Home Blog Page 11

હવે રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધી Instagram-Facebook નહીં ચાલે! જાણો કોના માટે લાગુ પડશે

રાત્રે સૂવાના સમયે Reels અને Facebook સ્ક્રોલ કરવાની કિશોરોની આદત પર હવે Meta બ્રેક લગાવશે. અમેરિકામાં થયેલા નવા સમાધાન હેઠળ 18 વર્ષથી ઓછી ઉંમરના યુઝર્સ માટે Instagram અને Facebook પર રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ડિફોલ્ટ રીતે ઉપયોગ બંધ રહેશે. જોકે, આ નિયમ હાલ તરત લાગુ થયો નથી અને કોર્ટની મંજૂરી બાદ તેનો અમલ થશે.

શું છે સમગ્ર મામલો?

અમેરિકાના અનેક રાજ્યોના એટર્ની જનરલે Meta સામે આરોપ મૂક્યો હતો કે Facebook અને Instagramમાં બાળકો તથા કિશોરોમાં સતત ઉપયોગ અને સોશિયલ મીડિયા પર નિર્ભરતા વધારતા ફીચર્સ છે. આથી તેમના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે તેમજ કંપનીએ જોખમ અંગે વપરાશકર્તાઓને પૂરતી માહિતી આપી નહોતી. આ કેસની ફેડરલ ટ્રાયલ 18 ઓગસ્ટ 2026થી શરૂ થઈ હતી. બાદમાં Metaએ રાજ્યો સાથે સમાધાન કર્યું.

કિશોરો માટે શું બદલાશે?

નવા નિયમો હેઠળ Facebook અને Instagram માટે મળીને દિવસની ડિફોલ્ટ બે કલાકની મર્યાદા રહેશે. આ મર્યાદા માતા-પિતાની મંજૂરીથી જ બંધ કરી શકાશે. રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધી Feed, Stories, Explore અને Reels જેવી સુવિધાઓનો ઉપયોગ બ્લોક રહેશે.

આ ઉપરાંત સવારે 8થી બપોરે 3 વાગ્યા સુધી નોટિફિકેશન ડિફોલ્ટ રીતે મ્યૂટ રહેશે. સતત 15 મિનિટ ઉપયોગ બાદ કિશોરોને બ્રેક અંગે સૂચના મળશે અને પેરેન્ટલ કંટ્રોલ તથા ઉંમર ચકાસણી વધુ કડક બનાવાશે.

અહવાલો મુજબ Metaનો કરાર $16.68 બિલિયન સુધીનો છે, જ્યારે કેલિફોર્નિયાના એટર્ની જનરલના કાર્યાલયે તેને આશરે $17 બિલિયનનું સમાધાન ગણાવ્યું છે.

27 ઓગસ્ટ 2026 રાશિફળ: કોને મળશે ધનલાભ અને કોના અટકેલા કામ થશે પૂર્ણ ?

આજનો દિવસ ૧૨ રાશિઓ માટે અલગ-અલગ સંભાવનાઓ લઈને આવ્યો છે. જાણો તમારી રાશિ પ્રમાણે આજનું દૈનિક રાશિફળ:

♈ મેષ

ગુરુવારના શુભ પ્રભાવથી જ્ઞાન અને આધ્યાત્મિકતા તરફ રુચિ વધશે. કાર્યક્ષેત્રે વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળશે અને તમારી યોજનાઓ સફળ થઈ શકે છે. આર્થિક રીતે દિવસ લાભદાયક રહેશે. અટકેલા નાણાં પરત મળવાની શક્યતા છે. પરિવાર સાથે આનંદપૂર્વક સમય પસાર થશે.

♉ વૃષભ

નાણાકીય રોકાણ સંબંધિત બાબતોમાં યોગ્ય આયોજન કરવું જરૂરી રહેશે. કાર્યસ્થળે નવી તકો મળી શકે છે, પરંતુ નિર્ણય લેતા પહેલાં અનુભવી વ્યક્તિની સલાહ લેવી હિતાવહ રહેશે. પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે અને માંગલિક કાર્યોની ચર્ચા થઈ શકે છે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, બહારના ખોરાકથી બચવું.

