દેશભરમાં સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. 15 મેની સવારે દેશના મોટા ભાગના શહેરોમાં સોનાના દરમાં ફરી તેજી નોંધાઈ હતી. સરકારે સોના અને ચાંદી પર આયાત જકાતમાં વધારો કર્યા બાદ ભાવ ઘટવાની આશા હતી, પરંતુ તેની વિપરીત સોનાના ભાવ સતત વધી રહ્યા છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,62,270 સુધી પહોંચી ગયો છે, જ્યારે મુંબઈમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,62,340 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે.
દિલ્હીના બુલિયન બજારમાં એક દિવસ અગાઉ 99.9 ટકા શુદ્ધ સોનાના ભાવમાં ₹650નો વધારો નોંધાયો હતો અને ભાવ ₹1,66,000 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગયો હતો. બજારમાં સતત વધી રહેલી કિંમતોને કારણે રોકાણકારો અને ગ્રાહકો બંનેમાં ચિંતા જોવા મળી રહી છે.
સરકારે સોના અને ચાંદી પર આયાત ડ્યુટી 6 ટકાથી વધારીને 15 ટકા કરી છે. પ્લેટિનમ પર પણ ડ્યુટી 6.4 ટકાથી વધારીને 15.4 ટકા કરવામાં આવી છે. સોના-ચાંદીના તાર, સિક્કા અને અન્ય કિંમતી વસ્તુઓ પર પણ નવા કર નિયમો લાગુ કરવામાં આવ્યા છે. નવી આયાત જકાત 13 મેથી અમલમાં આવી છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનાનો ભાવ હાલમાં પ્રતિ ઔંસ $4,700.86 પર ટ્રેડ થઈ રહ્યો છે. દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,48,960 છે. મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ ₹1,48,810 પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,62,340 નોંધાયો છે.
ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં પણ સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. અહીં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,48,860 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,62,390 સુધી પહોંચી ગયો છે.
બીજી તરફ ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. 15 મેની સવારે ચાંદીનો ભાવ ઘટીને ₹2,99,900 પ્રતિ કિલોગ્રામ થયો હતો. એક દિવસ અગાઉ દિલ્હીના બુલિયન બજારમાં ચાંદીના ભાવ ₹900 ઘટીને ₹2,96,600 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયા હતા. આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરી મહિનામાં ચાંદીનો ભાવ ₹4 લાખ પ્રતિ કિલોગ્રામને પાર ગયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં હાલ ચાંદી $87.04 પ્રતિ ઔંસના ભાવે ટ્રેડ થઈ રહી છે.
નિષ્ણાતોના મતે સોના પર આયાત ડ્યુટીમાં કરાયેલા વધારાની સીધી અસર સ્થાનિક બજારમાં જોવા મળશે અને સોનાના ભાવમાં વધુ વધારો થઈ શકે છે. જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના મતે આયાત ડ્યુટી વધારવાથી આયાતમાં ઘટાડો થતો નથી, પરંતુ બજારમાં કિંમતો વધુ વધી જાય છે. જ્વેલરી વેપારીઓનું માનવું છે કે આયાત જકાત વધારવાને બદલે સોના અને ચાંદીની આયાતના જથ્થા પર નિયંત્રણ લાવવું વધુ અસરકારક ઉપાય સાબિત થઈ શકે છે.