Home Blog

નેપાળ પૂરનું રહસ્ય : ન વરસાદ, ન વાદળ ફાટ્યું, તો પછી જળપ્રલય ક્યાંથી આવ્યું ? ગ્લેશિયર તૂટવું એટલે પ્રલયની શરૂઆત ? જાણો કેવી રીતે

નેપાળમાં આવેલી વિનાશક પૂરની પાછળ ગ્લેશિયર તૂટવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તિબેટમાં બરફ, પથ્થર અને મોટા પ્રમાણમાં કાટમાળ નદીમાં પડતાં અચાનક સેલાબ આવ્યો હોવાની શક્યતા છે. શરૂઆતમાં ભૂકંપની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ વૈજ્ઞાનિકોના મતે નોંધાયેલી કંપન ગ્લેશિયર તૂટવાના કારણે પણ થઈ શકે છે. આ ઘટના હિમાલયમાં વધી રહેલા તાપમાન અને ગ્લેશિયરના જોખમ અંગે ગંભીર ચેતવણી સમાન છે.

સૌ વાતનો સાર એ છે કે નેપાળમાં જે વિનાશક પૂર આવ્યું છે, તેની પાછળ ગ્લેશિયર તૂટ્યું હોવાની શક્યતા હવે વધુ મજબૂત બની રહી છે. જો ખરેખર આવું થયું હોય તો આ ખૂબ જ ગંભીર અને ચિંતાજનક સમાચાર છે. સવાલ એ છે કે ગ્લેશિયર તૂટે કેવી રીતે? બરફનો આખો પહાડ જ તૂટી પડે તો શું તેનો અર્થ એ છે કે પૃથ્વીનું તાપમાન એટલું વધી ગયું છે કે ગ્લોબલ વોર્મિંગ હવે ખતરનાક સ્તરે પહોંચી ગયું છે? નેપાળમાં આવેલા પૂરે સૌને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. કારણ કે ત્યાં ભારે વરસાદ થયો નહોતો. વાદળ પણ ફાટ્યું નહોતું. આકાશ પણ સ્વચ્છ હતું. તો પછી આટલું પાણી આવ્યું ક્યાંથી? શરૂઆતમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે કદાચ કોઈ ભૂકંપ આવ્યો હશે અને તેના કારણે ઉપર પહાડોમાં ગ્લેશિયરથી બનેલી તળાવની દીવાલ તૂટી ગઈ હશે. અથવા તો ભૂકંપના કારણે તિબેટના પહાડોમાં ચટ્ટાનો ખસી ગઈ હશે, જેના કારણે નદીનો રસ્તો થોડા સમય માટે બંધ થયો હશે અને તળાવ જેવું પાણી ભરાયું હશે. ત્યારબાદ તેની દીવાલ તૂટતાં અચાનક પાણી નીચેની તરફ ધસી આવ્યું હશે. આ દરમિયાન 4.4ની તીવ્રતાની કંપન નોંધાઈ હતી અને તે જ સમયે પૂરના પાણી તબાહી મચાવતા નીચે તરફ વહેવા લાગ્યા હતા. તેથી શરૂઆતમાં આ કંપનને ભૂકંપ સાથે જોડવામાં આવ્યું હતું.

ભૂકંપ કે કંઈક બીજું?

પરંતુ બાદમાં અમેરિકાની ભૂગર્ભ સર્વે સંસ્થા USGS દ્વારા નોંધાયેલી કંપન અંગે સ્પષ્ટતા કરવામાં આવી કે જ મીનમાં કંપન તો થયું હતું, પરંતુ તે સામાન્ય ભૂકંપના કારણે થયું હોવું જરૂરી નથી. અર્થાત્ ધરતી હલી હતી, પરંતુ તેનું કારણ ભૂકંપ ન પણ હોઈ શકે. તો પછી શું થયું? ભૂગર્ભ વૈજ્ઞાનિકોના મતે શક્યતા છે કે બરફનો વિશાળ પહાડ તૂટ્યો હોય અને તેના કારણે જમીનમાં કંપન સર્જાયું હોય, જે 4.4ની તીવ્રતા જેટલું નોંધાયું. જો ખરેખર આવું થયું હોય તો આ ખૂબ જ ગંભીર સંકેત છે. એટલે કે એક વિશાળ ગ્લેશિયરનો હિસ્સો તૂટીને નીચે પડ્યો અને તેની અસર એટલી મોટી હતી કે જમીનમાં પણ કંપન નોંધાયું.આ ઘટનાને હિમાલયમાં વધતા તાપમાન અને ગ્લોબલ વોર્મિંગના ખતરનાક પરિણામ સાથે પણ જોડવામાં આવી રહી છે.

