Friday, Apr 24, 2026

મર્ચન્ટ નર્સિંગ કોલેજની હોસ્ટેલમાં નવસારીની વિદ્યાર્થિનીનો આપઘાત

2 Min Read

મહેસાણા-વિસનગર રોડ પર આવેલી મર્ચન્ટ નર્સિંગ કોલેજમાં એક ઘટના સામે આવી છે.જેમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. આ બનાવને પગલે શિક્ષણ જગતમાં અને વિદ્યાર્થીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

મૃતક વિદ્યાર્થીની અસ્મિતા પટેલ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રૂપાલા ગામની વતની હતી અને તે BSC નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. ઘટનાની વિગત મુજબ વિદ્યાર્થીની કોલેજની હોસ્ટેલમાં રૂમ નંબર A-208માં રહેતી હતી. નર્સિંગ કોલેજની પરીક્ષા ગઈકાલે જ પૂર્ણ થઈ હતી.જેના કારણે હોસ્ટેલના અન્ય વિદ્યાર્થીઓ પોતાના કામમાં વ્યસ્ત હતા અને રૂમમાં તે સમયે કોઈ હાજર નહોતું. આ તકનો લાભ લઈ વિદ્યાર્થીનીએ અગમ્ય કારણોસર રૂમમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.

હોસ્ટેલનો સફાઈ કર્મીએ રૂમ સાફ કરવા માટે રૂમનો દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ અંદરથી કોઈ જવાબ મળ્યો ન હતો. જેથી શંકા જતાં દરવાજો તોડીને અંદર જોયું તો યુવતી ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી. આ દ્રશ્ય જોઈને સ્ટાફ સ્તબ્ધ થઈ ગયો હતો અને તુરંત જ કોલેજ સત્તાવાળાઓને જાણ કરવામાં આવી હતી.

ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળની તપાસ કરીને મૃતદેહને નીચે ઉતાર્યો હતો. તેમજ આત્મહત્યાના કારણો જાણવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

બીજી તરફ આ કરુણ બનાવની જાણ મૃતકના નવસારી રહેતા પરિવારજનોને કરવામાં આવતા પરિવારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે અને તેઓ તાત્કાલિક મહેસાણા આવવા રવાના થયા છે. વિદ્યાર્થીનીએ આટલું મોટું પગલું શા માટે ભર્યું તે રહસ્ય પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

Share This Article