ ગણવામાં આવતા હતા, પરંતુ હવે તેને વધારીને 5 યુનિટ કરવાની ભલામણ કરવામાં આવી છે.

આ નવા માળખા મુજબ, કર્મચારી પોતે 1 યુનિટ, પતિ કે પત્ની 1 યુનિટ અને બાળકો તેમજ આશ્રિત માતા-પિતાને પણ યુનિટમાં ગણતરીમાં લેવામાં આવ્યા છે. આ ફેરફાર પાછળનો તર્ક એ છે કે, અનેક સરકારી કર્મચારીઓ પોતાના જીવનસાથી અને બાળકોની સાથે પોતાના વૃદ્ધ માતા-પિતાની જવાબદારી પણ નિભાવતા હોય છે, જેમને અત્યાર સુધી ગણતરીમાં લેવામાં આવતા નહોતા.

નેશનલ કાઉન્સિલે ભારપૂર્વક જણાવ્યું છે કે લઘુત્તમ પગાર ‘સાયન્ટિફિક લિવિંગ વેજ’ ફોમ્ર્યુલા પર આધારિત હોવો જોઈએ. જેમાં ખોરાક, ઘર, ભણતર, હેલ્થકેર, ટ્રાન્સપોર્ટ અને ડિજિટલ જરૂરિયાતોનો સમાવેશ થાય છે.

આ પ્રસ્તાવમાં મેન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટિઝન એક્ટ જેવા કાયદાકીય પાસાઓને પણ ટાંકવામાં આવ્યા છે. હાલમાં આઠમા પગાર પંચે પોતાના ઓફિશિયલ પોર્ટલ અને MyGov પ્લેટફોર્મ પર એક સ્ટ્રક્ચર્ડ ક્વેશ્ચનરી હોસ્ટ કરી છે, જેના દ્વારા કર્મચારીઓ અને પેન્શનરો પાસેથી અભિપ્રાયો માંગવામાં આવ્યા છે.

‘રાજા શિવાજી’નું ટ્રેલર લોન્ચ, રિતેશ દેશમુખનું પાવર પરફોર્મન્સ, સંજય દત્તનો ખૂંખાર અંદાજ

રિતેશ દેશમુખ અને જેનિલીયા ડિસોઝા બોલીવૂડ અને મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું સૌથી પ્રિય કપલમાંથી એક છે. ગઈકાલથી સોશિયલ મીડિયા પર રિતેશ અને જેનેલિયાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો ફિલ્મ રાજા શિવાજીના ટ્રેલર લોન્ચ ઈવેન્ટનો છે જેમાં જેનેલિયા અને રિતેશ દેશમુખ એકદમ ભાવુક થઈને રડી પડતાં જોવા મળી રહ્યા છે. જોકે, અત્યારે આપણે વાત કરીશું આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટથી ડેબ્યુ કરનારા સ્ટાર કિડની. સોશિયલ મીડિયા પર આ સ્ટાર કિડની પણ એટલી જ ચર્ચા થઈ રહી છે. આ સ્ટાર કિડ એટલે રિતેશ અને જેનેલિયાનો દીકરો રાહિલ. રાહિલના ડેબ્યૂએ સૌને ચોંકાવી દીધા છે.

2026ની મોસ્ટ અવેઈટેડ હિસ્ટોરિકલ ફિલ્મ ‘રાજા શિવાજી’ માત્ર એક ફિલ્મ નથી, પણ દેશમુખ પરિવાર માટે એક ભાવનાત્મક સફર છે. વાત કરીએ ફિલ્મના ટ્રેલરની તો ટ્રેલરની શરૂઆત થાય છે રાહિલ દેશમુખની એક શક્તિશાળી ઝલકથી થાય છે.

તમારી જાણકારી માટે આ ફિલ્મમાં રાહિલ છત્રપતિ શિવાજી મહારાજના બાળપણની ભૂમિકા ભજવી રહ્યો છે. ટ્રેલરમાં તેને ‘સ્વરાજ્ય’ વિશે વાત કરતા જોઈ શકાય છે, જે પ્રેક્ષકોમાં રોમાંચ પેદા કરે છે. ત્યારબાદ વાર્તા આગળ વધે છે અને યુવાનથી લઈને પુખ્ત વયના મહારાજનું પાત્ર રિતેશ દેશમુખ પોતે ભજવી રહ્યો છે.