હિમાલયના બરફના પહાડ કેવી રીતે પીગળી રહ્યા છે?

ફ્રિજના ફ્રીઝરમાં બરફ જામી ગયો હોય અને લાંબા સમય સુધી વીજળી ન હોય તો ગરમીના કારણે બરફ પીગળવા લાગે છે. વધુ ગરમીમાં બરફ નબળો પડીને તૂટવા પણ લાગે છે. હિમાલયના વિશાળ ગ્લેશિયરોમાં પણ કંઈક આવી જ પ્રક્રિયા થવાની શક્યતા છે.હિમાલયમાં બરફના વિશાળ પહાડો છે. ગરમી વધવાથી બરફ પીગળે છે, તેમાં તિરાડો પડે છે અને પાણી આ તિરાડોમાંથી અંદર સુધી પહોંચે છે. પરિણામે બરફ અને પથ્થરો વચ્ચેની પકડ નબળી પડી શકે છે. પછી એક સમય એવો આવે છે જ્યારે બરફનો મોટો હિસ્સો પોતાના વજનને કારણે જ તૂટી પડે છે.

આખરે ગ્લેશિયર શું છે?

પર્વતોની ટોચ પર વર્ષો અને દાયકાઓ સુધી બરફ જમા થતો રહે છે. બરફની એક પછી એક પરત બનતી જાય છે અને સમય જતાં તે વિશાળ બરફીલા પહાડનું સ્વરૂપ ધારણ કરે છે. આને જ ગ્લેશિયર કહેવામાં આવે છે. હિમાલયમાં આવા હજારો ગ્લેશિયર છે અને તેમાંથી અનેક નદીઓનું પાણી મળે છે. કલ્પના કરો કે પહાડની ધાર પર બરફનો એક વિશાળ હિસ્સો લટકી રહ્યો છે. તેની પકડ ધીમે-ધીમે નબળી પડી રહી છે. વધતી ગરમીથી બરફ પીગળે છે અને પાણી તેની અંદરની તિરાડોમાં પ્રવેશ કરે છે. આ પ્રક્રિયા બરફની રચનાને નબળી બનાવી શકે છે.

બરફના પહાડ કેવી રીતે તૂટી પડે છે?

જ્યારે બરફમાં મોટી તિરાડો પડે છે ત્યારે તેનો કોઈ મોટો હિસ્સો પોતાના વજનને કારણે અલગ થઈ શકે છે. ક્યારેક બરફ અને પથ્થરો વચ્ચેની પકડ નબળી પડવાથી પણ ગ્લેશિયરનો ભાગ તૂટી જાય છે. તિબેટમાં પણ આવું જ કંઈક થયું હોવાની આશંકા છે. સેટેલાઇટ તસવીરોના આધારે વૈજ્ઞાનિકોએ આશરે 5,200 મીટરની ઊંચાઈએ ગ્લેશિયરનો નીચેનો ભાગ તૂટ્યો હોવાનું જોયું છે. તેનો એક મોટો હિસ્સો આશરે 1,200 મીટર નીચે ખીણમાં પડ્યો હોવાની માહિતી છે. વિચાર કરો—1,200 મીટર એટલે એક કિલોમીટરથી પણ વધુ ઊંચાઈ! બરફ નીચે પડતી વખતે પોતાની સાથે પથ્થરો, માટી અને મોટો કાટમાળ પણ લઈને આવ્યો. એટલે માત્ર બરફનો ટુકડો તૂટ્યો નહોતો, પરંતુ બરફ, પથ્થર અને માટીનો વિશાળ હિસ્સો નીચે ધસી આવ્યો. વૈજ્ઞાનિકો આવી ઘટનાને ‘આઈસ-રોક એવેલાંચ’ (Ice-Rock Avalanche) કહે છે.

ક્યાં અને કેવી રીતે બરફ, પથ્થર અને કાટમાળનો પહાડ પડ્યો?