♊ મિથુન

તમારી વાતચીતની કળા અને સર્જનાત્મક વિચારોના કારણે મહત્વપૂર્ણ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે. વેપારમાં નવી ભાગીદારી અથવા મોટો સોદો થવાની શક્યતા છે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાનો સારો સમય છે. મિત્રો અને સ્નેહીજનો સાથે મુલાકાતથી મન પ્રસન્ન રહેશે.

♋ કર્ક

માનસિક શાંતિ જાળવવી અને નાની-નાની બાબતોમાં વધુ પડતો તણાવ ન લેવો. નોકરીમાં તમારી મહેનતની યોગ્ય કદર થશે અને જવાબદારીઓ વધી શકે છે. પરિવારજનો સાથે સ્નેહપૂર્ણ સંબંધો જળવાઈ રહેશે. આધ્યાત્મિક કાર્યોમાં સમય પસાર કરવાથી મનને શાંતિ મળશે.

♌ સિંહ

આત્મવિશ્વાસ સારો રહેશે અને તમારી નેતૃત્વ ક્ષમતાથી કાર્યો ઝડપથી પૂર્ણ થશે. સામાજિક ક્ષેત્રે માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. મહત્વપૂર્ણ લોકો સાથે સંપર્ક થવાની શક્યતા છે. આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે અને જૂના રોકાણોમાંથી લાભ મળી શકે છે. દાંપત્યજીવનમાં પ્રેમ અને મધુરતા જળવાઈ રહેશે.

♍ કન્યા

કામકાજનો બોજ વધુ રહેશે, પરંતુ યોગ્ય આયોજનથી તમે તમામ કાર્યો સમયસર પૂર્ણ કરી શકશો. નાણાકીય લેવડદેવડમાં સાવચેતી રાખવી અને ઉતાવળમાં નિર્ણય ન લેવો. પરિવારજનોનો સંપૂર્ણ સહયોગ મળશે. નિયમિત વ્યાયામ અને યોગ સ્વાસ્થ્ય માટે લાભદાયક રહેશે.

♎ તુલા

આજનો દિવસ તમારા માટે ભાગ્યશાળી અને આર્થિક રીતે લાભદાયક રહેશે. વેપાર-ધંધામાં મોટો નફો થવાના અને નવા ગ્રાહકો જોડાવાના યોગ છે. પરિવારનું વાતાવરણ ઉત્સાહપૂર્ણ રહેશે અને કોઈ શુભ સમાચાર મળી શકે છે. મન પ્રસન્ન અને ઉત્સાહિત રહેશે.

♏ વૃશ્ચિક

કારકિર્દી અને વ્યવસાયમાં નવી તકો મળી શકે છે, જે ભવિષ્યમાં લાભદાયક સાબિત થશે. કાર્યક્ષેત્રે તમારો પ્રભાવ વધશે અને વિરોધીઓનો પ્રભાવ ઓછો રહેશે. વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શનથી મુશ્કેલ કાર્યો સરળ બનશે. સ્વાસ્થ્ય સારું રહેશે અને ઊર્જાનો અનુભવ થશે.

♐ ધન

રાશિ સ્વામી ગુરુની કૃપાથી ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે અને અટકેલા કાર્યો પૂર્ણ થશે. ધાર્મિક પ્રવૃત્તિઓ, સત્સંગ અથવા પૂજા-પાઠમાં મન લાગશે. લાંબા અંતરની સુખદ યાત્રાના યોગ છે. સંતાનો તરફથી ઉત્સાહવર્ધક સમાચાર મળી શકે છે.

♑ મકર

ધીરજ અને શાંતિથી દરેક પરિસ્થિતિનો સામનો કરવો અને ક્રોધથી દૂર રહેવું. કાર્યક્ષેત્રે વધુ મહેનત કરવી પડશે, પરંતુ તેનું પરિણામ સંતોષકારક રહેશે. નાણાકીય બાબતોમાં બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખવું. નિયમિત દિનચર્યા જાળવવાથી સ્વાસ્થ્ય સારું રહેશે.