રિતેશ દેશમુખ, જેનેલિયા દેશમુખ સ્ટારર આ ફિલ્મમાં ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેક મોટા મોટા સ્ટાર્સ જોવા મળશે. આ ફિલ્મમાં સંજય દત્ત, અભિષેક બચ્ચન, વિદ્યા બાલન પણ જોવા મળશે. આ સિવાય મહેશ માંજરેકર, બોમન ઈરાની, ભાગ્યશ્રી, ફરદીન ખાન અને જિતેન્દ્ર જોશી જેવા મંજાયેલા કલાકારો ફિલ્મમાં પ્રાણ ફૂંકશે.

ટ્રેલર લોન્ચિંગ દરમિયાન રિતેશ દેશમુખ પોતાના સ્વર્ગસ્થ પિતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખને યાદ કરીને અત્યંત ભાવુક થઈ ગયો હતો. રિતેશને રડતો જોઈ પત્ની જેનિલીયાની આંખો પણ ભીની થઈ ગઈ હતી. રિતેશ માટે આ ફિલ્મ મહારાષ્ટ્રની માટી અને તેના પિતાના સંસ્કારોનું પ્રતીક છે.

સેન્સેક્સમાં 600 પોઈન્ટનો કડાકો, નિફ્ટી પણ 150 પોઈન્ટ નીચે

0

સેન્સેક્સ 600 પોઈન્ટ ઘટીને 78600 પર ટ્રેડ થઈ રહ્યો છે; નિફ્ટી પણ 150 પોઈન્ટ ઘટીને 24400 ની નીચે આવી ગયો છે.

સેન્સેક્સ આજે, બુધવાર, 22 એપ્રિલે 600 પોઈન્ટ ઘટીને 78600 પર ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટી પણ 150 પોઈન્ટ ઘટીને 24400 ના સ્તરથી નીચે આવી ગયો છે. આજના ટ્રેડિંગમાં આઈટી શેરો સૌથી વધુ નુકસાનમાં રહ્યા હતા.

વિદેશી રોકાણકારો (એફઆઈઆઈ) એ મંગળવારે સતત બીજા દિવસે બજારમાંથી પૈસા પાછા ખેંચી લીધા હતા, જેમાં આશરે1919 કરોડના શેર વેચાયા હતા. તેઓએ અગાઉ સોમવારે 1060 કરોડનું વેચાણ કર્યું હતું. તાજેતરના વેચાણથી ગયા અઠવાડિયાના ત્રણ દિવસના ફાયદા ભૂંસાઈ ગયા છે, જ્યારે તેઓએ બજારમાં 1731 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી.

યુદ્ધ વિરામ લંબાવાની ટ્રમ્પની જાહેરાત, ઈરાને એકતરફી નિર્ણય ગણાવ્યો

આખરે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન યુદ્ધમાં પંદર દિવસના યુદ્ધ વિરામને ખત્મ થતાં પહેલાં લંબાવ્યો છે. જો કે એ માટેની મર્યાદા જણાવી નથી, સાથે જ 3 થી 5 દિવસમાં ઈરાનને યુરેનિયમ અને આણ્વિક પ્રોગ્રામ અંગે નક્કર જવાબ નહીં આપે તો ફરીથી હુમલા કરવાનો હૂંકાર કર્યો છે. બીજી તરફ ઈરાને યુદ્ધ વિરામ લંબાવવાના ટ્રમ્પના નિર્ણયને એકતરફી ગણાવવા સાથે હોર્મુઝમાં એક કોર્ગો શીપ પર હુમલો કર્યો હતો.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે પાકિસ્તાનની વિનંતી પર અમેરિકા ઈરાન સાથે યુદ્ધવિરામ લંબાવી રહ્યું છે. જોકે, તેમણે કેટલા સમય માટે તે સ્પષ્ટ કર્યું નથી. ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાનમાં હાલમાં નેતૃત્વ અને સરકારમાં એકતાનો અભાવ છે. આ સમયે, પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ અને આર્મી ચીફ અસીમ મુનીરે તેમને ઈરાન પર હુમલાઓ અસ્થાયી રૂપે બંધ કરવા અપીલ કરી હતી જેથી ઈરાનને સંયુક્ત દરખાસ્ત તૈયાર કરવા માટે સમય મળે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, આ વિનંતીના જવાબમાં, તેમણે અમેરિકન સૈન્યને હાલ પૂરતું હુમલાઓ બંધ કરવાનો આદેશ આપ્યો છે. જોકે, સૈન્યને પણ સંપૂર્ણ રીતે તૈયાર રહેવાની સૂચના આપવામાં આવી છે. આ સમય દરમિયાન, ઈરાન પર દબાણ જાળવી રાખવા માટે નાકાબંધી ચાલુ રહેશે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે જ્યાં સુધી ઈરાન એક નક્કર અને એકીકૃત દરખાસ્ત રજૂ ન કરે અને વાટાઘાટો પૂર્ણ ન થાય ત્યાં સુધી યુદ્ધવિરામ ચાલુ રહેશે, પરિણામ ગમે તે હોય.