આ ઘટના તિબેટની લ્હેન્દે નદી વિસ્તારમાં બની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જે નેપાળ-ચીન સરહદથી આશરે 20 કિલોમીટર ઉપર છે. જ્યારે બરફ અને પથ્થરોનો આટલો મોટો જથ્થો નદીમાં પડ્યો ત્યારે બે પ્રકારની સ્થિતિ સર્જાઈ શકે છે. એક શક્યતા એ છે કે કાટમાળ નદીમાં પડતાં પાણી અચાનક ઉછળ્યું અને જોરદાર સેલાબ આવ્યો. બીજી શક્યતા એ છે કે કાટમાળના કારણે નદીનો પ્રવાહ થોડા સમય માટે અટકી ગયો અને ત્યાં અસ્થાયી બંધ જેવી સ્થિતિ બની. ત્યારબાદ આ બંધ તૂટતાં પાણી, કાદવ, પથ્થરો અને બરફનો વિશાળ પ્રવાહ એકસાથે નીચે તરફ ધસી આવ્યો. આ પ્રવાહ નેપાળની ભોટે કોશી નદીમાં પહોંચ્યો અને ત્યારબાદ ત્રિશૂલી નદી તરફ આગળ વધ્યો. માત્ર 30 મિનિટમાં પાણીનું સ્તર લગભગ 9 મીટર સુધી વધી ગયું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. એટલે કે માત્ર અડધા કલાકમાં ત્રણ માળ જેટલી ઊંચાઈ જેટલું પાણી વધી ગયું. આ ઘટના સામાન્ય વરસાદને કારણે થઈ હોવાનું લાગતું નથી. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આ ઘટનાના લગભગ 24 કલાક પહેલાં ગ્લેશિયરના વિસ્તારમાં નોંધપાત્ર પ્રમાણમાં બરફ પીગળ્યો હતો. વધતી ગરમીના કારણે બરફ નબળો પડ્યો હોવાની શક્યતા છે. હકીકતમાં શું થયું હતું તે સંપૂર્ણપણે જાણવા માટે હજુ વધુ વૈજ્ઞાનિક તપાસની જરૂર છે અને તેમાં સમય લાગી શકે છે. પરંતુ એક વાત સ્પષ્ટ છે—હિમાલય ઝડપથી ગરમ થઈ રહ્યો છે અને ગ્લેશિયરોમાં થઈ રહેલા ફેરફારો ચિંતાનો ગંભીર વિષય છે.

તો શું આ પ્રલયની શરૂઆત છે?

વરસાદના કારણે અનેક જગ્યાએ પૂર આવે છે અને વાદળ ફાટવાથી પણ અચાનક પૂર જેવી સ્થિતિ સર્જાય છે. પરંતુ જો ગ્લેશિયરો આ રીતે તૂટવા લાગ્યા હોય તો આ ભવિષ્ય માટે અત્યંત ગંભીર ચેતવણી બની શકે છે. ગ્લોબલ વોર્મિંગ હવે માત્ર ભવિષ્યની વાત નથી. તેના પરિણામો હિમાલય જેવા સંવેદનશીલ વિસ્તારોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે.

સૌ વાતની એક વાત—હિમાલયના ગ્લેશિયરોનું તૂટવું માત્ર એક કુદરતી ઘટના નથી, પરંતુ બદલાતા હવામાન માટે ગંભીર ચેતવણી પણ હોઈ શકે છે.

ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મોટી ખબર: મળશે ₹1.50 લાખ સુધીની સ્કોલરશિપ, જાણો કોણ કરી શકશે અરજી

ગુજરાતમાં ગ્રેજ્યુએશન બાદ પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકારની એક સ્કોલરશિપ યોજના આર્થિક રાહત આપી શકે છે. National Scholarship for Post Graduate Studies હેઠળ પાત્ર વિદ્યાર્થીઓને દર વર્ષે ₹1.50 લાખ સુધીની આર્થિક સહાય મળી શકે છે. એટલે કે માસિક સરેરાશ ગણતરીએ આ રકમ ₹15,000 જેટલી થાય છે. જોકે 2026-27 માટે અરજી પ્રક્રિયા હજી શરૂ થઈ નથી, તેથી વિદ્યાર્થીઓએ સત્તાવાર અપડેટ પર નજર રાખવી જરૂરી છે.

આ યોજના UGC દ્વારા અમલમાં મૂકાય છે અને ગુજરાત સહિત દેશભરના પાત્ર વિદ્યાર્થીઓ માટે છે. માન્ય યુનિવર્સિટી, કોલેજ અથવા સંસ્થામાં PG ડિગ્રીના પ્રથમ વર્ષમાં Regular/Full-Time મોડમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી અરજી કરી શકે છે. અરજી સમયે ઉંમર 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ અને કોર્સ UGCના માન્ય PG ડિગ્રી માપદંડ હેઠળ આવતો હોવો જરૂરી છે.

યોજનામાં દર વર્ષે 10,000 સ્કોલરશિપ સ્લોટ્સ ઉપલબ્ધ છે અને સ્કોલરશિપની મુદત 2 વર્ષ છે.

