દિલ્હીથી અમૃતસર જતી ઍર ઇન્ડિયાની ફ્લાઇટ AI-479 સાથે એક ચોંકાવનારી ઘટના બની હતી. સોમવારે રાત્રે ઉડાન દરમિયાન વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાતા તે પોતાના નિર્ધારિત રૂટથી ભટકી ગયું અને થોડા સમય માટે પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશી ગયું હતું. પાકિસ્તાન દ્વારા ભારતીય વિમાનો માટે હવાઈ ક્ષેત્ર બંધ હોવા છતાં આ ઘટના બનતા એર ટ્રાફિક સત્તાવાળાઓમાં ચિંતા ફેલાઈ હતી.
માહિતી મુજબ, પાકિસ્તાન એર ટ્રાફિક કંટ્રોલ તરફથી ચેતવણી મળ્યા બાદ પાયલોટને વિમાન રૂટથી ભટક્યાની જાણ થઈ હતી. ત્યારબાદ તરત જ યુ-ટર્ન લઈને વિમાનને ભારતીય હવાઈ ક્ષેત્રમાં પરત લાવવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર વિમાન પાકિસ્તાનની સરહદમાં અંદાજે દોઢ માઇલ જેટલું અંદર પ્રવેશ્યું હતું.
રાત્રે 9:18 વાગ્યે દિલ્હીથી ઉડાન ભરનાર આ ફ્લાઇટનું અમૃતસરમાં 10:30 વાગ્યે લેન્ડિંગ થવાનું હતું, પરંતુ નેવિગેશન સિસ્ટમમાં ખામી આવતાં રૂટમાં અવરોધ સર્જાયો હતો. ભારતીય હવાઈ ક્ષેત્રમાં પરત ફર્યા બાદ પણ અમૃતસર એરપોર્ટ પર ટ્રાફિક વધારે હોવાથી વિમાનને તરત લેન્ડિંગની મંજૂરી મળી નહોતી.
વિમાન થોડા સમય સુધી અમૃતસરની આસપાસ ચક્કર મારતું રહ્યું અને ત્યારબાદ એર ટ્રાફિક કંટ્રોલની સૂચના મુજબ તેને દિલ્હી પરત મોકલવામાં આવ્યું હતું. દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ બાદ લગભગ બે કલાક પછી ફ્લાઇટને ફરી અમૃતસર માટે રવાના કરવામાં આવી હતી. આખરે મંગળવારની વહેલી સવારે લગભગ 2:20 વાગ્યે વિમાન અમૃતસર એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું હતું.
આ સમગ્ર ઘટનાને કારણે મુસાફરોને લગભગ ચાર કલાકના વિલંબનો સામનો કરવો પડ્યો હતો. હાલ એરલાઇન અને સંબંધિત એજન્સીઓ દ્વારા ટેકનિકલ ખામી અને નેવિગેશન સિસ્ટમમાં થયેલી સમસ્યાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.