♒ કુંભ

ભાગીદારીના વ્યવસાયમાં પ્રગતિ થશે અને નવા કરારો લાભદાયી સાબિત થઈ શકે છે. વૈવાહિક જીવનમાં મધુરતા વધશે અને જીવનસાથીનો મહત્વપૂર્ણ સહયોગ મળશે. તમારી નવીન વિચારસરણીથી લોકો પ્રભાવિત થશે. આર્થિક બાબતોમાં સ્થિરતા જોવા મળશે.

♓ મીન

દેવગુરુ બૃહસ્પતિના આશીર્વાદથી કારકિર્દીમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સારા સમાચાર મળી શકે છે. નાણાકીય બચતમાં વધારો થશે અને ખર્ચ પર સારો અંકુશ રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે અને મનમાં આત્મસંતોષની લાગણી રહેશે.

ચોરી કરેલ લેપટોપ ભંગારવાળાને વહેચી શેર બજારમાં આટલા લાખ ગુમાવનાર આઇટી મેનેજર પકડાયો

જે કંપનીના કિંમતી IT સાધનોની જવાબદારી હતી, એ જ કંપનીના લેપટોપ ચોરીને કોઈ વ્યક્તિ વર્ષો સુધી વેચતો રહે તો મામલો ચોંકાવનારો જ લાગે. હોંગકોંગમાં ડેલોઇટના પૂર્વ IT મેનેજર હો મન-કિટ સાથે આવું જ થયું હતું. તેણે 17 મહિનામાં કંપનીના 423 લેપટોપ ચોરી કરીને ઇલેક્ટ્રોનિક્સ રિસાયકલરને વેચ્યા અને તેમાંથી મળેલા 4.58 લાખથી વધુ હોંગકોંગ ડોલર, એટલે લગભગ ₹55 લાખ, શેર ટ્રેડિંગમાં લગાવી દીધા હતા. જોકે આખી રકમ પણ ગુમાવી દીધી હતી. હવે કોર્ટએ તેને 22 મહિનાની જેલની સજા ફટકારી છે.

હો મન-કિટ, 40, ડેલોઇટના હોંગકોંગ સ્થિત IT વિભાગમાં મેનેજર તરીકે કામ કરતો હતો. સપ્ટેમ્બર 2021થી ફેબ્રુઆરી 2023 વચ્ચે તેણે કંપનીના Lenovo લેપટોપ ગેરકાયદેસર રીતે બહાર કાઢીને રિસાયકલરને વેચ્યા હતા. 13 ફેબ્રુઆરી 2023ના રોજ કંપનીના IT એન્જિનિયરે સ્ટોક તપાસતાં 399 લેપટોપ ઓછા હોવાનું જાણવા મળ્યું હતું. CCTV તપાસમાં હોને સ્ટોરેજ રૂમમાંથી કમ્પ્યુટરનાં બોક્સ બહાર લઈ જતાં જોવામાં આવ્યો હતો. ત્યારબાદની તપાસમાં કુલ 423 લેપટોપની ચોરી સામે આવી હતી.

કોર્ટમાં જાણવા મળ્યું કે ચોરાયેલા લેપટોપની કિંમત આશરે 12 લાખ હોંગકોંગ ડોલર હતી. બેન્ક રેકોર્ડ મુજબ હોને વેચાણમાંથી 4.58 લાખથી વધુ હોંગકોંગ ડોલર મળ્યા હતા. તેણે આ રકમ સ્ટોક ટ્રેડિંગમાં વાપરી, પરંતુ ટ્રેડિંગમાં મોટું નુકસાન થતાં સમગ્ર રકમ ગુમાવી દીધી અને દેવામાં ફસાયો હતો.

આ મામલો બહાર આવ્યા બાદ હોને પોતાની ભૂલ સ્વીકારી અને પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. બચાવ પક્ષે કોર્ટમાં તેના માનસિક અને પારિવારિક તણાવનો પણ ઉલ્લેખ કર્યો હતો. જોકે જજે કહ્યું કે તેણે લાંબા સમય સુધી પોતાના નોકરીદાતાના વિશ્વાસનો દુરુપયોગ કર્યો હતો. અંતે હાલમાં હોંગકોંગની ડિસ્ટ્રિક્ટ કોર્ટે તેને 22 મહિનાની જેલની સજા સંભળાવી હતી.

