૪૩ વર્ષ પૂર્વેની એક મધરાત્રે મચ્છુએ મોરબીને તહસનહસ કરી નાંખ્યુ હતું, લગભગ દોઢ હજાર લોકો મોતને ભેટ્યાં હતા

Share this story

One midnight 43 years ago

  • કાદવ-કીચડમાં, મકાનોની છત ઉપર અને ઝાડ ઉપર માનવ લાશો દિવસો સુધી સડતી રહી હતીઃ જાનવરો ખીલે બાંધેલી હાલતમાં મોતને ભેટ્યા હતાઃ એ સમયે RSSના સ્વંયમ સેવકો દેવદૂત બનીને મદદે આવ્યા હતા.

ઔદ્યોગિક નગરી મોરબી (Morbi) આજે વિશ્વમાં પોતાની અલગ ઓળખ બનાવવામાં સફળ રહી છે પરંતુ મોરબી માટે આજનો દિવસ ગોઝારો બની ગયો છે. આજે ઝૂલતો પુલ (suspension bridge) તૂટવાની દુર્ઘટના સર્જાઈ છે. જેમાં ૪૦૦ જેટલા લોકોના પાણીમાં ખાબક્યા છે. આ ઘટના બાદ હાલ પુરજોશમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ત્યારે ૪૩ વર્ષ અગાઉ કુદરતી આપદાઓએ આ શહેરને શ્મશાનભૂમિ (The burial ground) બનાવવામાં કઈ બાકી રાખ્યું નથી. ભૂકંપ હોય કે જળ હોનારત હોય મોરબીમાં (Morbi) બંને આફતે ઘણા સ્વજનોને ગુમાવ્યા છે. ખાસ કરીને ૧૧ ઓગસ્ટ ૧૯૭૯ની તારીખ મોરબીવાસીઓ ક્યારેય ભૂલી શકવાના નથી એ ગોઝારા દિવસે જીવનરૂપી જળે મોરબીવાસીઓનાં (Jale Morbivasi) જે રીતે જીવ લીધા એ ઘટના આજે પણ ભલભલાના કાળજા કંપાવી નાખે છે.

૧૦ ઓગસ્ટ ૧૯૭૯ની રાત્રીના મોરબીમાં ૨૫ ઈંચ વરસાદ ખાબક્યો હતો. તો ઉપરવાસમાં પણ પાણીની આવક સતત ચાલુ હતી. પરિણામે મચ્છુ ડેમના દરવાજા ખોલવા જરૂરી હતા પણ લાઈટ ન હોવાથી ગામના લોકોની મદદ લઇ હેન્ડલથી દરવાજા ખોલવા પ્રયત્ન કરાયો પણ સફળ ન થયા અને ગામના યુવાનો પણ પાણી જોઈ ભાગી ગયા. પાણી સતત વધતા બપોરે 3:15ના નવાગામ તરફનો માટીનો પાળો તુટ્યો અને પાણી પ્રથમ લીલાપરને પોતાની ઝપટમાં લીધું અને બાદમાં મોરબી તરફ ધસમસતું આવી ગયું અને મોરબી વાસીઓને પણ પોતાની ઝપટમાં લીધુ. આ હોનારતમાં ૬૧૫૮ મકાન, ૧૮૦૦ ઝુંપડા નાશ પામ્યા તો ૩૯૦૦ જેટલા મકાનને નુકસાન થયું હતુ. સરકારી આંકડા મુજબ ૧૪૩૯ માનવ અને ૧૨,૮૪૯ પશુઓના જીવ ગયા હતા.

સૌથી મોટી કરુણતા એ છે કે આટલી મોટી વિપદા કુદરતી હતી કે માનવીય ભૂલ તે સાચા કારણથી મોરબીવાસીઓ આજે પણ અજાણ છે. જળ હોનારતના ૪૩ વર્ષ થવા છતાં આજે પણ મોરબીવાસીઓના માનસપટ્ટમાં એ કાળનો દિવસ સામે આવી જાય છે. ૧૧ ઓગસ્ટના સવારે જે સામાન્ય જનજીવન લાગતું હતું તે ગણતરીની કલાકમાં સ્મશાનમાં ફેરવાઈ ગયું. મચ્છુ-૨ ડેમમાં નવાગામ તરફના માટીના પાળો તૂટવાને કારણે ડેમમાં રહેલું પાણી આસપાસનાં ગામને પોતાની ઝપટમાં લેતા લેતા મોરબી તરફ આવ્યું અને મોરબી વાસીઓ કઈ વિચારે તે પહેલા શહેરીજનોને ૨૫થી ૩૦ ફૂટ ઉંચા પાણીનાં મોજા મોરબીવાસીઓ પર ફરી વળ્યા હતા.