ગુજરાતના વિદ્યાર્થીઓ માટે અરજી National Scholarship Portal (scholarships.gov.in) મારફતે કરવામાં આવશે. NSP મુજબ સ્કોલરશિપ માટે One Time Registration (OTR) ફરજિયાત છે. OTR નંબર સમગ્ર શૈક્ષણિક કારકિર્દી માટે ઉપયોગી રહે છે.

અરજીની તારીખ ક્યારે? 2026-27 માટે National Scholarship for Post Graduate Studiesની અરજી પ્રક્રિયા હાલમાં “Not Yet Opened” છે. UGC અથવા NSP દ્વારા ફોર્મ કયા દિવસે શરૂ થશે તેની સત્તાવાર તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. ગયા શૈક્ષણિક વર્ષમાં અરજી પ્રક્રિયા જૂનના અંતથી શરૂ થઈને ઓક્ટોબર સુધી ચાલી હતી. તેથી આ વર્ષે સપ્ટેમ્બરથી ઓક્ટોબર દરમિયાન અરજી શરૂ થવાની શક્યતા માનવામાં આવી શકે છે,.

નેપાળ પૂર ત્રાસદી : મૃત્યુઆંક 469 પર પહોંચ્યો, 290 ભારતીય સહિત 1600થી વધુ લોકો ગુમ

નેપાળમાં ભીષણ પૂરથી સર્જાયેલી તબાહીમાં અત્યાર સુધીમાં 469થી વધુ લોકોનાં મોત થયા છે, જ્યારે 1,600થી વધુ લોકો લાપતા હોવાનું સામે આવ્યું છે. લાપતા લોકોમાં 290 ભારતીય પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે. નેપાળના વડાપ્રધાન બાલેન શાહે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને સ્થિતિને ગંભીર ગણાવી છે. દરમિયાન નેપાળમાં ફરી પૂરનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

પૂર બાદ સર્જાયેલી વિનાશક સ્થિતિમાં 290 ભારતીય નાગરિકોનો સંપર્ક થઈ રહ્યો નથી અને તેમની શોધખોળ માટે બચાવ કામગીરી સતત ચાલી રહી છે.

આ દરમિયાન ત્રિશૂલી હાઈડ્રોપાવરની ટનલમાં ફસાયેલા 350 જેટલા કામદારો અને કર્મચારીઓને નેપાળી સેનાએ સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યા છે. આ હાઈડ્રોપાવર પ્રોજેક્ટમાં અનેક ભારતીય કામદારો પણ કાર્યરત હતા.

બીજી તરફ, નેપાળ સરકાર દ્વારા પ્લેનેટ લેબ્સ અને લેન્ડસેટની સેટેલાઇટ તસવીરોના વિશ્લેષણથી ચિંતાજનક માહિતી સામે આવી છે. રસુવાગઢી સરહદથી આશરે 18 કિમી ઉપર લેન્ડે નદીનો પ્રવાહ સંપૂર્ણપણે અટકી ગયો છે.

નદીનો પ્રવાહ અટકતાં કાંઠાના વિસ્તારમાં અસ્થાયી તળાવ બની ગયું છે. નેપાળ સરકારે ચેતવણી આપી છે કે જો આ કુદરતી તળાવનો બંધ તૂટશે તો નીચાણવાળા વિસ્તારોમાં અચાનક વિનાશક પૂર આવવાનો મોટો ખતરો છે.

રાખડી જમણા હાથે જ કેમ બાંધવામાં આવે છે? કારણ જાણશો તો પરંપરાનો અર્થ સમજાશે!

0

રાખડીનો દોરો તો દર વર્ષે બાંધો છો, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભાઈના કાંડા પર સામાન્ય રીતે રાખડી જમણા હાથે જ કેમ બાંધવામાં આવે છે? આ પરંપરા પાછળ ધાર્મિક માન્યતાઓથી લઈને રક્ષાસૂત્રના પ્રાચીન સંદર્ભો સુધી અનેક રસપ્રદ વાતો જોડાયેલી છે.

હિંદુ પરંપરામાં રક્ષાસૂત્ર કાંડા પર બાંધવાની પ્રથા પ્રાચીન સમયથી જોવા મળે છે. રક્ષાબંધન સાથે જોડાયેલી એક જાણીતી કથામાં ભગવાન ઇન્દ્રની પત્ની શચીએ યુદ્ધ પહેલાં તેમના જમણા હાથ પર રક્ષાસૂત્ર બાંધ્યું હોવાનું વર્ણન મળે છે. આ કથાને રક્ષાસૂત્ર અને રક્ષણની પરંપરા સાથે જોડવામાં આવે છે.