નેપાળમાં જળપ્રલયથી હાહાકાર: 175નાં મોત, 28 દેશોના 476 લોકો લાપતા

0

નેપાળમાં ભોટેકોશી નદીમાં અચાનક આવેલા ભયાનક પૂરથી ભારે તબાહી સર્જાઈ છે. પૂર અને ભુસ્ખલનના કારણે અનેક ગામો તબાહ થઈ ગયા છે, જ્યારે અનેક લોકોના હજુ સુધી કોઈ સમાચાર મળ્યા નથી. રાહત અને બચાવ કામગીરી સતત ચાલી રહી છે.

નેપાળ એમ્બેસી અનુસાર અત્યાર સુધી 175 લોકોનાં મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 28 દેશોના કુલ 476 લોકો લાપતા હોવાની માહિતી સામે આવી છે. પૂર એટલું વિનાશક હતું કે અનેક પુલ તૂટી ગયા, ઘરો અને રસ્તાઓને નુકસાન થયું તથા અનેક જળવિદ્યુત પ્રોજેક્ટ્સ પણ પ્રભાવિત થયા છે.

આ વિનાશની સૌથી વધુ અસર રસુવા અને ધાદિંગ જિલ્લામાં જોવા મળી છે. આ ઉપરાંત નુવાકોટ, ચિતવન અને નવાલપરાસી ઈસ્ટ સહિતના વિસ્તારો પણ અસરગ્રસ્ત થયા છે. ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનને કારણે અનેક માર્ગો બંધ થઈ ગયા છે.

View this post on Instagram

A post shared by Gujarat Guardian (@gujarat_guardian)

આ મુશ્કેલ ઘડીમાં ભારતે નેપાળ તરફ મદદનો હાથ લંબાવ્યો છે. ભારત તરફથી રાહત સામગ્રી, દવાઓ અને ખાદ્ય પેકેટ્સ મોકલવામાં આવી રહ્યા છે. સાથે જ બચાવ અને રાહત કામગીરીમાં પણ મદદ કરવામાં આવી રહી છે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહ સાથે વાત કરી અને પૂરથી થયેલા જાનમાલના નુકસાન અંગે ઊંડી સંવેદના વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે સંકટની આ ઘડીમાં ભારત નેપાળની સાથે મજબૂતીથી ઊભું છે અને શક્ય તમામ માનવતાવાદી સહાય આપવા તૈયાર છે. બંને દેશોની ટીમો રાહત અને બચાવ કામગીરીમાં સાથે મળીને કામ કરી રહી છે.

નેપાળમાં તબાહી બાદ આ રાજ્યમાં હાઇ એલર્ટ! આટલાં જિલ્લાઑમાં વધ્યું પૂરનું જોખમ

0

નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ હવે બિહારના નદી કિનારાના વિસ્તારોમાં ચિંતા વધી છે. ગંડક નદીમાં આગામી કલાકોમાં પાણીનો પ્રવાહ ઝડપથી વધવાની શક્યતા વચ્ચે બિહાર સરકારે છ જિલ્લાઓને હાઈ અલર્ટ પર રાખ્યા છે. વહીવટીતંત્રે બચાવ કામગીરીથી લઈને સ્થળાંતર સુધીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

બિહાર સરકારે પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, ગોપાલગંજ, સારણ, મુઝફ્ફરપુર અને વૈશાલીમાં ખાસ તકેદારીના આદેશ આપ્યા છે. અધિકારીઓને ગંડકના જળસ્તર, તટબંધો, નીચાણવાળા વિસ્તારો, પુલ અને કલ્વર્ટનું સતત મોનિટરિંગ કરવા જણાવાયું છે. જરૂર પડે ત્યારે નદી કિનારે વસતા લોકોને સલામત સ્થળે ખસેડવાની પણ તૈયારી રાખવામાં આવી છે.

સૌથી મોટું જોખમ ગંડક નદીમાં અચાનક પાણી વધવાનું છે. અહેવાલો મુજબ આગામી 5થી 6 કલાકમાં જળસ્તરમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે અને લગભગ 3 મીટર સુધીની ફ્લેશ-ફ્લડ વેવની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. વાલ્મીકિનગર બેરેજ અને તેની આસપાસના વિસ્તારો પર પણ ખાસ નજર રાખવામાં આવી રહી છે.

