રાષ્ટ્રીય તપાસ એજન્સીએ પાકિસ્તાનથી જોડાયેલા આતંકીઓની ઘુસણખોરીના કિસ્સાઓને ગંભીરતાથી લઈ મોટું પગલું ભર્યું છે. તાજેતરમાં સરહદ પારથી ઘુસણખોરીની ઘટનાઓમાં વધારો થતા NIAએ જમ્મુમાં 12 સ્થળોએ દરોડા પાડી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે જેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે, તેઓમાં આતંકી જૂથોને મદદરૂપ થનારા ઓવરગ્રાઉન્ડ વર્કર્સ (OGW) શામેલ છે. આ લોકો ભારતમાં પ્રવેશનારા આતંકીઓને લોજિસ્ટિક્સ, સુરક્ષિત આશરો અને માર્ગ સુવિધા પૂરી પાડવામાં સહાય કરી રહ્યા હતા.
NIAએ અગાઉ, 24 ઑક્ટોબર 2023ની ઘુસણખોરી સંબંધિત ઘટનાઓ માટે આ લોકોને જવાબદાર ઠેરવતા ગુના નોંધ્યા હતા. આ ગુનામાં, આંતરરાષ્ટ્રીય સરહદ અને LOC મારફતે લશ્કર અને જૈશ સાથે સંકળાયેલા આતંકીઓની મદદ કરનારાઓ સામેલ હતા. NIAના એક અધિકારીએ જણાવ્યું કે, “જમ્મુ વિસ્તારમાં રહેનારા ઓજીડબલ્યુ અને અન્ય આતંકી જૂથોએ આ ઘુસણખોરોને શરણ, ખોરાક અને નાણાંની વ્યવસ્થા કરી હતી.”