મોરબીમાં આવેલ જળ હોનારતનું સરકારે સાચું કારણ રજુ કરવાને બદલે કમિટીનું વિસર્જન કરી દીધું હતું. જેના કારણે લોકો આ પ્રલયનું સાચું કારણ જાણી શક્યા ન હતાં પરંતુ આ કારણ બહાર લાવવાંનું બીડું મૂળ મોરબીનાં વતની અને અમેરિકામાં વસતા યુવાન ઊત્પલ સાડેંસરા અને તેનાં મિત્ર ટોમ વૂડને સંશોધન કર્યું જુદા જુદા દસ્તાવેજનો અભ્યાસ કર્યો, અનેક લોકોને મળ્યા બાદ તેમણે ‘નો વન હેડ અ ટન્ગ ટૂ સ્પીચ જેનું ગુજરાતી અનુવાદ નીરંજન સાન્ડેસરાએ કર્યું જેનું નામ ‘ઝીલો રે મચ્છુંનાં પડકાર’તૈયાર કર્યું. આ પુસ્તકમાં પૂર આટલું ભયાનક કેમ બન્યુ તેનાં કારણ રજુ કરવામાં આવ્યાં છે.

જેમાં સૌથી મોટું કારણ ડેમની ડિઝાઇન અને સ્થળમાં ભૂલો સામે આવી છે. લેખકનાં મતે ડેમ જે સ્થળે તૈયાર કરાવ્યો હતો તે સ્થળે ભૂતકાળમાં મોરબીના મહારાજાને વિચાર આવ્યો હતો પણ તે વખતના હાઈડ્રો મેનેજરે ડેમનું સ્થળ યોગ્ય ન હોય જો આ સ્થળે ડેમ બને તો અભિશાપ બની શકે છે તેમ કહી રાજાને ચેતવતાં યોજના પડતી મુકાઈ હતી. જો કે આઝાદી બાદ તત્કાલીન ગુજરાત સરકારે ત્યાં ડેમ બનવવાની ચેતવણી ભૂલી જઇ ડેમ બાંધ્યો. આ ઉપરાંત ડેમની ડિઝાઇન પણ ભુલ ભરેલી હતી.

કેન્દ્ર સરકારે સુચવેલા પગલાંને અવગણી તેમજ ડેમમાં મહત્તમ પાણી આવે તૌ તેને છોડવાની ગણતરી પણ ખોટી હતી, પધ્ધતિ પણ જૂની હતી અને આ જ કારણે બનાવવામાં આવેલ આ ડેમ ખરેખર મોરબી માટે અભિશાપ બન્યો. આ ઉપરાંત ડેમ સાઈટ પર પૂર વખતે વીજળી, ફોનની કૈ વાયરલેસની પણ સુવિધા બંધ થતા મોરબી વાસીઓને સમયસર ચેતવણી ન મળતાં વધું લોકોએ જીવ ગુમાવ્યો હતો.

મચ્છુની હોનારત વખતે આરએસએસના સભ્યોએ કાદવ, કીચડમાં ઉતરીને પણ લોકોના મૃતદેહોને બહાર કાઢવા સાથે અંતિમ સંસ્કાર પણ કર્યા હતા. RSSની કામગીરી આજે પણ ઘણાને યાદ હશે.

એક દંતકથા એવીપણ છે કે મોરબીનો રાજા એક અતિસુંદર મહિલાની પાછળ પડ્યો હતો  પરંતુ ચારિત્ર્ય અને શીલવાન મહિલાએ રાજાને શરણે થવાને બદલે મોરબીના રાજાને શ્રાપ આપ્યો હતો. અલબત્તા આ દંતકથા છે. આના કોઈ પુરાવા નથી પરંતુ ગુજરાતના લોકગીતોમાં આ ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવે છે.

આ પણ વાંચો :-