બિહારમાં NDRF અને SDRFની ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. ગોપાલગંજ માટે NDRF ટીમ મોકલવાની, મુઝફ્ફરપુરમાં ટીમ સ્ટેન્ડબાય રાખવાની અને બેટિયામાં પણ વધારાની ટીમની વ્યવસ્થા કરવાની તૈયારી છે. જિલ્લા વહીવટીતંત્રને બોટ, રાહત શિબિર અને કમ્યુનિટી કિચનની વ્યવસ્થા તૈયાર રાખવા સૂચના આપવામાં આવી છે.

બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ અધિકારીઓ સાથે સમીક્ષા કરી અને તમામ સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં સંપૂર્ણ તૈયારી રાખવા નિર્દેશ આપ્યા છે. સરકારની અપીલ છે કે લોકો ગભરાય નહીં, પરંતુ નદી અને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખે તથા માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ કરે.

VIDEO: 110ની સ્પીડે Porsche લઈને નીકળ્યો હતો પાયલટ, ડેશકેમ વીડિયોએ ખોલી પોલ

અમદાવાદના વ્યસ્ત રસ્તા પર અચાનક સામેથી ધસી આવેલી Porsche કાર અને એક ક્ષણનો ફર્ક… આ ઘટનામાં મોટો અકસ્માત થતાં બચ્યો હોવાનો દાવો કરાયો છે. લો ગાર્ડન વિસ્તારમાં કથિત રીતે બેફામ ઝડપે કાર ચલાવવાનો વીડિયો વાયરલ થતાં હવે નવરંગપુરા પોલીસે 24 વર્ષીય પાયલટની ધરપકડ કરી છે. ઘટના અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

મળતી માહિતી મુજબ, ગાંધીનગરના લિંબડિયા ગામનો રહેવાસી અરકાન તિર્મિઝી Porsche ચલાવી રહ્યો હતો. ફરિયાદી શ્રેયાંશના જણાવ્યા અનુસાર, તે HCG હોસ્પિટલ નજીક કામ પૂરું કરીને પોતાની કાર તરફ જઈ રહ્યો હતો ત્યારે Porsche ખૂબ જ ઝડપે તેની તરફ આવી હતી. કાર લગભગ 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હતી. શ્રેયાંશની કારને ટક્કર થતાં બચી હતી અને સમગ્ર ઘટના તેની કારના ડેશકેમમાં કેદ થઈ ગઈ હતી.

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ નવરંગપુરા પોલીસે Porscheના રજિસ્ટ્રેશન નંબરના આધારે કારને ટ્રેસ કરી હતી. ત્યારબાદ કારના માલિકને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો અને Porsche જપ્ત કરવામાં આવી હતી. પોલીસે બેદરકારીપૂર્વક અને અન્ય લોકોના જીવને જોખમમાં મૂકે તેવી રીતે ડ્રાઇવિંગ કરવાના આરોપસર કેસ નોંધ્યો હતો.

દરમિયાન, આ જ Porscheનો અન્ય એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં કાર આશરે 300 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ વીડિયો ખરેખર આ જ કારનો છે કે નહીં અને તેની ઝડપ કેટલી હતી, તેની પણ પોલીસ તપાસ કરી રહી છે.

ફરિયાદ બાદ આરોપીએ ફરિયાદીનો સંપર્ક કરીને પોતે પાયલટ હોવાનું જણાવ્યું હતું અને ફરિયાદ પાછી ખેંચવા વિનંતી કરી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. સમગ્ર મામલે પોલીસ વીડિયો, ફરિયાદ અને અન્ય પુરાવાના આધારે તપાસ આગળ ધપાવી રહી છે.