માલેગાંવ બ્લાસ્ટ કેસમાં મોટો ચુકાદો: હાઈકોર્ટે ચારેય આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા

0

2006ના માલેગાંવ બોમ્બ વિસ્ફોટ કેસમાં હાઈકોર્ટે ચારેય આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. સુનાવણી દરમિયાન, બોમ્બે હાઈકોર્ટે આરોપીઓ, લોકેશ શર્મા, ધન સિંહ, રાજેન્દ્ર ચૌધરી અને મનોહર નરવરિયાને નિર્દોષ જાહેર કર્યા અને તેમને બધા આરોપોમાંથી મુક્ત કર્યા. મસ્જિદ પાસે થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં 37 લોકો માર્યા ગયા હતા.

NIA કોર્ટે પણ તેમને નિર્દોષ જાહેર કર્યા હતા.
અગાઉ, રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ની એક વિશેષ કોર્ટે 2008માં માલેગાંવ બોમ્બ વિસ્ફોટ કેસમાં તમામ સાત આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. આ સાત આરોપીઓમાં ભૂતપૂર્વ સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર, મેજર (નિવૃત્ત) રમેશ ઉપાધ્યાય, સુધાકર ચતુર્વેદી, અજય રાહિરકર, સુધાકર ધર દ્વિવેદી (જેને શંકરાચાર્ય તરીકે પણ ઓળખવામાં આવે છે) અને સમીર કુલકર્ણીનો સમાવેશ થાય છે. કોર્ટે પૂરતા પુરાવાના અભાવે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA), શસ્ત્ર અધિનિયમ અને ભારતીય દંડ સંહિતા (IPC) હેઠળના તમામ આરોપો રદ કર્યા હતા.

માલેગાંવ વિસ્ફોટ ક્યારે થયો હતો?
આ વિસ્ફોટ 29 સપ્ટેમ્બર, 2008 ના રોજ થયો હતો, જ્યારે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માલેગાંવમાં ભીખ્ખુ ચોક મસ્જિદ પાસે મોટરસાઇકલ સાથે જોડાયેલ બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ રમઝાનના પવિત્ર મહિના દરમિયાન અને નવરાત્રિના હિન્દુ તહેવાર પહેલા થયો હતો. આ સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ શહેરમાં આ ઘટનામાં અનેક લોકોના મોત થયા હતા અને 100 થી વધુ લોકો ઘાયલ થયા હતા. ટ્રાયલ દરમિયાન, ફરિયાદ પક્ષે 323 સાક્ષીઓ રજૂ કર્યા હતા. જોકે, તેમાંથી 34 સાક્ષીઓ ફરી ગયા હતા, જેના કારણે ફરિયાદ પક્ષનો કેસ નોંધપાત્ર રીતે નબળો પડ્યો હતો.

આ કેસની પ્રારંભિક તપાસ મહારાષ્ટ્ર આતંકવાદ વિરોધી ટુકડી (ATS) દ્વારા હાથ ધરવામાં આવી હતી, જેણે આરોપીઓની ધરપકડ કરી હતી અને ચાર્જશીટ દાખલ કરી હતી. 2011 માં તપાસ NIA ને સોંપવામાં આવી હતી, જેણે 2016 માં પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં કડક આતંકવાદ વિરોધી કાયદા હેઠળ અપૂરતા પુરાવાનો ઉલ્લેખ કરીને સાધ્વી પ્રજ્ઞા સહિત ઘણા આરોપીઓ સામે આરોપો પડતા મૂકવામાં આવ્યા હતા.

