અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમને ઝેર આપીને મારી નાખવાનો થયો પ્રયાસ!

Share this story

વિશ્વના કુખ્યાત અંડરવર્લ્ડ ડોન અને ભારતના મોસ્ટ વોન્ટેડ દાઉદ ઈબ્રાહિમને પાકિસ્તાનમાં
ઝેર આપીને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. દાઉદ ઈબ્રાહિમને અજાણ્યા લોકોએ ઝેર આપીને મારવાનો પ્રયાસ કર્યા બાદ તેને પાકિસ્તાનના કરાચીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જોકે, આ અહેવાલની પુષ્ટિ થઈ નથી.

ડી-કંપનીનો ચીફ દાઉદ ઈબ્રાહિમ દાયકાઓથી ભારતમાંથી ફરાર છે. ૧૯૯૩ના મુંબઈ વિસ્ફોટોના આયોજન અને તેને અંજામ આપવામાં તેની કથિત સંડોવણીને કારણે તેને ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. ભારતે કરાચીમાં તેની હાજરીના પુરાવા રજૂ કર્યા છતાં પાકિસ્તાને તેને આશ્રય આપ્યો હોવાની બાબતનો ઇનકાર કરવાનું ચાલુ રાખ્યું હતું. ભારત સરકારે દાઉદ ઈબ્રાહિમ પર દેશની આર્થિક રાજધાની મુંબઈમાં તેના નેટવર્ક દ્વારા ૨૬/૧૧નો હુમલો કરાવવાનો અને મુંબઈ આતંકી હુમલા દરમિયાન ભારત વિરુદ્ધ યુદ્ધ છેડનારા ૧૦ પાકિસ્તાની આતંકવાદીઓને શસ્ત્રો અને દારૂગોળો સપ્લાય કરવાનો આરોપ પણ લગાવ્યો છે.

ઝેર આપવામાં આવ્યા બાદ દાઉદ ઈબ્રાહિમની હાલત નાજુક હોવાનું કહેવાય છે. પાકિસ્તાનમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે અને સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ઝેરનો આ કથિત મામલો એવા સમયે સામે આવ્યો છે જ્યારે પાકિસ્તાનના વિવિધ શહેરોમાં લશ્કર-એ-તૈયબાના કમાન્ડર અદનાન અહેમદ ઉર્ફે અબુ હંજાલા સહિત વોન્ટેડ આતંકવાદીઓ માર્યા ગયા છે. દાઉદ ઈબ્રાહિમને આપવામાં આવેલા કથિત ઝેરને લગતા અહેવાલોએ સીમા પારના આતંકવાદના જટિલ મુદ્દાઓ અને ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા તણાવ વિશે ફરી ચર્ચાઓ શરૂ કરી છે.