છેલ્લા કેટલાક સમયથી કેન્દ્રીય એજન્સીઓ આમ આદમી પાર્ટી(AAP)ના નેતાઓ સામે કાર્યવાહી કરી રહી છે, એવામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ પંજાબના ફગવાડામાં આવેલી લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીના કેમ્પસમાં દરોડા પાડ્યા છે, આ કાર્યવાહી મહત્વની એટલા માટે છે કે લવલી ગ્રુપના સ્થાપક અશોક કુમાર મિત્તલના AAP સાંસદ છે, તાજેતરમાં તેમણે રાજ્યસભાના ડેપ્યુટી લીડર તરીકે રાઘવ ચઢ્ઢાનું સ્થાન લીધું છે.
નોંધનીય છે કે અશોક કુમાર મિત્તલ LPUના સ્થાપક અને ચાન્સેલર છે, તેમના ભાઈઓ રમેશ મિત્તલ અને નરેશ મિત્તલ સાથે યુનિવર્સિટીના માલિક છે.
કેન્દ્રીય તપાસ એજન્સીની EDની જલંધર અને ચંદીગઢની ટીમોએ લવલી ગ્રુપ સાથે જોડાયેલી અન્ય વ્યવસાયિક સંસ્થાઓ સામે પણ કાર્યવાહી કરી રહી છે. યુનિવર્સિટી કેમ્પસ ઉપરાંત મીઠાઈની દુકાનો, લવલી ઓટો અને ગ્રુપની માલિકીના ડિસ્ટન્સ એજ્યુકેશન સેન્ટર તેમજ માલિકોના નિવાસસ્થાનો પર દરોડા પડ્યા છે.
ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) ના કથિત ઉલ્લંઘનના આરોપસર ED કાર્યવાહી કરી રહી છે. આજે બુધવારે વહેલી સવારે EDની ટીમો દરોડા પાડવામાં પહોંચી હતી.
અશોક મિત્તલ ગુરુ નાનક દેવ યુનિવર્સિટીમાંથી લો ગ્રેજ્યુએટ અને વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. તેઓ રાજ્યસભામાં AAPના સાત રાજ્યસભા સભ્યોમાંના એક છે.
AAPએ ભાજપ પર પ્રહારો કર્યા:
લવલી ગ્રુપ સાથે જોડાયેલા પરિસરમાં ED ની કાર્યવાહી બાદ AAP નેતાઓએ ભાજપ પર પ્રહારો કર્યા છે. EDની કાર્યવાહીને AAPએ પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલાની તૈયારી ગણાવી છે.
AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલે EDની કાર્યવાહી સામે કડક જવાબ આપવાની પ્રતિજ્ઞા લીધી. તેમણે કહ્યું, “મોદીજીએ પંજાબમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પરંતુ પંજાબના લોકો આ સહન નહીં કરે. ભાજપને યોગ્ય જવાબ આપશે.”