પહેલગામ આતંકી હુમલાની પ્રથમ વર્ષગાંઠ, PM મોદી સહિતના નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી

0

પહેલગામ હુમલાની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે, ભારતીય સેનાની એર ડિફેન્સ રેજિમેન્ટે L70 એર ડિફેન્સ ગન પ્રદર્શિત કરી. તે સતર્કતા, ચોકસાઈ અને અટલ તૈયારીનું પ્રતીક છે. આ બંદૂકોએ ઓપરેશન સિંદૂર દરમિયાન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જેમાં દુશ્મનના ડ્રોન હુમલાઓનો અસરકારક રીતે સામનો કરવામાં આવ્યો હતો અને ભારતના એર ડિફેન્સ કવચને મજબૂત બનાવવામાં આવ્યું હતું. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દરમિયાન અદ્યતન ડ્રોન તૈનાત કરીને તેની તકનીકી શ્રેષ્ઠતા દર્શાવી હતી.

આ કવાયત દરમિયાન, ભારતીય સેનાના માનવરહિત હવાઈ સ્ક્વોડ્રને પડકારજનક ભૂપ્રદેશમાં દેખરેખ, લક્ષ્ય જોડાણ અને વાસ્તવિક સમયની ગુપ્ત માહિતી એકત્રિત કરવા માટે માનવરહિત હવાઈ પ્રણાલીઓનો ઉપયોગ દર્શાવ્યો. ભારતીય સેનાએ જળ કામગીરીમાં તેની શ્રેષ્ઠ વ્યૂહાત્મક ક્ષમતા દર્શાવી, જેમાં વિશેષ યુદ્ધ જૂથો ચપળ એસોલ્ટ બોટમાં છીછરા પાણીમાં ઝડપથી કવાયત કરી રહ્યા હતા.

ઓપરેશન સિંદૂર દરમિયાન, આ બહુમુખી જહાજોને ઉચ્ચ તૈયારી સાથે તૈનાત કરવામાં આવ્યા હતા, જે ભારતની સરહદો તરફ આવતા કોઈપણ દુશ્મન જહાજને અટકાવવા અને તેને નિષ્ક્રિય કરવા માટે સંપૂર્ણપણે તૈયાર હતા. ભારતીય સેના દ્વારા દુશ્મનના પ્રદેશ પર આક્રમણ કરવા અને પ્રભુત્વ મેળવવા માટે હાથ ધરવામાં આવેલી પાણી આધારિત ઓપરેશન કવાયતમાં દર્શાવવામાં આવ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેનાએ પાણી અને જમીન બંને જગ્યાએ ખાડી વિસ્તાર પર કેવી રીતે પ્રભુત્વ સ્થાપિત કર્યું.

પહેલગામમાં થયેલા ઘાતક આતંકવાદી હુમલાની પહેલી વર્ષગાંઠ પર, ભારતીય સેનાએ આતંકવાદ સામેના પોતાના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો, ઓપરેશન સિંદૂર હેઠળ કરવામાં આવેલી નિર્ણાયક લશ્કરી કાર્યવાહીને યાદ કરી, અને ભારત વિરુદ્ધના કૃત્યોનો બદલો લેવાની ખાતરી આપી. વર્ષગાંઠ નિમિત્તે, ભારતીય સેનાના એડિશનલ ડિરેક્ટોરેટ જનરલ ઓફ પબ્લિક ઇન્ફર્મેશન (ADG PI) એ X પર એક પોસ્ટમાં લખ્યું, “ભારત વિરુદ્ધના કૃત્યોનો ચોક્કસ બદલો લેવામાં આવશે. ન્યાય મળશે. હંમેશા.” તેમણે સિંદૂરનો ફોટો પણ કેપ્શન સાથે શેર કર્યો, “ઓપરેશન સિંદૂર ચાલુ છે…”

પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ આપી
આ દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હુમલામાં માર્યા ગયેલા 26 લોકોને શ્રદ્ધાંજલિ આપી. તેમણે આતંકવાદ સામે દેશના એકતાભર્યા વલણનો પુનરોચ્ચાર કર્યો. ટ્વિટર પર એક પોસ્ટમાં, વડા પ્રધાને કહ્યું કે જેમણે પોતાનો જીવ ગુમાવ્યો તેમને ક્યારેય ભૂલી શકાશે નહીં અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે કહ્યું કે એક રાષ્ટ્ર તરીકે, આપણે શોક અને દૃઢ નિશ્ચયમાં એક છીએ. ભારત ક્યારેય કોઈપણ પ્રકારના આતંકવાદ સામે ઝૂકશે નહીં. આતંકવાદીઓના નાપાક ઇરાદા ક્યારેય સફળ થશે નહીં.

