આફ્રિકન દેશો યુગાન્ડા અને કોંગોમાં ફેલાયેલા ઇબોલા વાયરસના વધતા ખતરા વચ્ચે અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે સાવચેતીના ભાગરૂપે ખાસ તૈયારીઓ શરૂ કરી છે. આફ્રિકન દેશો યુગાન્ડા, સાઉથ સુદાન અને કોંગોમાંથી અમદાવાદ આવેલા 11 લોકોને હાલ તેમના ઘરે હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
આ તમામ લોકો શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહે છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર હાલ કોઈપણ વ્યક્તિમાં ઇબોલાના લક્ષણો જોવા મળ્યા નથી અને તેઓ કોઈ પોઝિટિવ દર્દીના સંપર્કમાં પણ આવ્યા નથી. જોકે, સાવચેતીના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આગામી સમયમાં પણ આ ત્રણ દેશોમાંથી આવતા મુસાફરોને ફરજિયાત હોમ આઇસોલેશનમાં રાખવામાં આવશે.
ઇબોલા જેવી ગંભીર ચેપી બીમારીને ધ્યાનમાં રાખીને અમદાવાદની SVP હોસ્પિટલમાં દર્દીઓને ક્વોરેન્ટાઇન કરવા માટે ખાસ 60 બેડનો અલગ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગે હોસ્પિટલ સ્ટાફ અને તંત્રને પણ જરૂરી માર્ગદર્શિકા આપી છે.
ઇબોલા વાયરસ (EVD)ને કારણે વૈશ્વિક સ્તરે જાહેર આરોગ્ય કટોકટી જેવી સ્થિતિ ઉભી થતાં કેન્દ્ર સરકારે પણ સાવચેતી વધારી છે. તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે તાત્કાલિક અસરથી ફરજિયાત આરોગ્ય નિયમો લાગુ કરવામાં આવ્યા છે.
રોગના સંક્રમણને રોકવા માટે DGCA અને સિવિલ એવિએશન મંત્રાલય દ્વારા એરપોર્ટ પર સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ (SDF) ફરજિયાત બનાવવામાં આવ્યું છે. તમામ એરલાઇન્સ અને સંબંધિત એજન્સીઓને મુસાફરોની કડક સ્ક્રીનિંગ અને આરોગ્ય ચકાસણી કરવા માટે સૂચના આપવામાં આવી છે.
કયા દેશો છે હાઈ-રિસ્કમાં?
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, યુગાંડા અને દક્ષિણ સુદાનને ‘હાઈ-રિસ્ક’ એટલે કે ઉચ્ચ જોખમવાળા દેશોની શ્રેણીમાં રાખ્યા છે. આ દેશોમાંથી આવતા મુસાફરોએ પોતાના સ્વાસ્થ્ય પર ખાસ નજર રાખવાની રહેશે. દિલ્હી એરપોર્ટ પર એરપોર્ટ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (APHO) દ્વારા આ અંગેની માહિતી પણ જાહેર કરવામાં આવી છે.

વાયરસના લક્ષણો શું છે?
મુસાફરોએ તાવ, નબળાઈ, થાક, માથાનો દુખાવો અને માંસપેશીઓમાં દુખાવો જેવા લક્ષણો પર ધ્યાન આપવું પડશે, આ ઉપરાંત ઉલ્ટી, ઝાડા, ગળામાં દુખાવો અને રક્તસ્ત્રાવ પણ ઇબોલાના લક્ષણો હોઈ શકે છે. જો કોઈ મુસાફરમાં આવા લક્ષણો દેખાય, તો તેણે તરત એરપોર્ટ અધિકારીઓને જાણ કરવી જોઈએ.
એડવાઇઝરીમાં શું કહેવામાં આવ્યું?
એડવાઇઝરીમાં એ પણ કહેવામાં આવ્યું છે કે જો કોઈ મુસાફર કોઈ શંકાસ્પદ અથવા પુષ્ટિ થયેલા દર્દીના સીધા સંપર્કમાં આવ્યો હોય, તો તેણે એરપોર્ટ હેલ્થ અધિકારીઓને તરત જાણ કરવી અને આગમન પછી 21 દિવસની અંદર તબીબી મદદ લેવી જોઈએ.
મુસાફરો માટે સલાહ
સરકારે મુસાફરોને સલાહ આપી છે કે ભારતમાં આવ્યા બાદ 21 દિવસની અંદર જો ઉપર જણાવેલા કોઈપણ લક્ષણો દેખાય, તો તેઓ તરત ડૉક્ટરની સલાહ લે. ડૉક્ટરને પોતાની તાજેતરની મુસાફરી અંગે સંપૂર્ણ માહિતી આપવી જરૂરી છે. મુસાફરોને પોતાની સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય આરોગ્ય નિયમોના પાલન માટે એરપોર્ટ પર થતી આરોગ્ય તપાસમાં સંપૂર્ણ સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.