ભારતીય નૌકાદળમાં તાજેતરમાં સામેલ કરાયેલા બે નવા યુદ્ધજહાજો– INS સુરત અને INS નિલગિરી તથા પંદુબ્બી INS વાઘશીરની ઝલક, કર્તવ્યપથ પર ગણતંત્ર દિવસની 76મી પરેડમાં સામેલ ઝાંખીઓમાં જોવા મળશે.

ઝાંખીમાં મુંબઈમાં એક અઠવાડિયા પહેલા જ લોન્ચ થયેલાં ત્રણેય યુદ્ધજહાજોને પ્રદર્શિત કરાશે અને આ ભારતીય નૌકાદળની શક્તિ તેમજ આત્મનિર્ભરતાની ભાવનાને ઉજાગર કરશે. અધિકારીઓએ જણાવ્યું કે નૌકાદળની મિશ્ર પેરેડ ટુકડી અને એક બેન્ડ પણ પરેડમાં ભાગ લેશે.
INS નિલગિરી પ્રોજેક્ટ 17એ સ્ટીલ્થ ફ્રિગેટ શ્રેણીનું મુખ્ય જહાજ છે, જે શિવાલિક શ્રેણીના યુદ્ધજહાજોમાં મહત્ત્વપૂર્ણ સુધારાને દર્શાવે છે. ભારતીય નૌકાદળના વોર્શિપ ડિઝાઇન બ્યુરો દ્વારા ડિઝાઇન કરાયેલા અને મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDL) દ્વારા બનાવવામાં આવેલા INS નિલગિરીમાં આધુનિક સુવિધાઓ છે. તે MH-60R જેવા વિવિધ પ્રકારના હેલિકોપ્ટર્સના સંચાલન માટે સજ્જ છે.
પ્રોજેક્ટ 15બી સ્ટીલ્થ ડેસ્ટ્રોયર શ્રેણીનું ચોથું અને અંતિમ યુદ્ધજહાજ INS સુરત, કોલકાતા શ્રેણીના ડેસ્ટ્રોયર જહાજોની નવી પેઢીનો ભાગ છે. તેના ડિઝાઇન અને ક્ષમતામાં સુધારા કરવામાં આવ્યા છે અને તે નૌકાદળના સપાટી પર રહેનારા બેડાનો મહત્વપૂર્ણ ભાગ છે. INS નિલગિરીની જેમ જ આ જહાજ પણ વોર્શિપ ડિઝાઇન બ્યુરો દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે અને MDLમાં તેનું નિર્માણ થયું છે.
INS વાઘશીર સ્કૉર્પિન શ્રેણીની પ્રોજેક્ટ 75 હેઠળ છઠ્ઠું અને અંતિમ યુદ્ધજહાજ છે. તે બહુહેતુક ડીઝલ-વિદ્યુત સંચાલિત જહાજ છે. આ ત્રણેય યુદ્ધજહાજોનું ડિઝાઇન અને નિર્માણ સંપૂર્ણપણે ભારતમાં કરવામાં આવ્યું છે, જે દેશના રક્ષણ ઉત્પાદન ક્ષેત્રમાં વધતી ક્ષમતાને રેખાંકિત કરે છે.
આ પણ વાંચો :-