એક વર્ષ પહેલા શું થયું હતું?
જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પર્યટન સ્થળ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને આઘાત આપ્યો. પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓએ એક ગામમાં ઘૂસીને 26 નાગરિકોની હત્યા કરી. હુમલાખોરોએ કથિત રીતે પીડિતોને તેમની ધાર્મિક ઓળખના આધારે નિશાન બનાવ્યા હતા, જેના કારણે દેશભરમાં વ્યાપક નિંદા અને આક્રોશ ફેલાયો હતો.

ભારતે જોરદાર જવાબ આપ્યો.
જવાબમાં, ભારતે 7 મે, 2025 ના રોજ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું, જેમાં પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીર (PoJK) માં સ્થિત આતંકવાદી માળખાને નિશાન બનાવવામાં આવ્યું. ભારતીય સશસ્ત્ર દળોએ લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા જૂથોના અનેક આતંકવાદી લોન્ચપેડ પર હુમલો કર્યો, તેમની ઓપરેશનલ ક્ષમતાઓને ભારે નુકસાન પહોંચાડ્યું.

આ કાર્યવાહીના પરિણામે પાકિસ્તાની તરફથી વળતો જવાબ આપવામાં આવ્યો, જેમાં ડ્રોન હુમલા અને સરહદ પારથી ગોળીબારનો સમાવેશ થાય છે, જેના કારણે ચાર દિવસ સુધી લશ્કરી ગતિરોધ થયો. ભારતીય સેનાએ સચોટ હુમલાઓ સાથે જવાબ આપ્યો, જેમાં લાહોર અને ગુજરાંવાલાની આસપાસના વિસ્તારોમાં મુખ્ય રડાર સ્થાપનોને નિશાન બનાવવામાં આવ્યા હોવાના અહેવાલ છે. તણાવ વધ્યા બાદ, બંને દેશો 10 મેના રોજ તેમના સંબંધિત ડિરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMOs) વચ્ચેની વાટાઘાટો બાદ યુદ્ધવિરામ માટે સંમત થયા હતા.

ભારતમાં PNGનો વપરાશ વધ્યો: પાંચ લાખથી વધું નવા કનેક્શન, LPG પર નિર્ભરતા ઘટતી

0

ભારતમાં પાઇપવાળા કુદરતી ગેસ (PNG)ના ઉપયોગમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. માર્ચથી અત્યાર સુધીમાં 5.01 લાખથી વધુ નવા PNG કનેક્શન આપવામાં આવ્યા છે, જ્યારે આશરે 5.68 લાખ લોકોએ નવા કનેક્શન માટે નોંધણી કરાવી છે. વધતી માંગ દર્શાવે છે કે લોકો હવે ગેસ માટે વધુ સુવિધાજનક અને સ્થિર વિકલ્પ તરફ વળી રહ્યા છે.

આ વધારો એવા સમયમાં નોંધાયો છે જ્યારે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી તંગદિલીને કારણે LPGના પુરવઠા અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે. સંભવિત વિક્ષેપોને ધ્યાનમાં રાખીને સરકાર ઉદ્યોગો અને ઘરેલુ વપરાશકારોને PNG અપનાવવા પ્રોત્સાહિત કરી રહી છે, કારણ કે તેની સપ્લાય પર વૈશ્વિક પરિસ્થિતિઓનો ઓછો પ્રભાવ પડે છે.

સરકારે એવા વપરાશકારોને પણ સૂચના આપી છે જેમણે PNG કનેક્શન લીધું છે પરંતુ તેનો ઉપયોગ કરતા નથી, તેઓએ LPG પરની નિર્ભરતા ઘટાડીને PNGનો ઉપયોગ શરૂ કરવો જોઈએ. સાથે જ PNG પાઇપલાઇન બિછાવવા માટેની મંજૂરી પ્રક્રિયા ઝડપી બનાવવા માટે પણ પગલાં લેવામાં આવી રહ્યા છે.

