સતત ભારે વરસાદના કારણે મંદાકિની નદીએ રૌદ્ર રૂપ ધારણ કરતા ગોરગી ડેમ તૂટવાની ઘટનાએ પરિસ્થિતિ વધુ ગંભીર બનાવી છે, જ્યારે પૂરનાં તેજ પ્રવાહથી આશરે 300 મીટર લામ્બો પુલોને પણ તૂટીને વહી ગયો હતો. તે દરમિયાન રામઘાટ સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થતાં લોકોમાં ભયનો માહોલ છે અને બચાવ કામગીરી તેજ કરવામાં આવી છે.
મંદાકિની નદીનું જળસ્તર ખતરાના નિશાન 126 મીટરથી આશરે 9 મીટર ઉપર, એટલે કે 135 મીટરથી વધુ પહોંચ્યું હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. રામઘાટ, ભારત ઘાટ અને આસપાસના વિસ્તારોમાં પાણી ઘૂસતાં અનેક દુકાનો, મકાનો અને ધાર્મિક સ્થળો અસરગ્રસ્ત થયા છે. કેટલાક સ્થળોએ લોકોને નાવની મદદથી સુરક્ષિત બહાર કાઢવામાં આવી રહ્યા છે.
પૂરની વચ્ચે ગોરગી ડેમ તૂટી ગયો હોવાની માહિતી સામે આવી છે. સાથે જ નયાગાંવ અને હનુમાનધારા વિસ્તારને જોડતા પુલને પણ ભારે નુકસાન થયું છે અને તેની રેલિંગ પાણીના પ્રવાહમાં વહી ગઈ હોવાનું સ્થાનિક અહેવાલોમાં જણાવાયું છે.300 મીટર લાંબો પુલ પણ તેજ પ્રવાહની ચપેટમાં આવી વહી જવાની માહિતી આપવામાં આવી છે.
પૂરની અસર સતના સુધી પહોંચી છે. મઝગવાં નજીક રેલવે ટ્રેક પર પાણી ભરાતા ટ્રેન વ્યવહાર અસરગ્રસ્ત થયો હતો અને આનંદ વિહાર-રીવા ટ્રેનને આગળ વધવામાં મુશ્કેલી પડી હતી. રસ્તાઓ પર પાણી ભરાતા ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ વચ્ચેનો સંપર્ક પણ અનેક સ્થળોએ ખોરવાયો છે.
હાલ પ્રશાસન અને SDRF સહિતની બચાવ ટીમો સંવેદનશીલ વિસ્તારોમાં સક્રિય છે. નદી કિનારે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. લોકોને પૂરનાં પાણી અને તેજ વહેણ ધરાવતા પુલો-રસ્તાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.