સમય જતાં રક્ષાબંધન ભાઈ-બહેનના પ્રેમ અને પરસ્પર રક્ષણના પવિત્ર સંબંધનું પ્રતીક બન્યું. આજની પરંપરામાં બહેન ભાઈના જમણા કાંડા પર રાખડી બાંધીને તેના સુખ, લાંબા આયુષ્ય અને મંગળ માટે શુભકામના કરે છે. જોકે અલગ-અલગ પ્રદેશ અને પરિવારોમાં રીત-રિવાજોમાં થોડો ફેરફાર પણ જોવા મળી શકે છે.

હવે વાત કરીએ વિજ્ઞાનની. કાંડાના અંગૂઠા તરફના ભાગમાં રેડિયલ આર્ટરી આવેલી છે અને ત્યાં પલ્સ સરળતાથી અનુભવી શકાય છે. તબીબી ક્ષેત્રે આ પલ્સનો ઉપયોગ હૃદયના ધબકારા અને રક્તપ્રવાહ અંગે માહિતી મેળવવા માટે થાય છે.

અંતે, રાખડીનું સાચું મહત્વ કોઈ ખાસ નસમાં નહીં, પરંતુ પ્રેમ, વિશ્વાસ, સન્માન, જવાબદારી અને રક્ષણના સંકલ્પમાં છે. કાંડા પર બંધાયેલો આ નાનો દોરો ભાઈ-બહેનના મોટા સંબંધની સતત યાદ અપાવે છે.

VIDEO: આવી કેવી બિલાડી? Guinness World Recordમાં નામ, એક્સ-રેમાં સામે આવી હતી અનોખી હકીકત

બિલાડીના ચાર પંજામાં સામાન્ય રીતે જેટલી આંગળીઓ હોય છે, તેના કરતાં અનેક ગણી વધારે આંગળીઓ ધરાવતી એક બિલાડીએ દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. અમેરિકાના વિસ્કોન્સિનમાં રહેતી Erebus Anomaly નામની Maine Coon બિલાડીના કુલ 29 toes છે. તેની આ અનોખી શારીરિક વિશેષતાને કારણે તેને Guinness World Recordsમાં દુનિયામાં સૌથી વધુ આંગળીઓ ધરાવતી બિલાડી તરીકે સ્થાન મળ્યું છે.

Erebusના ચાર પંજામાં આંગળીઓની સંખ્યા પણ આશ્ચર્યજનક છે. તેના એક પંજામાં 8 આંગળીઓ, જ્યારે બાકીના ત્રણ પંજામાં 7-7 આંગળીઓ છે. એટલે કુલ સંખ્યા 29 થાય છે. આ રીતે તેણે બિલાડીઓમાં સૌથી વધુ toes ધરાવવાનો અગાઉનો 28 આંગળીઓનો રેકોર્ડ તોડી નાખ્યો.

Erebusની આ ખાસિયતને પાછળથી ઓળખ મળી હતી. નાની ઉંમરમાં તેને ગંભીર ન્યુમોનિયા થયો હતો અને સારવાર દરમિયાન તેને ઓક્સિજન સપોર્ટની જરૂર પડી હતી. બાદમાં તેની તબિયત સુધર્યા પછી કરવામાં આવેલા એક્સ-રે દરમિયાન તેના પંજાની અસામાન્ય રચના સ્પષ્ટ થઈ હતી. ત્યાર બાદ જ તેની વધારાની આંગળીઓ અંગે માલિકોને વધુ જાણકારી મળી.

આ સ્થિતિને તબીબી ભાષામાં Polydactyly કહેવામાં આવે છે. આ એક જન્મજાત આનુવંશિક સ્થિતિ છે, જેમાં પ્રાણીના પંજામાં સામાન્ય કરતાં વધુ આંગળીઓ વિકસે છે. Maine Coon જેવી કેટલીક બિલાડીની જાતિઓમાં આ લક્ષણ જોવા મળી શકે છે.

Erebusએ વર્ષોથી ચાલતા 28 toesના રેકોર્ડને પાછળ છોડીને પોતાની અલગ ઓળખ બનાવી છે. Guinness World Recordsના સત્તાવાર રેકોર્ડ મુજબ 13 મે 2026ના રોજ Erebus Anomalyએ આ સિદ્ધિ મેળવી હતી.

આજે Erebus માત્ર એક અનોખી બિલાડી નથી, પરંતુ તેની 29 આંગળીઓ તેને વિશ્વ રેકોર્ડ ધારક પણ બનાવે છે. તેની કહાનીમાં એક તરફ કુદરતની અજબ રચના જોવા મળે છે, તો બીજી તરફ ગંભીર બીમારીમાંથી સાજી થઈને રેકોર્ડ સુધી પહોંચવાની સફર પણ લોકોને આકર્ષે છે.