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માના જણાવ્યા મુજબ, 19 એપ્રિલ સુધીમાં લગભગ 39,400 ગ્રાહકોએ પોતાનું LPG કનેક્શન સરેન્ડર કરી દીધું છે. તેમ છતાં, સરકારએ સ્પષ્ટ કર્યું છે કે ઘરેલુ LPGનો પુરવઠો હાલ સ્થિર છે અને દેશમાં ગેસની કોઇ અછત નથી.

ભીષણ ગરમીની ચપેટમાં ગુજરાત, અમદાવાદમાં 43°C સુધી તાપમાન, હવામાન વિભાગની ચેતવણી

ગુજરાત રાજ્ય હાલ કાળઝાળ ગરમીના પ્રકોપ હેઠળ છે, જ્યાં અનેક વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં ઊંચું નોંધાઈ રહ્યું છે. હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી દિવસોમાં ગરમીમાં નોંધપાત્ર વધારો થવાની આગાહી કરવામાં આવી છે, જેને કારણે રાજ્યના નાગરિકોએ સાવચેતી રાખવી પડશે. અમદાવાદ શહેરમાં આગામી 48 કલાકમાં મહત્તમ તાપમાન 43°C સુધી પહોંચવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેના પગલે હવામાન વિભાગે હીટવેવનું એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત, દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ અસહ્ય ઉકળાટ અને બફારાનો અનુભવ થવાની શક્યતા છે.

IMDના જણાવ્યા અનુસાર, આ વર્ષે ગુજરાત, મહારાષ્ટ્ર અને આસપાસના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીના દિવસો સામાન્ય કરતાં વધુ રહેશે. આ અસર વર્તાવાની શરૂઆત થઈ ચૂકી છે. વર્તમાન સમયમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન 41°C નોંધાયું છે, જે સામાન્ય સરેરાશ કરતાં 0.8°C વધુ છે. રાજ્યના અન્ય શહેરોમાં પણ ગરમીનો પારો ઊંચો છે. અમરેલીમાં 41.1°C, રાજકોટમાં 40.7°C અને સુરેન્દ્રનગરમાં 40.3°C તાપમાન પહોંચી ગયું છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 40°Cને પાર કરી ચૂક્યું છે.

આગામી 48 કલાકમાં રાજ્યભરમાં તાપમાનમાં વધુ 2 થી 3°Cનો વધારો થવાની શક્યતા સેવાઈ રહી છે. આ ગરમીનો પ્રકોપ એપ્રિલના અંતિમ સપ્તાહ અને મે મહિના દરમિયાન ચરમસીમાએ પહોંચશે. હવામાન વિભાગે સ્પષ્ટ જણાવ્યું છે કે આ વખતે ગરમી દર વર્ષની સરખામણીએ વધુ અને સામાન્યથી ઉપર રહેશે, ખાસ કરીને પશ્ચિમ ભારતના વિસ્તારોમાં ગરમીનું જોર વધશે. આગામી સમયમાં ગુજરાતના દરેક જિલ્લામાં તાપમાન 40°Cથી ઉપર ચોક્કસ જોવા મળશે.

સુરતના ભાજપ ગઢમાં બગાવત: લોકોએ નેતાઓને ધક્કા મારી કાઢ્યા, પોલીસને બોલાવવી પડી

સુરતમાં ભાજપના ગઢ ગણાતા રાંદેર ઝોનના ગોરાટ વિસ્તારમાં હનુમાન ભક્તોએ જય શ્રી રામના નારા સાથે ભાજપના ઉમેદવારને ધક્કા મારી કાઢી મૂકતા મામલો ગરમાયો હતો. ભાજપના ઉમેદવાર અને નેતાઓને ગો બેકના નારા સાથે હાંકી કાઢવામાં આવ્યા હતા. આ દરમિયાન ઉમેદવારના સમર્થકોએ સોસાયટીના રહીશો સાથે દાદાગીરી કરી હાથ ઉપાડતા પરિસ્થિતિ વધુ વણસી હતી. સ્થાનિક મહિલાઓ સહિતના લોકોએ ઘેરો ઘાલતા અંતે ભાજપના ઉમેદવારોએ પોલીસનું શરણ લેવું પડ્યું હતું. લોકોનો રોષ એટલો પ્રચંડ હતો કે એક નહીં, પણ બે પોલીસ સ્ટેશનનો સ્ટાફ બોલાવવાની ફરજ પડી હતી. જનતાના ભારે વિરોધને કારણે ભાજપના નેતાઓ અને ઉમેદવારોએ પ્રચાર પડતો મૂકી પરત ફરવું પડ્યું હતું.

