Tuesday, Jun 16, 2026

ઈસનપુર આંબા તળાવમાં તંત્રની મોટી કાર્યવાહી: ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલિશન

2 Min Read

અમદાવાદ શહેરમાં ગેરકાયદે બાંધકામો સામે તંત્રની કાર્યવાહી સતત તેજ બની રહી છે. ઈસનપુર વિસ્તારમાં મોની હોટેલની ગલીમાં આવેલા શાક માર્કેટ નજીકના આંબા તળાવ વિસ્તારમાં આજે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. તળાવની આસપાસ વર્ષોથી ઉભા થયેલા 160થી વધુ નાના-મોટા કાચા અને પાકા મકાનોને દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. અહીં લાંબા સમયથી અનેક પરિવારો વસવાટ કરતા હતા.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગાઉ તળાવની જમીન ખાલી કરવા માટે નોટિસો આપવામાં આવી હતી અને રહેવાસીઓને સ્થળ ખાલી કરવાની સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં સ્વૈચ્છિક રીતે જગ્યા ખાલી ન કરાતા આજે તંત્રે દબાણ હટાવ કામગીરી શરૂ કરી હતી. આ અભિયાન હેઠળ અંદાજે 26 હજાર ચોરસ મીટર જેટલી જમીન દબાણમુક્ત કરવામાં આવશે.

કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ઈસનપુર અને નારોલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સાથે જ ફાયર બ્રિગેડ અને મેડિકલ ટીમોને પણ સ્થળ પર તહેનાત રાખવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના તળાવો અને જળાશયોને પુનર્જીવિત કરવા તેમજ તેમની ક્ષમતા વધારવા માટે આ વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. લાંબા સમયથી અહીં વસવાટ કરતા પરિવારોને તાત્કાલિક મુશ્કેલી ન પડે તે માટે કોર્પોરેશને માનવતાવાદી અભિગમ પણ અપનાવ્યો છે. અસરગ્રસ્ત પરિવારો માટે નજીકના રેન બસેરામાં રહેવા અને જમવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.

આ ઉપરાંત, જે લોકો પાસે વર્ષોથી અહીં વસવાટ કરતા હોવાના સરકારી પુરાવા અને જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ હશે, તેમની પાસેથી નિર્ધારિત ફોર્મ ભરાવવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. દસ્તાવેજોની ચકાસણી બાદ પાત્ર પરિવારોને સરકારી યોજનાઓ હેઠળ વૈકલ્પિક આવાસ ફાળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ગેરકાયદે દબાણો સામે તંત્રે કડક વલણ અપનાવ્યું છે. આ અભિયાનની શરૂઆત ચંડોળા તળાવ વિસ્તારમાંથી કરવામાં આવી હતી. ત્યારબાદ શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સરદારનગરના કમલ તળાવ કિનારે વર્ષોથી ઉભેલા કાચા-પાકા મકાનો દૂર કરવામાં આવ્યા હતા, જ્યારે અમદાવાદના ત્રીજા સૌથી મોટા ઈસનપુર તળાવની આસપાસ પણ અગાઉ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી.

Share This Article