ઈરાને એમવી હાર્બર ફીનિક્સ કેસમાં કસ્ટડીમાં રાખેલા 10 ભારતીય નાવિકોને મુક્ત કરી દીધા છે. જુલાઈ 2025માં તેલ ટેન્કર એમવી હાર્બર ફીનિક્સમાંથી આ ભારતીય નાગરિકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. લાંબા સમય સુધી ચાલેલા ભારતીય કૂટનીતિક પ્રયાસો બાદ હવે તેમની સુરક્ષિત મુક્તિ શક્ય બની છે અને તેમને ટૂંક સમયમાં વતન પરત લાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
જસ્ક બંદર પાસે કાર્યવાહી બાદ નાવિકોની ધરપકડ
ઈરાનનું જસ્ક બંદર ઓમાનની ખાડીમાં આવેલું છે અને હોર્મુઝ જળમાર્ગથી અંદાજે 150 કિલોમીટર દૂર છે. ઈરાનનું કહેવું છે કે તે ખાડી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે તેલ લઈ જતાં જહાજો સામે કાર્યવાહી કરતું રહે છે. જોકે, એમવી હાર્બર ફીનિક્સ પર કાર્યવાહી કેમ કરવામાં આવી અને ભારતીય નાવિકોને કયા કારણોસર કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા તે અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી જાહેર કરવામાં આવી નથી.

ભારતના સંકલિત પ્રયાસોથી સફળતા
ભારત સરકારે આ સમગ્ર મામલે શાંતિપૂર્ણ કૂટનીતિ અપનાવી હતી. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ, વિદેશ મંત્રાલય, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય, તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસ અને અન્ય સંકળાયેલા વિભાગોના સંકલિત પ્રયાસોથી નાવિકોની સુરક્ષિત મુક્તિ શક્ય બની હોવાનું જણાવાયું છે.
ટૂંક સમયમાં ભારત પરત ફરશે નાવિકો
ડાયરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગે જણાવ્યું છે કે તમામ ભારતીય નાવિકોને શક્ય તેટલી વહેલી તકે ભારત પરત લાવવા માટે જરૂરી પ્રક્રિયા અને વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.
મર્ચન્ટ નેવીમાં ભારતીયોની મહત્વપૂર્ણ હાજરી
વિશ્વભરમાં મર્ચન્ટ નેવીમાં કાર્યરત લોકોમાં ભારતીયોની મોટી સંખ્યા છે. ખાસ કરીને ખાડી દેશોમાં જતાં-આવતાં જહાજોમાં અનેક ભારતીયો ફરજ બજાવે છે. ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો ક્રૂડ ઓઇલ આયાતકાર દેશ છે અને દેશનું મોટાભાગનું તેલ હોર્મુઝ જળમાર્ગ અને ફારસ-ઓમાનની ખાડી મારફતે આવે છે, જે હાલમાં પશ્ચિમ એશિયાના તણાવનું કેન્દ્ર બન્યું છે.