સુરત મહાનગરપાલિકાની વર્ષ 2026ની ચૂંટણીમાં ભાજપના ગઢ ગણાતા વિસ્તારોમાં જ પક્ષ માટે ભારેલો અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. ગોરાટ વિસ્તારમાં અશાંતધારાનો અમલ થયો ન હોવાની ફરિયાદ સાથે લોકોમાં ભાજપના ઉમેદવાર પ્રત્યે ભારે રોષ છે. વોર્ડ નંબર 11માં ભાજપના ઉમેદવાર ગોરાટ મંદિરે દર્શન કરવા જવાના છે તેવી જાણ થતા જ સ્થાનિક મહિલાઓએ કાળાં કપડાં પહેરી વિરોધ દર્શાવ્યો હતો. મહિલાઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, મંદિરે ભલે દર્શન કરવા આવો, પણ સોસાયટીમાં પ્રચાર કરવા આવશો નહીં

ઉમેદવાર સાથે ધારાસભ્ય અને વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી, માજી મેયર હેમાલી બોઘાવાલા તેમજ પૂર્વ ડ્રેનેજ કમિટી અધ્યક્ષ કેયુર ચપટવાલા પણ ઉપસ્થિત હતા. જોકે, મહિલાઓએ આ નેતાઓનો ઉધડો લેતા કહ્યું હતું કે, જ્યારે જરૂર હોય ત્યારે કોઈ આવતું નથી અને હવે મતો માંગવા આવી ગયા છો. આક્રોશિત મહિલાઓ, યુવાનો અને અન્ય લોકોએ ભાજપ ગો બેક અને જય શ્રી રામના નારા લગાવી ઉમેદવારોને ધક્કે ચઢાવ્યા હતા. આ સમયે ઉમેદવારના કેટલાક ટેકેદારોએ દાદાગીરી કરી લોકોને ડરાવવાનો પ્રયાસ કરતા મામલો વધુ બિચક્યો હતો. ટેકેદારો અને સ્થાનિકો વચ્ચે ઝપાઝપી થતા ઉશ્કેરાયેલા લોકોએ તેમને ધક્કા મારી બહાર કાઢ્યા હતા. આ દરમિયાન એવી પણ ચર્ચા ચાલી રહી છે કે રોષે ભરાયેલી મહિલાઓએ દાદાગીરી કરનારાઓ પર હાથ સાફ કરી ટપલીદાવ પણ કર્યો હતો.

સ્થાનિકો સાથે થયેલી આ ઝપાઝપી બાદ મામલો ગંભીર બનતા તાત્કાલિક પોલીસ કાફલો બોલાવાયો હતો. જોકે, પોલીસની હાજરીમાં પણ લોકોનો આક્રોશ શમ્યો નહોતો અને તેઓએ નેતાઓને દૂર સુધી ધકેલી દીધા હતા. અંતે બીજા પોલીસ સ્ટેશનની મદદ લેવામાં આવી ત્યારે માંડ મામલો થાળે પડ્યો હતો. એક સમયે ભાજપનો અજેય ગઢ ગણાતા આ વિસ્તારમાં નેતાઓની જે હાલત થઈ તેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેને પગલે ભાજપ માટે અહીં સ્થિતિ કફોડી બની છે.

ચેન્નાઈમાં મલ્લિકાર્જુન ખડગેના નિવેદનથી રાજકીય તોફાન: નરેન્દ્ર મોદી પર ટિપ્પણી બાદ આપી સ્પષ્ટતા

0

ચેન્નાઈમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ PM નરેન્દ્ર મોદી માટે આપત્તિજનક શબ્દનો ઉપયોગ કર્યો હતો. તેમના આ નિવેદન પર ભાજપે આકરા શબ્દોમાં ટીકા કરી છે.

મલ્લિકાર્જુન ખડગેએ મોદીને આતંકવાદી કહ્યાકોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ચેન્નાઈમાં આયોજિત એક પત્રકાર પરિષદ દરમિયાન કહ્યું કે, ‘ભાજપ સમાનતાના સિદ્ધાંતને માનતી નથી.’ આ દરમિયાન વડાપ્રધાન મોદીનો ઉલ્લેખ કરતા કોંગ્રેસ પ્રમુખે કહ્યું હતું કે, ‘મોદી આતંકવાદી છે અને તેમનો પક્ષ સમાનતાના સિદ્ધાંતને માનતો નથી.