VIDEO: પૂર પછી હવે ‘નવું તળાવ’ બન્યું, તૂટ્યું તો ફરી મચી શકે તબાહી; આટલા ભારતીયો ગુમ

નેપાળમાં વિનાશક પૂર બાદ સ્થિતિ હજુ ગંભીર છે અને હવે ઉપરવાસમાં બનેલું નવું તળાવ લોકોની ચિંતા વધારી રહ્યું છે. ચીન તરફથી મળેલી માહિતી અને નેપાળના આપત્તિ સત્તાધિકારીઓના વિશ્લેષણ મુજબ, રસુવાગઢી બોર્ડરથી આશરે 18 કિમી ઉપર લ્હેંદે ખોલાનો પ્રવાહ અટકતાં 0.11 ચોરસ કિમી વિસ્તારમાં તળાવ બની ગયું છે. આ કુદરતી બંધ તૂટે તો ભોટેકોશી નદીમાં ફરી અચાનક મોટું પૂર આવી શકે છે.

આ ખતરાને ધ્યાનમાં રાખીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને નદીકાંઠાથી દૂર રહેવા અને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. તળાવમાં પાણી સતત વધી રહ્યું હોવાથી પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

દરમિયાન, 26 ઓગસ્ટે આવેલા ભયાનક ફ્લેશ ફ્લડમાં નેપાળમાં મૃત્યુઆંક 389 સુધી પહોંચી ગયો છે. તિબેટમાં થયેલા મોત સાથે કુલ આંકડો 392 થયો છે, જ્યારે બંને તરફ મળીને 1,468 લોકો ગુમ હોવાનું તાજા અહેવાલોમાં સામે આવ્યું છે. ભારતના 290 નાગરિકો સંપર્કવિહોણા હોવાનું જણાવાયું છે અને 84 ભારતીયોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.

નેપાળમાં રેસ્ક્યુ અને રાહત કામગીરી સતત ચાલી રહી છે, પરંતુ રસ્તા, પુલ અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને થયેલા ભારે નુકસાનને કારણે બચાવ કામગીરી મુશ્કેલ બની છે.

નેપાળના ભીષણ પૂરમાં બેંકો પણ ન બચી! આટલાં કર્મચારીઓનો સંપર્ક કપાયો

નેપાળમાં આવેલા વિનાશક પૂરે માત્ર રસ્તા-પુલ જ નહીં, પરંતુ બેંકિંગ વ્યવસ્થાને પણ મોટો ફટકો આપ્યો છે. રાસુવા જિલ્લામાં ભોટેકોશી નદીના પ્રચંડ પૂરમાં 9 કોમર્શિયલ બેંકોની શાખાઓ તણાઈ ગઈ છે, જ્યારે આશરે 26 બેંક કર્મચારીઓનો હજુ સંપર્ક થઈ શક્યો નથી. સંદેશાવ્યવહાર વ્યવસ્થા ખોરવાઈ જતા તેમના પરિવારજનોની ચિંતા પણ વધી છે.

નેપાળ બેંકર્સ એસોસિએશનના જણાવ્યા મુજબ પૂરથી મચ્છાપુચ્છરે, નબિલ, સનિમા, લક્ષ્મી સનરાઇઝ, હિમાલયન, પ્રભુ, ગ્લોબલ IME, નેપાળ ઇન્વેસ્ટમેન્ટ મેગા અને NMB બેંકની શાખાઓને નુકસાન થયું છે. જોકે નબિલ બેંકના તમામ કર્મચારીઓ સાથે સંપર્ક સ્થાપિત થઈ ગયો છે. બાકીના કર્મચારીઓ અંગે ટેલિફોન અને વીજ પુરવઠો ધીમે-ધીમે પુનઃસ્થાપિત થતાં માહિતી મળવાની આશા છે.

આ તરફ ભોટેકોશી પૂરથી સમગ્ર વિસ્તારમાં ભારે તબાહી મચી છે. તાજા અહેવાલ મુજબ 826 લોકો હજુ સંપર્કવિહોણા છે, જેમાં સુરક્ષા દળોના જવાનો અને મોટી સંખ્યામાં પ્રવાસીઓનો સમાવેશ થાય છે. નેપાળી સેના, નેપાળ પોલીસ અને સશસ્ત્ર પોલીસ દળના જવાનો સહિત અનેક લોકોની શોધખોળ ચાલી રહી છે.

