પશ્ચિમ બંગાળ સરકારે ભારત-બાંગ્લાદેશ સરહદ પર કાંટાળી તારની વાડબંધી માટે BSFને 27 કિલોમીટર જમીન સોંપી છે. ગુરુવારે રાજ્ય સચિવાલય નબન્નામાં મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ BSF અધિકારીઓની હાજરીમાં સત્તાવાર રીતે જમીન હસ્તાંતરણ પ્રક્રિયાની શરૂઆત કરી હતી.
સરકારે આ નિર્ણય કેમ લીધો?
રાજ્યના મુર્શિદાબાદ અને માલદા જિલ્લાઓ હાલ સુરક્ષા અને રાજકીય બંને દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે. આ જ વિસ્તારોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સરહદ પર ફેન્સિંગ અને સુરક્ષા માળખું મજબૂત કરવા માટે આ નિર્ણય લીધો છે.
મુર્શિદાબાદ અને માલદા બંને જિલ્લાઓ સીધા બાંગ્લાદેશની સરહદ સાથે જોડાયેલા છે અને અહીં મોટી મુસ્લિમ વસ્તી વસે છે. 2011ની વસ્તી ગણતરી મુજબ મુર્શિદાબાદમાં આશરે 66 ટકા અને માલદામાં 51 ટકા મુસ્લિમ વસ્તી છે. ભાજપ લાંબા સમયથી આ વિસ્તારોમાં બાંગ્લાદેશી ઘૂસણખોરીનો મુદ્દો ઉઠાવતી આવી છે. પાર્ટીનો આરોપ છે કે ગેરકાયદે ઘૂસણખોરોને ખોટા દસ્તાવેજો દ્વારા સ્થાનિક ઓળખ આપવામાં આવી રહી હતી.
તાજેતરમાં ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા મતદાર યાદીના વિશેષ ગહન પુનરીક્ષણ (SIR)ના પ્રાથમિક આંકડાઓમાં પણ મુર્શિદાબાદ અને માલદા ચર્ચામાં રહ્યા હતા. અંદાજે 60 લાખથી વધુ બાકી રહેલા મતદારોમાંથી લગભગ એક તૃતીયાંશ માત્ર આ બે સરહદી જિલ્લાઓમાંથી હોવાનું સામે આવ્યું હતું. મુર્શિદાબાદમાં આવા મતદારોની સંખ્યા સૌથી વધુ 11.01 લાખ દર્શાવવામાં આવી હતી, જ્યારે માલદામાં આ આંકડો 8.28 લાખ હતો.
મુખ્યમંત્રીએ અગાઉની સરકાર પર લગાવ્યા આરોપ
મુખ્યમંત્રીએ અગાઉની સરકાર પર અસહકાર દ્વારા સરહદી સુરક્ષામાં અવરોધ ઉભો કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે સરહદ પર તારબંધી રાષ્ટ્રીય અને રાજ્ય સુરક્ષા માટે અત્યંત જરૂરી છે.
મુખ્યમંત્રીએ ઘૂસણખોરી, તસ્કરી, નકલી ચલણી નોટો, બળજબરીથી ધર્મ પરિવર્તન અને ગેરકાયદે રીતે પ્રવેશેલા બાંગ્લાદેશી નાગરિકો સાથે જોડાયેલા ગુનાઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે આ પડકારોનો સામનો કરવા માટે સરહદી સુરક્ષા મજબૂત કરવી અનિવાર્ય છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનારા સમયમાં વધુ જમીન પણ BSFને સોંપવામાં આવશે. તેમણે જણાવ્યું કે સમગ્ર પ્રક્રિયાનો ખર્ચ કેન્દ્ર સરકાર અને BSF દ્વારા ઉઠાવવામાં આવશે.
ભારત સાથે પશ્ચિમ બંગાળ કેટલી સરહદ વહેંચે છે?
પશ્ચિમ બંગાળની બાંગ્લાદેશ સાથે આશરે 2,200 કિલોમીટર લાંબી સરહદ છે, જ્યારે ભારત-બાંગ્લાદેશની કુલ સરહદ લગભગ 4,000 કિલોમીટર લાંબી છે. તેમાંમાંથી લગભગ 1,600 કિલોમીટર વિસ્તારમાં પહેલેથી જ ફેન્સિંગ કરવામાં આવી ચૂકી છે, જ્યારે આશરે 600 કિલોમીટર વિસ્તાર હજુ પણ વાડ વગરનો છે.
સરકારે આ વખતે કુલ 27 કિલોમીટર વિસ્તાર માટે જમીન સોંપી છે. તેમાં 18 કિલોમીટર વિસ્તારમાં કાંટાળી તારની વાડ લગાવવામાં આવશે, જ્યારે 9 કિલોમીટર વિસ્તાર BSF ચોકીઓ અને અન્ય આધારભૂત માળખાંના નિર્માણ માટે ઉપયોગમાં લેવામાં આવશે.
BSFએ સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું
BSFના મહાનિદેશક પ્રવીણ કુમારે રાજ્ય સરકારના નિર્ણયની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે સરહદી સુરક્ષા અભિયાન માટે જે સહયોગની લાંબા સમયથી જરૂર હતી, તે હવે નવી સરકાર હેઠળ મળી રહ્યો છે.