’‘AIADMK લોકશાહીને નબળી પાડી રહી છે’

કોંગ્રસ અધ્યક્ષ ખડગેએ વધુમાં આરોપ લગાવ્યો કે, ‘AIADMK લોકશાહીને નબળી પાડી રહી છે અને પેરિયાર અને આંબેડકર દ્વારા અપનાવવામાં આવેલા સિદ્ધાંતોની વિરુદ્ધ કાર્ય કરી રહી છે.’ જોકે, પોતાના નિવેદન બાદ ખડગેએ પાછળથી તેમના નિવેદ અંગે સ્પષ્ટતા કરીને કહ્યું હતું કે, ‘મેં PM મોદીને આતંકવાદી નથી કહ્યા, મારો કહેવાનો અર્થ એ હતો કે મોદી લોકોને અને રાજકીય પક્ષોને ડરાવે છે. વડાપ્રધાન મોદી હંમેશા ધમકીઓ આપે છે અને તેમનું વર્તન રાજકીય વર્તુળોમાં ભય પેદા કરે છે.

’ખડગેએ ભાજપ અને AIADMKના ગઠબંધન પર શું કહ્યું?

ભાજપ અને AIADMK વચ્ચે બનેલા ગઠબંધન પર સવાલ ઉભા થતા ખડગેએ નિવેદન આપતા કહ્યું કે, ‘AIADMK ભાજપ સાથે ગઠબંધન કેવી રીતે કરી શકે? મોદી એક આતંકવાદી છે જે સમાનતાના સિદ્ધાંતમાં માનતા નથી. ભાજપ સમાનતા અને ન્યાયમાં કોઈ વિશ્વાસ રાખતી નથી, છતાં આ લોકો તેમની સાથે ગઠબંધન કરી રહ્યા છે. આનો અર્થ એ થાય છે કે AIADMK લોકશાહીને નબળી પાડી રહી છે, અને અન્નાદુરાઈ, આંબેડકર અને કરુણાનિધિ દ્વારા સ્થાપિત સિદ્ધાંતો સાથે સમાધાન કરી રહ્યા છે.

’CBI, ED અને IT વિભાગનો દુરુપયોગ

તમિલનાડુમાં ચૂંટણી પ્રચાર કરતી વખતે, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ચેન્નાઈમાં જણાવ્યું હતું કે મોદી અને શાહે અગાઉ ચૂંટાયેલી સરકારોને ઉથલાવવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું કે, “જેમ તમે જાણો છો, છેલ્લા 11 વર્ષોમાં, તેમણે અનેક સરકારોને પાડી દીધી છે અને ધારાસભ્યો અને રાજ્યસભાના સાંસદોને ખરીદી લીધા છે. આ વ્યક્તિઓએ નાણાકીય શક્તિ અને ક્રૂર બળનો ઉપયોગ કર્યો છે. તેઓ વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ પર દરોડા પાડવા માટે તેમના નિયંત્રણ હેઠળની સંસ્થાઓ જેમ કે CBI, ED અને IT વિભાગનો દુરુપયોગ કરી રહ્યા છે.” ત્યારબાદ, ખડગેએ તેમના નિવેદન અંગે સ્પષ્ટતા જાહેર કરી છે.કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે મલ્લિકાર્જુન ખડગેના નિવેદનની આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું, “અમને શરમ આવે છે કે કોંગ્રેસ પાર્ટી આટલી નીચી સપાટીએ ઉતરી ગઈ છે. તેઓ લોકશાહી રીતે ચૂંટાયેલા વડા પ્રધાન – જેને લોકો દ્વારા પસંદ કરવામાં આવ્યા છે – ને આતંકવાદી ગણાવી રહ્યા છે. હું ખડગેના આ નિવેદનની સખત નિંદા કરું છું. હું ભારતના લોકો પ્રત્યેના આ અપમાન બદલ માફી માંગુ છું. તેમણે માત્ર વડા પ્રધાનનું જ અપમાન કર્યું નથી પરંતુ 142 કરોડ ભારતીયો અને તમિલ લોકોનું પણ અપમાન કર્યું છે. તમિલનાડુના લોકો રાહુલ ગાંધી, ખડગે અને સ્ટાલિનને ક્યારેય માફ કરશે નહીં.”