નવી દિલ્હીમાં CJP (કોકરોચ જનતા પાર્ટી)ના ‘સંસદ ચલો’ પ્રદર્શન બાદ રાજકીય માહોલ વધુ ગરમાયો છે. પ્રદર્શનકારીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીનો વિરોધ કરવા કોંગ્રેસના નેતાઓએ મંગળવારે પ્રધાનમંત્રીના સત્તાવાર આવાસ તરફ કૂચ કરી ધરણું શરૂ કર્યું હતું.
લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પ્રિયંકા ગાંધી સહિત અનેક સાંસદો PM આવાસ નજીક ધરણા પર બેઠા હતા. જોકે, સુરક્ષા કારણોસર દિલ્હી પોલીસે તેમને આગળ વધતા રોક્યા અને બાદમાં રાહુલ ગાંધી સહિત અનેક કોંગ્રેસ નેતાઓને અટકાયત કરી પોલીસ બસમાં બેસાડી સ્થળ પરથી લઈ ગઈ.
કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે CJPના પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ અને કાર્યકરો પર થયેલી પોલીસ કાર્યવાહી લોકશાહી મૂલ્યો વિરુદ્ધ છે અને સરકાર વિરોધના અવાજને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. બીજી તરફ, દિલ્હી પોલીસે જણાવ્યું કે પ્રતિબંધિત વિસ્તારમાં કોઈપણ પ્રકારના પ્રદર્શનની મંજૂરી ન હોવાથી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કાર્યવાહી કરવામાં આવી.
આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જ્યારે સમગ્ર ઘટનાને લઈને દેશભરમાં રાજકીય ચર્ચા તેજ બની છે.