ઝડપથી લોકપ્રિય બની રહેલી કોકરોચ જનતા પાર્ટી (CJP)નું X એકાઉન્ટ ગુરુવારે ભારતમાં બ્લોક કરી દેવામાં આવ્યું હતું. વ્યંગાત્મક રાજકીય મૂવમેન્ટે ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યામાં ભાજપના સત્તાવાર એકાઉન્ટને પાછળ છોડ્યા બાદ થોડા જ કલાકોમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. મીમ આધારિત Gen Z અભિયાનને લઈને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા ચાલી રહી છે.
પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેએ આ ઘટનાની પુષ્ટિ કરી હતી. તેમણે એક સ્ક્રીનશોટ શેર કર્યો હતો જેમાં એકાઉન્ટ ભારતમાં બ્લોક થયેલું દેખાઈ રહ્યું હતું. આ પગલાં પર પ્રતિક્રિયા આપતા દીપકેએ લખ્યું હતું કે, “અપેક્ષા મુજબ, કોકરોચ જનતા પાર્ટીનું એકાઉન્ટ ભારતમાં બ્લોક કરી દેવામાં આવ્યું છે.”
સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટીની લોકપ્રિયતા ખૂબ જ ઝડપથી વધી રહી છે. થોડા દિવસો પહેલા ઓનલાઈન વ્યંગાત્મક અભિયાન તરીકે શરૂ થયેલું આ મૂવમેન્ટ હવે સંપૂર્ણ ડિજિટલ ફિનોમેનામાં ફેરવાઈ ગયું છે. બેરોજગારી, પરીક્ષાના પેપર લીક, રાજકીય ચર્ચા અને સંસ્થાકીય જવાબદારી જેવા મુદ્દાઓને લઈને યુવાનોમાં રહેલી નારાજગી આ અભિયાનને વધુ વેગ આપી રહી છે.
ઇન્સ્ટાગ્રામ પર BJPને પાછળ છોડી
કોકરોચ જનતા પાર્ટીએ ઇન્સ્ટાગ્રામ પર 10 મિલિયનથી વધુ ફોલોઅર્સનો આંકડો પાર કર્યો છે. આ સાથે તેણે ભાજપના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને પાછળ છોડી દીધું છે, જેના હાલમાં અંદાજે 8.7 મિલિયન ફોલોઅર્સ છે.
કોંગ્રેસ હજુ પણ 13 મિલિયનથી વધુ ફોલોઅર્સ સાથે આગળ છે, જ્યારે આમ આદમી પાર્ટી (AAP) ઘણી પાછળ છે. પાર્ટી પોતાને “યુવાનોનું, યુવાનો દ્વારા, યુવાનો માટેનું રાજકીય મંચ” તરીકે વર્ણવે છે. કોકરોચ જનતા પાર્ટીનું સૂત્ર છે – “Secular, Socialist, Democratic, Lazy”. હાસ્ય, મીમ્સ અને રાજકીય સંદેશાઓના સંયોજન દ્વારા આ મૂવમેન્ટે લોન્ચ થયા બાદ થોડા જ દિવસોમાં જબરદસ્ત ઓનલાઈન એન્ગેજમેન્ટ મેળવ્યું છે.
CJIની ટિપ્પણી બાદ શરૂ થયો વિવાદ
“કોકરોચ જનતા પાર્ટી” નામ પોતે જ ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત દ્વારા ગત અઠવાડિયે કોર્ટ સુનાવણી દરમિયાન કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીના જવાબરૂપે આવ્યું હતું.
કહેવાય છે કે CJIએ કેટલાક બેરોજગાર યુવાનો અને ઓનલાઈન કાર્યકરોની તુલના “કોકરોચ” અને “પરજીવી” સાથે કરી હતી, જેના કારણે સોશિયલ મીડિયા પર ભારે રોષ ફાટી નીકળ્યો હતો.
કોણ છે અભિજીત દીપકે?
30 વર્ષીય અભિજીત દીપકે બોસ્ટન યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ છે અને અગાઉ આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયા અભિયાન સાથે જોડાયેલા રહ્યા હતા. બાદમાં તેમણે જણાવ્યું હતું કે CJIની ટિપ્પણીઓ જ આ મૂવમેન્ટ પાછળનું ભાવનાત્મક કારણ બની હતી.
એક ઈન્ટરવ્યુમાં દીપકેએ કહ્યું હતું કે, “મને લાગે છે કે આ ટિપ્પણીઓ વધુ ઉશ્કેરનારી એટલા માટે લાગી કારણ કે તે ભારતના મુખ્ય ન્યાયાધીશ તરફથી આવી હતી, જે બંધારણના રક્ષક છે અને અમને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપે છે.” બાદમાં મુખ્ય ન્યાયાધીશે સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે તેમની ટિપ્પણીઓનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો હતો અને તે માત્ર નકલી ડિગ્રીના આધારે વ્યવસાયમાં પ્રવેશતા લોકો માટે હતી.
જો કે, આ સ્પષ્ટતા છતાં ઓનલાઈન વિરોધ શાંત થયો નહોતો અને CJPની લોકપ્રિયતા સતત વધી રહી હતી. થોડા જ દિવસોમાં પાર્ટીએ લાખો નોંધાયેલા સમર્થકો અને કરોડો ફોલોઅર્સ હોવાનો દાવો કર્યો હતો.
જાણીતા લોકોનો પણ મળ્યો ટેકો
આ મૂવમેન્ટને જાણીતી હસ્તીઓ તરફથી પણ પ્રતિસાદ મળ્યો છે. કાર્યકર-વકીલ પ્રશાંત ભૂષણ, સામાજિક કાર્યકર અંજલી ભારદ્વાજ તેમજ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા અને કીર્તિ આઝાદે મજાકિયા અંદાજમાં આ પાર્ટીમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
કોકરોચ જનતા પાર્ટીની વિચારધારા
પાર્ટીનું મેનિફેસ્ટો વ્યંગ સાથે ગંભીર રાજકીય માંગણીઓનું મિશ્રણ છે. તેમાં નિવૃત્તિ બાદ મુખ્ય ન્યાયાધીશોને રાજ્યસભામાં સ્થાન ન આપવું, ચૂંટણી પંચની વધુ જવાબદારી નક્કી કરવી, સંસદ અને કેબિનેટમાં મહિલાઓને 50 ટકા અનામત આપવી તેમજ મીડિયા માલિકી અને રોજગાર અધિકારોમાં સુધારાઓ જેવી માંગણીઓ સામેલ છે.
CJPએ પોતાને NEET પેપર લીક અને બેરોજગારી જેવી સમસ્યાઓથી પ્રભાવિત વિદ્યાર્થીઓ અને યુવાનોનો અવાજ તરીકે પણ રજૂ કર્યું છે.
અભિજીત દીપકે વારંવાર સ્પષ્ટ કર્યું છે કે આ માત્ર એક મીમ ટ્રેન્ડ નથી, પરંતુ ભારતીય યુવાનોમાં વધી રહેલી નિરાશા અને ગુસ્સાનું પ્રતિબિંબ છે.
કોકરોચ જનતા પાર્ટી ભવિષ્યમાં સત્તાવાર રાજકીય સંગઠનનું રૂપ લેશે કે માત્ર ઈન્ટરનેટ આધારિત વિરોધ મૂવમેન્ટ બની રહેશે, તે હજુ સ્પષ્ટ નથી.