દેશભરમાં ઈદ-ઉલ-અઝહા (બકરીદ)ની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તહેવાર પહેલા કડક માર્ગદર્શિકા જાહેર કરી છે. રવિવારે યોજાયેલી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીએ રાજ્યભરના પોલીસ અધિકારીઓ અને જિલ્લા મેજિસ્ટ્રેટોને સતર્ક રહેવા અને તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા સૂચના આપી હતી. મુખ્યમંત્રી યોગીએ આદેશ આપ્યો છે કે ઈદ-ઉલ-અઝહાના દિવસે ખુલ્લા સ્થળોએ ન તો નમાઝ પઢવામાં આવશે અને ન તો કુરબાની આપવામાં આવશે. નોંધનીય છે કે મુખ્યમંત્રી યોગીએ બકરીદ ઉજવણીને લઈને 10 કડક નિર્દેશો જાહેર કર્યા છે.
મુખ્યમંત્રી યોગીએ સૂચના આપી કે નમાઝ માત્ર મસ્જિદ પરિસરમાં જ અદા કરવી જોઈએ અને કોઈપણ પરિસ્થિતિમાં જાહેર સ્થળો અથવા રસ્તાઓ પર નમાઝ અદા ન કરવી જોઈએ. તેમણે એ પણ આદેશ આપ્યો કે નમાઝ માટે રસ્તાઓ અવરોધિત ન કરવામાં આવે અને જો નમાઝીઓની સંખ્યા વધુ હોય તો તબક્કાવાર નમાઝ અદા કરવાની વ્યવસ્થા કરવામાં આવે.
મુખ્યમંત્રીએ આગળ નિર્દેશ આપ્યો કે ખુલ્લા વિસ્તારોમાં પશુ બલિ ન આપવામાં આવે અને પ્રતિબંધિત પ્રાણીઓની કુરબાની પર કડક પ્રતિબંધ રહેશે. તહેવાર દરમિયાન સ્વચ્છતા જળવાઈ રહે તે માટે તેમણે અધિકારીઓને સૂચના આપી કે પશુ બલિ પછી કોઈ પણ પ્રકારની ગંદકી ન ફેલાય અને યોગ્ય સફાઈ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે.
મુખ્યમંત્રી યોગીએ અધિકારીઓને ઉપદ્રવીઓ પર કડક નજર રાખવા તેમજ ઈદગાહો અને સંવેદનશીલ વિસ્તારોમાં પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવા સૂચના આપી હતી. સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા માટે સંવેદનશીલ વિસ્તારોમાં CCTV કેમેરા અને ડ્રોન દ્વારા નજર રાખવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.
યોગી આદિત્યનાથે સોમવારે જણાવ્યું કે રાજ્યના લોકોની સુરક્ષા અને જનસમસ્યાઓના નિરાકરણ માટે સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. સત્તાવાર નિવેદન મુજબ, યોગી આદિત્યનાથે ‘જનતા દર્શન’ કાર્યક્રમ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા લોકોની સમસ્યાઓ સાંભળી હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યના લોકોની સુરક્ષા અને સન્માન સરકારની પ્રથમ પ્રાથમિકતા છે. તેમણે અધિકારીઓને જનસમસ્યાઓનું નિર્ધારિત સમયમર્યાદામાં યોગ્ય નિરાકરણ લાવવા સૂચના આપી હતી. ‘જનતા દર્શન’ દરમિયાન શિક્ષણ અને આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા કેટલાક કેસ પણ સામે આવ્યા હતા.