પાકિસ્તાનમાંથી ભારત શા માટે આવી 150 દુલ્હનો? કારણ જાણશો તો ચોંકી જશો

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, સરહદો બંધ થઈ અને વીઝા પર કડક નિયંત્રણો લાગ્યા; પરંતુ આ બધાની વચ્ચે લગ્નના સંબંધો અટક્યા નહીં. પાકિસ્તાનના સિંધ પ્રાંતની ઓછામાં ઓછી 150 સિંધિ હિન્દુ યુવતીઓ ભારત પહોંચી ચૂકી છે, જ્યાં તેમના ભારતીય યુવકો સાથે લગ્ન નક્કી થયા હતા. આ દુલ્હનો માટે ભારત આવવાનો રસ્તો વાઘા-અટારી સરહદ નહીં, પરંતુ ત્રીજા દેશોના હવાઈ માર્ગોમાંથી પસાર થયો.

સિંધના અનેક હિન્દુ સિંધિ પરિવારોના ભારત સાથે વર્ષોથી પારિવારિક સંબંધો છે. ઘણા પરિવારોના સગાં ભારતના નાગપુર, રાયપુર, જોધપુર, અમદાવાદ, પુણે અને ભોપાલ જેવા શહેરોમાં રહે છે. તેથી ભારત ખાતે લગ્ન માટે સંબંધો નક્કી થવા નવી બાબત નથી.

પરંતુ પહેલગામ આતંકી હુમલા અને ત્યારબાદ મે 2025માં થયેલા ઓપરેશન સિંદૂર પછી ભારત-પાકિસ્તાન વચ્ચેની અવરજવર પર ભારે નિયંત્રણ આવ્યું અને વાઘા-અટારી માર્ગ બંધ થયો હતો. પરિણામે ભારત સાથે સગાઈ થયેલી અનેક પાકિસ્તાની યુવતીઓના લગ્ન અટકી ગયા હતા. અહેવાલો મુજબ આવી ઓછામાં ઓછી 150 યુવતીઓ લાંબા સમયથી રાહ જોઈ રહી હતી.

સિંધિ સમુદાયના નેતાઓએ આ મુદ્દો કેન્દ્ર સરકાર સુધી પહોંચાડ્યો હતો. ત્યારબાદ ગૃહ મંત્રાલય તરફથી ખાસ કિસ્સાઓમાં વીઝાની મંજૂરી આપવામાં આવી હતી. શરત એ હતી કે પાકિસ્તાનથી ભારત જમીની માર્ગે નહીં, પરંતુ હવાઈ માર્ગે આવવું પડશે. આ કારણે દુલ્હનો દુબઈ, મસ્કત, શ્રીલંકા, બાંગ્લાદેશ, કોલંબો અને અન્ય ટ્રાન્ઝિટ રૂટ મારફતે ભારત પહોંચી હતી.

હાલમાં આશરે 300 વધુ પાકિસ્તાની સિંધિ યુવતીઓ વીઝાની રાહ જોઈ રહી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. એટલે 150 દુલ્હનોનું ભારત આગમન માત્ર લગ્નની ઘટના નથી, પરંતુ લાંબા સમયથી અટવાયેલા સરહદપાર પારિવારિક સંબંધોને ફરી રસ્તો મળ્યાનો સંકેત પણ છે.

નેપાળ પૂરનો કહેર વધતાં 105 ભારતીયો લાપતા, રેસ્ક્યુ ઓપરેશન તેજ

નેપાળમાં આજે સવારે આવેલા અચાનક ફ્લેશ ફ્લડે થોડા જ સમયમાં ભારે તબાહી મચાવી દીધી હતી. તિબેટ તરફથી આવેલા પૂરના જોરદાર પ્રવાહે રાસુવા વિસ્તારમાં રસ્તા, વસાહતો અને અન્ય માળખાંને નુકસાન પહોંચાડ્યું છે. સૌથી ચિંતાજનક વાત એ છે કે નેપાળ ટૂરિઝમ બોર્ડની પ્રાથમિક માહિતી મુજબ 105 ભારતીયો સહિત 291 વિદેશી નાગરિકો અને કુલ 93 નેપાળી મુસાફરો સંપર્કવિહોણા છે. આ આંકડા હજુ ચકાસણી હેઠળ છે.

