રાજ્યના વહીવટી માળખામાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. લાંબા સમયની રાહ જોયા બાદ આજે એકસાથે 72 IAS અધિકારીઓની બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. આ બદલીઓમાં અનેક જિલ્લાના કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર કક્ષાના અધિકારીઓનો સમાવેશ થાય છે. સરકારના આ નિર્ણયથી રાજ્યના વહીવટી તંત્રમાં મોટો ગણગણાટ જોવા મળી રહ્યો છે.
આ આદેશો અનુસાર, અમદાવાદના કલેક્ટર સુજીત કુમારની બદલી કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ તરીકે કરવામાં આવી છે, જ્યારે તેમના સ્થાને ભવ્ય વર્માને અમદાવાદના નવા કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સુરત કલેક્ટર તરીકે તેજસ પરમારની વરણી કરવામાં આવી છે. જામનગરના કમિશનર ડી.એન. મોદીને હવે ગાંધીનગરના વિકાસ કમિશનર તરીકે જવાબદારી સોંપાઈ છે, જ્યારે જે.એસ. પ્રજાપતિ ગાંધીનગરના નવા મ્યુનિસિપલ કમિશનર બનશે.
વિવિધ સરકારી નિગમોના ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ
કચ્છના કલેક્ટર આનંદ પટેલને કમિશનર ઓફ સ્કૂલ તરીકે બદલી આપવામાં આવી છે, જેઓ પીએમ પોષણ યોજનાનો વધારાનો ચાર્જ પણ સંભાળશે. ભરૂચના કલેક્ટર ગૌરાંગ મકવાણાને ગેડા (GEDA) માં નિયામક તરીકે મુકવાની સાથે MD GPCL અને MD UGVCL નો મહત્વનો હવાલો સોંપાયો છે. આ ઉપરાંત, જૂનાગઢના નવા કમિશનર તરીકે પ્રભવ જોશીની નિમણૂક કરવામાં આવી છે અને જે.એન. વાઘેલાને ગીર સોમનાથના કલેક્ટર તરીકે જવાબદારી સોંપાઈ છે.
સુરત, વલસાડ અને દક્ષિણ ગુજરાતમાં મહત્વના ફેરફારો
નવા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓની નિમણૂક
- તેજસ દિલીપભાઈ પરમાર – નવા કલેક્ટર, સુરત
- નિતિન વી. સાંગવાન – નવા કલેક્ટર, વલસાડ
- દેવ ચૌધરી – નવા કલેક્ટર, તાપી-વ્યારા
- મનીષ ગુરવાની – નવા કલેક્ટર, નવસારી
- દેવેન્દ્ર પ્રકાશ મીના – જિલ્લા વિકાસ અધિકારી (DDO), સુરત