Tuesday, Jul 21, 2026

NEET પેપર લીક મુદ્દે પ્રથમ વખત બોલ્યા PM મોદી, આપ્યું મોટું આશ્વાસન

2 Min Read

NEET પેપર લીક મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત જાહેરમાં પ્રતિક્રિયા આપતા કહ્યું કે સરકાર યુવાનોના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનો ખેલવાડ થવા દેશે નહીં. એનડીએ સંસદીય દળની બેઠક દરમિયાન તેમણે જણાવ્યું કે પેપર લીક માત્ર રાજકીય મુદ્દો નથી, પરંતુ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલો ગંભીર વિષય છે. તેથી દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેમને કાયદા મુજબ કઠોર સજા અપાશે.

વડાપ્રધાને જણાવ્યું કે પેપર લીકની ઘટના સામે આવતા જ સરકારે તાત્કાલિક પગલાં લીધાં હતા. વિદ્યાર્થીઓને નુકસાન ન થાય તે માટે ફરીથી પરીક્ષા લેવામાં આવી અને તેની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી. તેમણે ભારપૂર્વક કહ્યું કે સરકાર વિદ્યાર્થીઓના હિતો પ્રત્યે સંપૂર્ણ સંવેદનશીલ છે અને આવી ઘટનાઓ ફરી ન બને તે માટે વ્યવસ્થામાં વધુ મજબૂતી લાવવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું કે પેપર લીકની સમસ્યા માત્ર કેન્દ્ર સરકારની જવાબદારી નથી. રાજ્યો, તપાસ એજન્સીઓ અને સંબંધિત તમામ સંસ્થાઓએ મળીને આવા ગુનાઓ સામે લડવું પડશે. પરીક્ષા પ્રણાલીની વિશ્વસનીયતા જળવાઈ રહે અને યુવાનોનો વિશ્વાસ અડગ રહે તે માટે દરેક સ્તરે જરૂરી સુધારાત્મક પગલાં લેવામાં આવશે.

આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે NEET પેપર લીક મુદ્દે વિરોધ પ્રદર્શન અને સંસદ તરફ માર્ચ યોજાયો હતો. આ દરમિયાન કેટલાક સ્થળોએ અથડામણની ઘટનાઓ પણ સામે આવી હતી. બીજી તરફ, વિરોધ પ્રદર્શનના પ્રતિનિધિઓએ કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાને મળીને પોતાની માંગણીઓ રજૂ કરી હતી. સરકારે લેખિત રજૂઆત સ્વીકારી હોવા છતાં માંગણીઓ અંગે કોઈ સત્તાવાર ખાતરી આપવામાં આવી નથી. જોકે, સરકારે વિદ્યાર્થીઓના હિતોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને પરીક્ષા પ્રણાલીને વધુ પારદર્શક અને સુરક્ષિત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

Share This Article