પૂર ભોટે કોસી નદીમાં લગભગ સવારે 8:30થી 9 વાગ્યાની આસપાસ તિબેટ તરફથી આવ્યું હોવાનું સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું છે. રાસુવાના ટિમુરે અને સ્યાફ્રુબેસી સહિતના વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. પૂરના કારણે રસ્તા અને પુલ તૂટી ગયા હોવાથી અસરગ્રસ્ત વિસ્તારો સાથેનો સંપર્ક પણ મુશ્કેલ બન્યો છે.

નેપાળ ટૂરિઝમ બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે સંપર્કવિહોણા પ્રવાસીઓની સંખ્યા પ્રાથમિક અહેવાલો અને ટ્રાવેલ એજન્સીઓ પાસેથી મળેલી માહિતી પર આધારિત છે. બોર્ડ પ્રવાસી પોલીસ, સ્થાનિક પ્રશાસન, સુરક્ષા એજન્સીઓ અને ટ્રાવેલ ઓપરેટરો સાથે મળીને લોકોનું વાસ્તવિક સ્ટેટસ ચકાસી રહ્યું છે.

આ દુર્ઘટનામાં અત્યાર સુધી ઓછામાં ઓછા 8 મૃતદેહો મળી આવ્યા હોવાના અહેવાલો છે, જ્યારે રેસ્ક્યૂ ઓપરેશન સતત ચાલુ છે. નેપાળ આર્મીએ હેલિકોપ્ટર અને રાહત ટીમો તૈનાત કરી છે. અહેવાલ મુજબ પૂરના કારણે આશરે 430 મેગાવોટની હાઇડ્રોપાવર ક્ષમતા પણ અસરગ્રસ્ત થઈ છે.

નેપાળમાં કૈલાશ માનસરોવર યાત્રા માટે જતા ઘણા ભારતીય યાત્રીઓ પણ આ વિસ્તારથી પસાર થતા હતા. તેથી પરિવારજનોમાં ચિંતા વધી છે અને લાપતા યાત્રીઓનો સંપર્ક સ્થાપિત કરવા માટે શોધખોળ તેજ કરવામાં આવી છે.

સોનું-ચાંદી છોડો, અહીં તો આટલાં કિલો વાળની લૂંટ! 23 કોથળા લઈ ફરાર થયેલા લૂંટારુઓનું રહસ્ય ખુલ્યું

0

સોનું, ચાંદી કે રોકડની લૂંટ તો તમે ઘણી સાંભળી હશે, પરંતુ 330 કિલો વાળની લૂંટ સાંભળીને કદાચ તમને પણ નવાઈ લાગશે. બાંગ્લાદેશના ચુઆડાંગામાં હથિયારધારી શખ્સોએ રસ્તા પર એક કવરડ વાન અટકાવી વાળના 23 કોથળા લૂંટી લીધા હતા. જોકે, ઘટનાના 24 કલાકમાં જ પોલીસે સમગ્ર કેસનો પર્દાફાશ કરી લૂંટાયેલો માલ પરત મેળવી લીધો અને બે લોકોની ધરપકડ કરી હતી.

ઘટના 22 ઓગસ્ટે બપોરે દમુરહુદા ઉપજિલ્લાના કોષાઘાટા વિસ્તારમાં બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, 7થી 8 હથિયારધારી શખ્સોએ કવરડ વાનને રોકી અંદર રહેલા 23 કોથળા વાળ લઈ ફરાર થઈ ગયા હતા. આ વાળનું કુલ વજન આશરે 330 કિલો હતું અને વેપારીઓએ તેની બજાર કિંમત 1 કરોડ બાંગ્લાદેશી ટકાથી વધુ હોવાનું જણાવ્યું હતું.

આ માલ ચુઆડાંગાના વેપારીઓએ ઢાકાથી ખરીદ્યો હતો અને પ્રોસેસિંગ માટે દમુરહુદાના કાર્પસડાંગા વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં લઈ જવાઈ રહ્યો હતો. ખાસ વાત એ છે કે આ એક જ વેપારીનો માલ નહોતો; 23 કોથળામાં 22 માલિકોનો માલ સામેલ હતો.

