ચોમાસામાં ઈલેક્ટ્રિક બાઈક ચાર્જ કરતાં પહેલા સાવધાન રહેજો ! ૦૪ ટૂ વ્હીલર બળીને ખાક

Share this story
  • ચોમાસા દરમિયાન ઈલેક્ટ્રિક મોપેડને ચાર્જિંગમાં મૂકતા પહેલાં સાવધાન કરતો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે.

સિંગણપોર વિસ્તારમાં કંથેરીયા હનુમાન મંદિર પાસે કષ્ટભંજન હાઈટ પાર્કિંગમાં ઈલેક્ટ્રિક મોપેડની સાથે મીટર પેટીમાં આગ લાગી ગઈ હતી. જેથી અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. સાથે જ ૦૪ જેટલી ટૂ વ્હીલર મોપેડ સહિત બાઈક સળગી ગઈ હતી. આગ પર પાણીનો મારો ચલાવી ફાયરબ્રિગેડે કાબૂ મેળવ્યો હતો.

સિંગણપોરમાં આવેલા કંનથેરીયા હનુમાન મંદિર પાસે કષ્ટભંજન હાઈટના પાર્કિંગમાં આગની ઘટના સામે આવી હતી.પાર્કિંગમાં ચાર્જિંગમાં મૂકેલી ઈલેક્ટ્રીક મોપેડમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા અન્ય 4 મોપેડ-બાઈક પણ આગની ઝપેટમાં આવ્યા હતાં.

ડભોલી ફાયર ને જાણ કરતા ફાયર પોલીસ અને ટોરેન્ટ પાવરના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયર દ્વારા આગ પર કાબૂ મેળવ્યો હતો.સદનસીબે કોઈ જાન હાનિ નહીં. ઈલેક્ટ્રીક બાઈક ચાર્જ દરમિયાન શોર્ટ સર્કિટ થી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.

ઈલેક્ટ્રિક બાઈકના વ્યવસાય સાથે સંકળાયેલા પંકિલ ગોસ્વામીએ જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન ઈલેક્ટ્રિક બાઈક કે મોપેડને ચાર્જ કરતી વખતે ખાસ સાવધાની રાખવી જોઈએ. કારણ કે પ્લગમાં પાણી રહ્યું હોય તો પણ સ્પાર્ક થઈ શકે અને તે રીતે શોર્ટ સર્કિટ થાય. માટે પ્લગને કોરા કપડાથી સાફ કરીને પછી પાણી ન રહે તે રીતે ચાર્જ કરવું હિતાવહ છે.

આ પણ વાંચો :-