નવાઝ શરીફના જમાઈ સફદરેએ ભારત અને ઇઝરાઇલને પરમાણુ બોમ્બની ધમકી આપી

Share this story

ઇઝરાઇલ-હમાસના સંઘર્ષમાં દુનિયા બે ભાગમાં વહેંચાઇ ગઇ છે. અમેરિકા, યુકે, ભારત, ફ્રાન્સ, જર્મની જેવા દેશો ઇઝરાઇલને સાથ આપી રહ્યા છે તો રશિયા અને મુસ્લિમ દેશો હમાસનું સમર્થન કરી રહ્યા છે. હવે આ મુદ્દે પાકિસ્તાનના ભૂતપૂર્વ પીએમ નવાઝ શરીફના જમાઈ અને પાકિસ્તાન મુસ્લિમ લીગ (એન)ના નેતા કેપ્ટન સફદરે એક રેલીને સંબોધતા ખુલ્લેઆમ ભારત અને ઈઝરાયલ વિરુદ્ધ ઝેર ઓક્યું છે અને મુસ્લિમોને ગઝવા-એ-હિંદ માટે તૈયાર રહેવા જણાવ્યું છે. સફદરે ઇઝરાઇલ અને ભારતને પરમાણુ બોમ્બની ધમકી પણ આપી છે.

કેપ્ટન સફદરે પેશાવરમાં આયોજિત પેલેસ્ટાઈન તરફી રેલીમાં આ ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું છે. પોતાના સંબોધન દરમિયાન સફદરે કહ્યું કે જો મુસ્લિમો જેહાદ નહીં કરે તો તેમને અપમાનનો સામનો કરવો પડશે. મુસ્લિમોએ આગળ વધીને જેહાદ કરવી જ પડશે.

પેલેસ્ટાઇન તરફી રેલીને સંબોધતા સફદરે આગળ કહ્યું હતું કે પેલેસ્ટાઈનમાં મુસ્લિમો પર અત્યાચાર થઈ રહ્યો છે, ગાઝામાં બાળકો અને મહિલાઓ પર અત્યાચાર થઇ રહ્યા છે, તેમની કત્લેઆમ કરવામાં આવી રહી છે. આજે પેલેસ્ટાઈનના લોકો તમારી તરફ જોઈ રહ્યા છે. એમને તમારા સાથની જરૂરત છે. ગાઝાના મુસ્લિમોને કહો કે અમે તમારી સાથે છીએ. સફદરે એમ પણ કહ્યું કે પાકિસ્તાનના પરમાણુ બોમ્બ તેમના એકલાના નહીં પણ બધા મુસ્લિમોના છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની કટ્ટરપંથી પક્ષ જમિયત-એ-ઉલામા ઈસ્લામ દ્વારા ગાઝા પર ઇઝરાઇલના હુમલાના વિરોધમાં અને પેલેસ્ટાઇનના સમર્થનમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીને પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફના જમાઈ કેપ્ટન સફદર સંબોધિત કરી રહ્યા હતા. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ લાંબા સમય બાદ લંડનથી પાકિસ્તાન પરત ફરી રહ્યા છે, આ પહેલા તેમની પાર્ટીએ તેમના સ્વાગત માટે જોરદાર તૈયારી શરૂ કરી છે અને દેશભરમાં રેલીઓનો રાઉન્ડ શરૂ કર્યો છે.

આ પણ વાંચો :-