તપાસ દરમિયાન પોલીસે કવરડ વાનના ડ્રાઈવર 47 વર્ષીય મોહમ્મદ શાહિદુલ ઈસ્લામ અને ફેક્ટરી મેનેજર 39 વર્ષીય સનવાર હુસૈન સંતુની ધરપકડ કરી હતી. પોલીસે બંને પાસેથી મળેલી માહિતીના આધારે 23 કોથળા વાળ ચુઆડાંગા સર્કિટ હાઉસ વિસ્તારેથી બિનવારસી હાલતમાં જપ્ત કર્યા હતા.

પોલીસે કેસ નોંધ્યો છે અને ઘટનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની ઓળખ તથા ધરપકડ માટે તપાસ ચાલુ રાખી છે.

VIDEO: તિબેટ બોર્ડર પર કાળ બની ભોટે કોશી નદી! નેપાળમાં ભારે તબાહી આવતા હજારો લોકો લાપતા

હિમાલયની સરહદે અચાનક ધસી આવેલા પાણીના પ્રવાહએ નેપાળને હચમચાવી દીધું છે. રસુવા જિલ્લામાં ભોટે કોશી નદીમાં આવેલા ભયાનક ફ્લેશ ફ્લડથી તિમુરે અને સ્યાબ્રુબેસી સહિતના વિસ્તારોમાં ભારે વિનાશ થયો છે. ઘરો, વાહનો, પુલો, રસ્તાઓ અને અન્ય માળખાંને નુકસાન થયું છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો હજુ પણ લાપતા હોવાની માહિતી સામે આવી રહી છે. અહેવાલો મુજબ અત્યાર સુધી 8 લોકોનાં મોત થયા છે, જોકે નેપાળના અધિકારીઓએ અંતિમ જાનહાનિની સત્તાવાર પુષ્ટિ હજુ કરી નથી.

નેપાળના કાઠમંડુ પોસ્ટ અનુસાર, તિમુરે વિસ્તારમાં ફરજ પર રહેલા 9 સશસ્ત્ર પોલીસ દળના જવાનો ગુમ થયા છે. પૂર બાદ તિમુરેનું એરિયા પોલીસ કાર્યાલય, સ્યાબ્રુબેસી અને રસુવાગઢી પોલીસ પોસ્ટને પણ નુકસાન પહોંચ્યું છે. સરકાર દ્વારા સર્ચ અને રેસ્ક્યૂ માટે નેપાળ આર્મી, આર્મ્ડ પોલીસ ફોર્સ અને નેપાળ પોલીસને તૈનાત કરવામાં આવ્યા છે.

પૂરનું પાણી તિબેટ તરફથી ભોટે કોશી નદીમાં પ્રવેશ્યું હોવાનું અધિકારીઓનું કહેવું છે. પરંતુ અહીં મહત્વની વાત એ છે કે “ગ્લેશિયર ફાટવાથી પૂર આવ્યું” એવી વાતની હજી સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પૂરનું ચોક્કસ કારણ તપાસ હેઠળ છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ રસુવામાં ભારે વરસાદને બદલે તિબેટ તરફ નોંધાયેલા વરસાદની અસર હોઈ શકે છે.

આ કુદરતી આફતે નેપાળના વીજ ક્ષેત્રને પણ મોટો ફટકો આપ્યો છે. રોઇટર્સ મુજબ 15 હાઇડ્રોપાવર પ્રોજેક્ટ અસરગ્રસ્ત થયા છે અને અંદાજે 430 મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતા જોખમમાં આવી છે. ઉપરાંત, બેટ્રાવતીથી રસુવાગઢી બોર્ડર સુધીનો લગભગ 42 કિલોમીટરનો માર્ગ અનેક સ્થળે ધોવાઈ ગયો છે અને ઘણા પુલો તૂટી ગયા છે.

પૂરનું પાણી હવે નીચેના વિસ્તારો તરફ આગળ વધવાની શક્યતા હોવાથી પ્રશાસને ત્રિશૂલી નદીના કાંઠે રહેતા લોકોને તાત્કાલિક સાવચેત રહેવા અને જરૂર પડે તો ઊંચાઈવાળા સુરક્ષિત સ્થળે ખસવા અપીલ કરી છે. બચાવ અને નુકસાનનું આકલન હજુ ચાલુ છે.