ગાઝિયાબાદના ઇન્દિરાપુરમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કાનવાણી ગામમાં ગુરુવારે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ અચાનક ભીષણ આગ લાગી હતી. આ આગમાં 500 થી વધુ ઝૂંપડાંઓ આગની લપેટમાં આવી ભસ્મ થઈ ગયા હતા. એક હેવાલ મુજબ તો આગમાં આશરે છ બાળકો ગુમ થયા છે, જોકે હજુ સુધી કોઈ અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી નથી.
આગ લાગ્યા પછી તરત જ ઝૂંપડીઓમાં સંગ્રહિત રસોઈ ગેસ સિલિન્ડરો એક પછી એક ફૂટવા લાગ્યા હતા. આ વિસ્ફોટોના અવાજથી સમગ્ર વિસ્તાર હચમચી ગયો અને લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ દળ અને ફાયર વિભાગની ઘણી ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટરોએ તાત્કાલિક આગ ઓલવવાનું કામ શરૂ કરી દીધું હતું.
આગને કાબુમાં લેવા માટે ડઝનબંધ ફાયર એન્જિન તૈનાત કરવામાં આવ્યા છે. આગ મોટા વિસ્તારમાં ફેલાઈ ગઈ હોવાથી અગ્નિશામક કામગીરીમાં ઘણા કલાકો લાગવાની ધારણા છે. આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જોકે, માહિતી આવી રહી છે કે આગ એક ભંગારના ગોદામમાં લાગી હતી, ત્યારબાદ તે ઝૂંપડપટ્ટીમાં ફેલાઈ ગઈ હતી.