પંજાબના ફિરોઝપુરમાંથી એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક માર્ગ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અહીં એક મહિન્દ્રા પિકઅપ વાહન અને એક મોટા ટ્રેલર વચ્ચે એટલી ભયાનક ટક્કર થઈ કે ઘટનાસ્થળે જ 9 લોકોના મોત થયા હતા. જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં પાંચ મહિલાઓ અને એક 10 વર્ષના બાળકનો સમાવેશ થાય છે. ટક્કર એટલી જોરદાર હતી કે બંને વાહનોના કુચડા ઉડી ગયા અને સ્થળ પર ચીસો તથા અફરાતફરી મચી ગઈ.
પ્રાપ્ત માહિતી અનુસાર, જલાલાબાદથી મહિન્દ્રા પિકઅપમાં શ્રદ્ધાળુઓનો એક જૂથ ડેરા બ્યાસ તરફ જઈ રહ્યો હતો. સવારે લગભગ 6:30 વાગ્યે જંગા વાલા મોડ નજીક ટ્રોલા સાથે સામસામે અથડામણ થતાં ભયંકર અકસ્માત સર્જાયો હતો. અથડામણ એટલી પ્રચંડ હતી કે વાહનમાં સવાર અનેક લોકો ફંગોળાઈને બહાર પડી ગયા હતા. ઘટનાસ્થળે જ અનેક લોકોએ જીવ ગુમાવ્યો હતો.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ટ્રોલા ચાલકને ઝોકું આવી જતાં તેનું વાહન ખોટી લેનમાં ઘૂસી ગયું હતું. પિકઅપ ચાલકે અકસ્માત ટાળવા માટે વાહન વાળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એ જ સમયે ટ્રોલા ચાલકે વાહન સીધું કરતાં બંને વાહનો વચ્ચે જોરદાર ટક્કર થઈ ગઈ.
અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘાયલોને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત ત્રણ લોકોને ફરીદકોટ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે.
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે પિકઅપમાં ક્ષમતા કરતાં ઘણાં વધુ લોકો સવાર હતા. અંદાજે 30 જેટલા લોકોને ગેરરીતે બેસાડવામાં આવ્યા હતા. વાહનના પાછળના ભાગમાં લાકડાના પટ્ટા લગાવીને વધારાની જગ્યા બનાવવામાં આવી હતી અને લોકો માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં આ ઓવરલોડિંગને અકસ્માત પાછળનું એક મહત્વનું કારણ માનવામાં આવી રહ્યું છે.
પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે અને અકસ્માત માટે જવાબદાર કારણો અંગે વધુ માહિતી એકત્રિત કરી રહી છે. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જ્યો છે.