રાસુવાના તિમુરે વિસ્તારમાં અગાઉ 32 નેપાળ પોલીસ અને સશસ્ત્ર પોલીસ દળના કર્મચારીઓ સંપર્કવિહોણા હોવાની માહિતી સામે આવી હતી. ઉપરાંત, 20 મેગાવોટના લંગટાંગ ખોલા હાઇડ્રોપાવર પ્રોજેક્ટ સાથે સંકળાયેલા 60 લોકોનો પણ સંપર્ક થઈ શક્યો નહોતો.

સરકાર અને સુરક્ષા દળોએ અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ, રાહત અને શોધખોળ કામગીરી તેજ કરી છે. ખરાબ હવામાન અને સંચાર વ્યવસ્થામાં ખલેલને કારણે રેસ્ક્યૂ ટીમોને હજુ પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ખાંડ ખરીદવા પર ‘લિમિટ’! Blinkit, Zeptoથી D-Mart સુધી પ્રતિ ગ્રાહક મર્યાદા,નવો ભાવ કેટલા પાર?

રસોડામાં રોજ વપરાતી ખાંડ હવે ખરીદવામાં પણ સાવચેતી રાખવી પડી શકે છે! તહેવારોની સીઝન પહેલાં ખાંડના ભાવમાં જોરદાર ઉછાળો આવતા Blinkit, Zepto અને Swiggy Instamart જેવા ક્વિક-કોમર્સ પ્લેટફોર્મે કેટલીક ખાંડની પ્રોડક્ટ્સ પર ખરીદીની મર્યાદા મૂકી છે. કેટલાક ઓફલાઇન રિટેલર્સે પણ ગ્રાહકો દીઠ ખરીદી મર્યાદિત કરી છે.

26 ઓગસ્ટે દેશમાં ખાંડનો સરેરાશ છૂટક ભાવ ₹65.05 પ્રતિ કિલો નોંધાયો હતો. 25 ઓગસ્ટે આ ભાવ ₹63.97 હતો. એટલે માત્ર એક જ દિવસમાં પણ એક રૂપિયાથી વધુનો વધારો થયો છે. બીજી તરફ, સરકારના 21 ઓગસ્ટના આંકડા મુજબ 20 જુલાઈથી 20 ઓગસ્ટ વચ્ચે ભાવ ₹48.18થી વધીને ₹55.70 પ્રતિ કિલો થયો હતો.

ક્વિક-કોમર્સ પ્લેટફોર્મ પર મર્યાદા દરેક પ્રોડક્ટ અને શહેર પ્રમાણે અલગ છે.અહેવાલ મુજબ Swiggy Instamart પર કેટલીક 1 કિલોની ખાંડની બે પેકેટ સુધીની મર્યાદા જોવા મળી હતી, જ્યારે Blinkit અને Zepto પર પણ પસંદગીની પ્રોડક્ટ્સ માટે કેપ લાગુ છે.

સરકારે ભાવ અને જથ્થાબંધ ખરીદી પર નિયંત્રણ માટે અનેક પગલાં લીધાં છે. 1 ઓગસ્ટથી 30 નવેમ્બર સુધી ખાંડના ડીલરો માટે 400 ટનની સ્ટોક મર્યાદા લાગુ છે. 1 સપ્ટેમ્બરથી બલ્ક ગ્રાહકો 15 દિવસની ખપત કરતાં વધુ સ્ટોક રાખી શકશે નહીં.

આ ઉપરાંત કેન્દ્ર સરકારે 10 લાખ ટન કાચી ખાંડની ડ્યૂટી-ફ્રી આયાતને મંજૂરી આપી છે. સરકારનું કહેવું છે કે આ પગલાંનો હેતુ તહેવારો દરમિયાન પૂરતો સ્ટોક જાળવવો, સંગ્રહખોરી રોકવી અને ભાવને સ્થિર કરવો છે.

જોકે, ઇન્ડિયન સુગર એન્ડ બાયો-એનર્જી મેન્યુફેક્ચરર્સ એસોસિયેશનના પ્રમુખના જણાવ્યા મુજબ દેશમાં વાસ્તવિક ખાંડની અછત નથી; ભાવવધારામાં સટ્ટાકીય ખરીદીનો પણ ફાળો છે.

નેપાળમાં જળપ્રલય વચ્ચે આટલા ગુજરાતીઓ સંપર્કવિહોણા, પરિવારોની ચિંતા વધી

0

નેપાળમાં આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલને અનેક પરિવારોની ચિંતા વધારી દીધી છે. કૈલાશ માનસરોવર યાત્રા માટે નેપાળ પહોંચેલા 12 ગુજરાતીઓ સંપર્કવિહોણા થયાની માહિતી સામે આવી છે. પૂરગ્રસ્ત વિસ્તારમાં સંચાર વ્યવસ્થા ખોરવાતા પરિવારજનો પોતાના સ્વજનોનો સંપર્ક મેળવી શકતા નથી અને હવે બચાવ ટીમોની કામગીરી પર નજર રાખી રહ્યા છે.

