Saturday, May 16, 2026

CJI સૂર્યકાંતની ‘કોકરોચ’ ટિપ્પણી પર વિવાદ, કહ્યું- યુવાઓ નહીં, નકલી ડિગ્રીધારકો પર નિશાન હતું

2 Min Read

સૂર્યકાંત દ્વારા યુવા પેઢીને લઈને કરાયેલા એક નિવેદન પર વિવાદ ઊભો થયા બાદ આજે તેમણે સમગ્ર મામલે સ્પષ્ટતા કરી છે. મીડિયાના એક વર્ગ પર પોતાના મૌખિક નિવેદનને ખોટી રીતે રજૂ કરવાનો આરોપ લગાવતા CJIએ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું કે તેમની ટિપ્પણી દેશના યુવાઓ વિરુદ્ધ નહોતી, પરંતુ નકલી ડિગ્રીના સહારે સિસ્ટમમાં ઘૂસી જનાર પરજીવીઓ વિરુદ્ધ હતી.

મુખ્ય ન્યાયાધીશે પોતાના સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, “ગઈકાલે એક સામાન્ય કેસની સુનાવણી દરમિયાન કરેલી મારી મૌખિક ટિપ્પણીઓને મીડિયાના એક વર્ગે ખોટી રીતે રજૂ કરી તે વાંચીને મને ખૂબ દુઃખ થયું છે. મેં ખાસ કરીને એવા લોકોની ટીકા કરી હતી, જેઓ નકલી અને બનાવટી ડિગ્રીના આધારે વકીલાત જેવા ક્ષેત્રોમાં પ્રવેશી ગયા છે. આવા કેટલાક લોકો મીડિયા, સોશિયલ મીડિયા અને અન્ય પ્રતિષ્ઠિત વ્યવસાયોમાં પણ ઘૂસણખોરી કરી ચૂક્યા છે, તેથી જ તેઓ પરજીવી જેવા છે.”

CJIએ યુવાઓની ટીકા કરવાના દાવાઓને સંપૂર્ણપણે બિનઆધારભૂત અને મનગમતા ગણાવ્યા હતા. દેશની યુવા શક્તિની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે, “એવું સૂચવવું સંપૂર્ણપણે ખોટું છે કે મેં દેશના યુવાઓની ટીકા કરી હતી. મને માત્ર આપણા વર્તમાન અને ભવિષ્યના માનવ સંસાધન પર જ ગર્વ નથી, પરંતુ ભારતનો દરેક યુવાન મને પ્રેરણા આપે છે. આ કહેવું અતિશયોક્તિ નહીં ગણાય કે ભારતીય યુવાઓના મનમાં મારા માટે ખૂબ સન્માન છે અને હું તેમને વિકસિત ભારતના મજબૂત સ્તંભ તરીકે જોઉં છું.”

ઉલ્લેખનીય છે કે અગાઉ સુનાવણી દરમિયાન CJI સૂર્યકાંતે વકીલાત અને અન્ય વ્યવસાયોમાં આવી રહેલા ગિરાવટ અંગે ચિંતા વ્યક્ત કરતાં કડક શબ્દો વાપર્યા હતા. કોર્ટરૂમમાં તેમણે કહ્યું હતું કે, “સમાજમાં પહેલેથી જ આવા પરજીવીઓ છે, જે સિસ્ટમ પર હુમલો કરે છે અને તમે તેમની સાથે હાથ મિલાવવા માંગો છો? ઘણા યુવાઓ કોકરોચ જેવા છે, જેમને ન તો નોકરી મળે છે અને ન તો વ્યવસાયમાં સ્થાન. તેમાંના કેટલાક મીડિયા તરફ વળી જાય છે, કેટલાક સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ બની જાય છે, કેટલાક RTI કાર્યકર બની દરેક પર હુમલો કરવા લાગે છે.”

Share This Article