પશ્ચિમ બંગાળની નિવર્તમાન મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ પ્રેસ કોન્ફરન્સ કરી અને ભાજપ તથા ચૂંટણી પંચ પર ગંભીર આરોપો લગાવ્યા. મમતાએ કહ્યું કે આ ચૂંટણીમાં ચૂંટણી પંચ લોકતંત્રના અધિકારો છીનવી લેવા અને EVMમાં ગડબડ કરવા મામલે ‘ખલનાયક’ બની ગયો છે. તેમણે સવાલ કર્યો કે મતદાન બાદ પણ EVMમાં 80-90 ટકા ચાર્જ કેવી રીતે રહી શકે? આ કેવી રીતે શક્ય છે? તેમણે આક્ષેપ કર્યો કે ચૂંટણી પહેલાં જ તેમના પક્ષના લોકોની ધરપકડ શરૂ કરી દેવાઈ હતી, દરોડા પાડવામાં આવ્યા અને IPS તથા IAS અધિકારીઓના મોટા પાયે બદલી કરાઈ.
ચૂંટણી પંચ અને ભાજપ પર ગંભીર આક્ષેપો
મમતા બેનર્જીએ કહ્યું કે ભાજપે સીધા ચૂંટણી પંચ સાથે મળીને રમત રમી છે. આ ભાજપ અને ચૂંટણી પંચ વચ્ચેની ‘સાંઠગાંઠ’ હતી. તેમણે જણાવ્યું કે અમે આખી સરકારી મશીનરી સામે લડ્યા, જેમાં વડાપ્રધાન અને ગૃહમંત્રીનો પણ સીધો હસ્તક્ષેપ હતો. તેમણે આક્ષેપ કર્યો કે SIR મારફતે 90 લાખ નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા, જેમાંથી કોર્ટના આદેશ બાદ 32 લાખ નામ ફરીથી જોડાયા. “મારી જિંદગીમાં આટલી ગંદી અને નીચી સ્તરની ચૂંટણી મેં ક્યારેય જોઈ નથી,”
ટીએમસી કાર્યકરો પર હુમલાના આક્ષેપ
મમતાએ કહ્યું કે કોલકાતા થી લઈને જંગલ મહલ સુધી એકસરખું વાતાવરણ છે, જ્યાં ટીએમસી કાર્યકરો પર હુમલા થઈ રહ્યા છે અને તેમને ત્રાસ આપવામાં આવી રહ્યો છે. તેમણે ભાજપ પર આરોપ મૂક્યો કે ગુંડાઓને આગળ રાખીને હિંસા ફેલાવવામાં આવી રહી છે. મમતાએ જણાવ્યું કે મતગણતરી કેન્દ્ર પર તેમના સાથે ધક્કામુક્કી પણ થઈ. “જો એક મહિલા ઉમેદવાર સાથે આવું થઈ શકે, તો અન્ય ઉમેદવારો સાથે શું થયું હશે?”
‘બંગાળ માટે કાળો અધ્યાય’
મમતા બેનર્જીએ ઇન્ડિયા ગઠબંધનનો આભાર માનતા કહ્યું કે હેમંત સોરેન, ઉદ્ધવ ઠાકરે અને અખિલેશ યાદવે આ મુદ્દે અવાજ ઉઠાવ્યો છે. આવનારા સમયમાં વિપક્ષી ગઠબંધન વધુ મજબૂત બનશે. તેમણે જણાવ્યું કે ચૂંટણી પરિણામોની તપાસ માટે 10 સાંસદોની સમિતિ બનાવવામાં આવી છે અને આ પરિણામો બંગાળ માટે ‘કાળો અધ્યાય’ છે.
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં પરાજય બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોલકાતામાં હારની વિગતવાર સમીક્ષા માટે વિશેષ ટીમ બનાવવાની જાહેરાત કરી છે. ચૂંટણી પંચ પર ભાજપના પક્ષમાં કામ કરવાનો અને મતદાર યાદીમાં ગડબડ કરવાનો આક્ષેપ કરતા મમતાએ કહ્યું કે આ તેમના જીવનની સૌથી અત્યાચારપૂર્ણ ચૂંટણી હતી. હાર છતાં વિપક્ષી એકતાનો સંદેશ આપતા તેમણે જણાવ્યું કે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ અને ઉદ્ધવ ઠાકરે સહિત ઇન્ડિયા ગઠબંધનના અનેક નેતાઓએ તેમને ફોન કરીને સમર્થન આપ્યું છે. મમતા બેનર્જીએ જણાવ્યું કે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ 6 મેના રોજ કોલકાતા આવી તેમની મુલાકાત લેશે, ત્યારબાદ અન્ય ગઠબંધનના નેતાઓ પણ ક્રમશઃ મળીને આગળની સંયુક્ત રણનીતિ તૈયાર કરશે.