મળતી માહિતી પ્રમાણે સંપર્કવિહોણા ગુજરાતીઓમાં અમદાવાદના 3, સુરતના 3, વડોદરાના 2, આણંદના 2, રાજકોટના 1 અને વલસાડના 1 વ્યક્તિનો સમાવેશ થાય છે. જોકે વલસાડની રોમા ઈંટવાલા નેપાળમાં સુરક્ષિત હોવાની માહિતી સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર તરફથી આપવામાં આવી છે. તેથી તમામ 12 વ્યક્તિઓને લાપતા ગણવાને બદલે સંપર્કવિહોણા અથવા ફસાયેલા તરીકે દર્શાવવું વધુ યોગ્ય છે.

ગુજરાત સરકારે ગાંધીનગરમાં કંટ્રોલ રૂમ શરૂ કરી નેપાળમાં ભારતીય દૂતાવાસ સાથે સંકલન સાધ્યું છે. બીજી તરફ, નેપાળમાં પૂર બાદ કુલ 826 લોકો ગુમ હોવાનું અને તેમાં 590 પ્રવાસીઓ સામેલ હોવાનું સ્થાનિક સત્તાવાળાઓએ જણાવ્યું છે. ગુમ પ્રવાસીઓમાં 177 ભારતીયો છે. બચાવ અને શોધખોળ કામગીરી હજુ ચાલુ છે.

VIDEO: મુંબઈમાં 10મા માળેથી કૂદેલી મહિલા ઝાડમાં અટવાઈ, ફાયર બ્રિગેડે આ રીતે બચાવ્યો જીવ

0

મુંબઈમાં બુધવારે સવારે બનેલી એક હચમચાવી દે તેવી ઘટનામાં 10મા માળેથી નીચે કૂદેલી 26 વર્ષની નવપરિણીત મહિલાનો જીવ જમીન પર નહીં, પરંતુ રસ્તા પાસેના ઝાડે બચાવ્યો હતો. જોકે, નીચે પડતાં એક જાડી ડાળ તેના પગમાં ઘૂસી જતાં મહિલા જમીનથી લગભગ 20થી 25 ફૂટની ઊંચાઈએ હવામાં લટકતી રહી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે જોખમી સ્થિતિ વચ્ચે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી મહિલાને સુરક્ષિત રીતે નીચે ઉતારી હતી.

આ ઘટના ભાંડુપ પશ્ચિમના તુલશેતપાડા વિસ્તારમાં આવેલી સનશાઈન કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં બુધવાર, 26 ઓગસ્ટની સવારે લગભગ 9:32 વાગ્યે બની હતી. પોલીસ મુજબ મહિલાની ઓળખ પ્રતીક્ષા હિવરાલે તરીકે થઈ છે અને તેમના લગ્નને હજુ માત્ર ચાર મહિના થયા હતા. તેઓ બિલ્ડિંગના ફ્લેટની બારીમાંથી કૂદ્યા બાદ નજીકના ઝાડ પર પડ્યા હતા.

ફાયર બ્રિગેડના જવાનો હૂકવાળી સીડી અને એરિયલ લેડરની મદદથી મહિલાની નજીક પહોંચ્યા હતા. અહેવાલ મુજબ અંદાજે 50થી 60 મીમી જાડી ડાળ તેમની જાંઘમાં ઘૂસી ગઈ હતી. જવાનો દ્વારા ઇલેક્ટ્રિક આરીની મદદથી ડાળ કાપવામાં આવી અને ત્યારબાદ મહિલાને સ્ટ્રેચર તથા દોરડાની મદદથી નીચે ઉતારવામાં આવી હતી.

રેસ્ક્યૂ બાદ પ્રતીક્ષાને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી અને બાદમાં સર્જરી માટે એલટીએમજી સાયન હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી. હાલમાં તેમની સ્થિતિ ગંભીર હોવાનું સામે આવ્યું છે. તેમની તબિયતને કારણે પોલીસ હજુ સુધી નિવેદન લઈ શકી નથી. મહિલાએ આ પગલું શા માટે ભર્યું, તેનું કારણ હાલ સ્પષ્ટ થયું નથી અને પોલીસ તપાસ ચાલુ છે.