દિલ્હી હાઈકોર્ટે દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ધરપકડથી રક્ષણ આપવાનો ઈન્કાર કરી દીધાના થોડા કલાકો બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમે આજે કેજરીવાલની ધરપકડ કરી છે.
ધરપકડ પર સ્ટે આપવાનો ઈન્કાર કરતા દિલ્હી હાઈકોર્ટે ઈડી પાસે જવાબ માંગ્યો છે. હાઈકોર્ટ હવે આ અરજીની સાથે પહેલાથી પેન્ડિંગ પિટિશનની સુનાવણી 22 એપ્રિલે કરશે. EDએ કોર્ટને પુરાવા બતાવ્યા દિલ્હી હાઈકોર્ટમાં લંચ બ્રેક બાદ શરૂ થયેલી સુનાવણી દરમિયાન EDએ કોર્ટને કહ્યું કે કયા પુરાવાના આધારે સીએમ કેજરીવાલને પૂછપરછ માટે બોલાવી રહ્યા છે. આ સમય દરમિયાન, ન્યાયાધીશ તમામ હકીકતો સાથે તેમની ચેમ્બરમાં ગયા અને ફરીથી સુનાવણી શરૂ થઈ. EDએ કોર્ટને વિનંતી કરી હતી કે તે હકીકતો માત્ર કોર્ટ દ્વારા જ જોવામાં આવે અને તે અરવિંદ કેજરીવાલના વકીલને બતાવવામાં ન આવે. EDએ કોર્ટમાં દલીલ કરી હતી કે તે કોઈ ચૂંટણી લડી રહ્યા નથી. તેઓ ગમે ત્યારે વિપાસનામાં જાય છે પરંતુ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટમાં આવતા નથી.
ઇડીના તપાસ અધિકારી જોગેન્દ્ર સીએમ કેજરીવાલની પૂછપરછ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમના ઘરની પણ તલાશી લેવામાં આવી રહી છે. આ દરમિયાન કેજરીવાલની લીગલ ટીમે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે, જ્યાં હાઇકોર્ટના આદેશને પડકારવામાં આવ્યો છે.
પંજાબના સીએમ ભગવંત માનએ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે ભાજપની રાજકીય ટીમ (ઇડી) કેજરીવાલની વિચારસરણીને પકડી શકતી નથી. કારણ કે માત્ર આપ જ ભાજપને રોકી શકે છે.વિચારને ક્યારેય દબાવી શકાય નહીં.
આ દરમિયાન દિલ્હીના કેબિનેટ મંત્રી સૌરભ ભારદ્વાજ પણ કેજરીવાલના ઘરની બહાર પહોંચી ગયા છે. AAPના નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે જે રીતે પોલીસ સીએમના ઘરની અંદર છે અને કોઈને અંદર જવાની પરવાનગી નથી, તે જોઈને લાગે છે કે સીએમના આવાસ પર દરોડા પાડવામાં આવ્યા છે. લાગે છે કે સીએમની ધરપકડ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.