Tuesday, Apr 14, 2026

નીતિશ કુમારની રાજકીય સફર: 21 વર્ષમાં 10 વાર CM, 6 વખત પલટીથી ચર્ચામાં

3 Min Read

બિહારના રાજકારણના ‘બેતાજ બાદશાહ’ ગણાતા નીતીશ કુમાર હવે રાજ્યનું રાજકારણ છોડીને દિલ્હીની સિયાસત તરફ પ્રયાણ કરી રહ્યા હોય તેમ જણાય છે. છેલ્લા બે દાયકાથી બિહારનું રાજકારણ જેમના ઇર્દગિર્દ ફરે છે, તેવા નીતીશ કુમાર મંગળવારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. ગુરુવારે એટલે કે 15 એપ્રિલે બિહારમાં ભાજપના નેતૃત્વવાળી નવી સરકાર શપથ લેશે તેવી શક્યતા છે.

શપથ લેવાનો અનોખો રેકોર્ડ
નીતીશ કુમારે છેલ્લા ચાર વર્ષમાં ચાર વખત શપથ લીધા છે. જેમાં ત્રણ વાર મુખ્યમંત્રી તરીકે અને તાજેતરમાં 10 એપ્રિલે રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લીધા હતા. 2025ની વિધાનસભા ચૂંટણીમાં NDAએ બે તૃતીયાંશ બહુમતી મેળવી હતી, છતાં માત્ર 5 મહિનામાં જ ફરી સરકાર બદલાવાની કવાયત તેજ બની છે.

10 વાર CM અને 6 વાર રાજીનામું
નીતીશ કુમારના નામે ભારતીય રાજકારણમાં એક એવો રેકોર્ડ છે જેની બરાબરી કરવી મુશ્કેલ છે

  • શરૂઆત: વર્ષ 2000માં પ્રથમવાર મુખ્યમંત્રી બન્યા પણ બહુમતી સાબિત ન કરી શકતા 7 દિવસમાં રાજીનામું આપ્યું.
  • સત્તાનું કેન્દ્ર: 2005થી તેઓ બિહારના રાજકારણની ધરી બની ગયા. ત્યારથી અત્યાર સુધીમાં તેમણે કુલ 10 વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે અને 6 વખત પદેથી રાજીનામું આપ્યું છે.

ગઠબંધન બદલવાની વ્યૂહરચના
નીતીશ કુમાર માટે રાજીનામું આપવું એ માત્ર મજબૂરી નહીં પણ એક રાજકીય ચાલ રહી છે.

  • 2013: ભાજપ સાથે છેડો ફાડ્યો.
  • 2014: લોકસભામાં હાર બાદ રાજીનામું આપ્યું, પણ 2015માં જીતન રામ માંઝીને હટાવી ફરી CM બન્યા.
  • 2017: ‘મહાગઠબંધન’ તોડીને ફરી NDA સાથે મળીને સરકાર બનાવી.
  • 2022: ફરી NDA છોડીને RJD-કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા અને 8મી વાર CM બન્યા.
  • 2024: ફરી પલટી મારીને NDAમાં વાપસી કરી અને 9મી વાર શપથ લીધા.
  • 2025: વિધાનસભા ચૂંટણી બાદ 10મી વાર મુખ્યમંત્રી બન્યા.

પોતાના દમ પર ક્યારેય બહુમતી નહીં
રસપ્રદ વાત એ છે કે નીતીશ કુમારે 21 વર્ષ સુધી શાસન કર્યું, પણ તેમની પાર્ટી જેડીયુ (JD-U) ક્યારેય એકલા હાથે 122ના જાદુઈ આંકડા સુધી પહોંચી શકી નથી. તેઓ હંમેશા ગઠબંધન સાથીઓ પર નિર્ભર રહ્યા છે. 2010માં તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 115 બેઠકોનું હતું, જે બહુમતીથી 7 બેઠક ઓછી હતી.

નીતીશ કુમારના સમર્થકો તેને તેમની રાજકીય કુશળતા ગણાવે છે, જ્યારે વિરોધકો તેને જનાદેશ સાથેનો વિશ્વાસઘાત ગણાવે છે. હવે જ્યારે નીતીશ કુમારનો બિહારમાં યુગ પૂરો થઈ રહ્યો હોય તેમ લાગે છે, ત્યારે સમગ્ર દેશની નજર પટના પર ટકેલી છે.

Share This Article