Friday, Jun 26, 2026

રામ મંદિર દાન ચોરી કેસમાં મોટું એક્શન: મુખ્ય આરોપી ટિન્નુ યાદવ સહિત 8ની ધરપકડ

3 Min Read

અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં ભક્તો દ્વારા આપવામાં આવતા દાનમાં કથિત ગેરરીતિ અને ચોરીના મામલે ઉત્તર પ્રદેશ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ હાઈ-પ્રોફાઈલ દાન ચોરી કેસમાં કસ્ટડીમાં લેવામાં આવેલા તમામ આઠ નામજદ આરોપીઓની સત્તાવાર ધરપકડ કરવામાં આવી છે. રામ જન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં આખી રાત ચાલેલી પૂછપરછ બાદ શુક્રવારે સવારે પોલીસે આ કાર્યવાહી કરી હતી. તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

એક્શન પાછળનું કારણ: કોણે નોંધાવી હતી FIR?
રામ મંદિરના દાન અને ચઢાવાની રકમમાં ગેરરીતિના આક્ષેપો સામે આવ્યા બાદ સમગ્ર મામલાની તપાસ માટે વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરવામાં આવી હતી. SITના અહેવાલ બાદ રામ જન્મભૂમિ ટ્રસ્ટના સભ્ય કૃષ્ણ મોહને પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાતા જ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ અને તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો.

કોણ છે ધરપકડ કરાયેલા આ ૮ આરોપીઓ?

ધરપકડ કરાયેલા તમામ લોકો મંદિરના દાન અને ચઢાવાની રકમની ગણતરી અને વ્યવસ્થાપન સાથે સીધા જોડાયેલા હતા. તેમના નામ નીચે મુજબ છે:

  • રમાકાંત ઉર્ફે ટિન્નુ યાદવ (સુપરવાઈઝર)
  • સુભાષ શ્રીવાસ્તવ (ઇન્ચાર્જ/મોનિટરિંગ)
  • અનુકલ્પ મિશ્રા (કેશિયર)
  • લવકુશ મિશ્રા (કેશિયર)
  • અવિનાશ શુક્લા (કેશિયર)
  • કરુણેશ પાંડે (કેશિયર)
  • મનીષ યાદવ (કેશિયર)
  • રમાશંકર મિશ્રા (કેશિયર)

આ આરોપીઓમાંથી છ લોકો કેશ કાઉન્ટિંગનું કામ સંભાળતા હતા, જ્યારે સુભાષ શ્રીવાસ્તવ સમગ્ર પ્રક્રિયાની દેખરેખ રાખતો હતો. ટિન્નુ યાદવ કેશ કાઉન્ટિંગની કામગીરીનું સુપરવિઝન કરી રકમને બેંક સુધી પહોંચાડવાની જવાબદારી નિભાવતો હતો.

ઓટો ડ્રાઈવરથી ₹50 કરોડનો આસામી બનેલો ‘ટિન્નુ યાદવ’ છે મુખ્ય વિલન!
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દાનની રકમમાં કથિત ગેરરીતિનો મુખ્ય આરોપી ટિન્નુ યાદવ હોવાનું માનવામાં આવે છે. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, દાનપેટીઓની ચાવીઓ તેની પાસે રહેતી હતી અને કેશ કાઉન્ટિંગ સંબંધિત મોટાભાગના નિર્ણયો તેના દ્વારા લેવામાં આવતા હતા. મંદિરના વિવિધ વિભાગોમાં કર્મચારીઓની નિમણૂકથી લઈને કેશ મેનેજમેન્ટ સુધીના અનેક મહત્વપૂર્ણ કામોમાં તેનો પ્રભાવ હોવાનું કહેવાય છે.

ટિન્નુ યાદવનો ઇતિહાસ:
ટિન્નુ યાદવનો પરિવાર સામાન્ય આર્થિક પૃષ્ઠભૂમિ ધરાવે છે. તેના પિતા અયોધ્યામાં ચાની લારી ચલાવતા હતા અને ટિન્નુ પોતે એક સમયે ઓટો રિક્ષા ચલાવતો હતો. બાદમાં તે રામ મંદિર ટ્રસ્ટ સાથે સંકળાયેલા લોકોના સંપર્કમાં આવ્યો અને ધીમે-ધીમે મંદિર વ્યવસ્થાપન સાથે જોડાયેલી જવાબદારીઓ સંભાળવા લાગ્યો.

તપાસમાં સામે આવેલી માહિતી અનુસાર, આજે ટિન્નુ યાદવ અયોધ્યા અને લખનઉમાં કરોડો રૂપિયાની સંપત્તિનો માલિક હોવાનું કહેવાય છે. અયોધ્યા એરપોર્ટ નજીક તેની હોસ્ટેલ, વૈભવી રહેણાંક મિલકતો, મોંઘી ગાડીઓ તેમજ હોટેલ અને રેસ્ટોરાં વ્યવસાયમાં ભાગીદારી હોવાના દાવાઓ પણ તપાસ હેઠળ છે.

હવે FIR નોંધાયા બાદ પોલીસ અને તપાસ એજન્સીઓ કથિત નાણાકીય ગેરરીતિ, સંપત્તિના સ્ત્રોતો અને સમગ્ર નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. કેસમાં આગળ વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Share This Article