નેપાળમાં ભોટેકોશી નદીમાં અચાનક આવેલા ભયાનક પૂરથી ભારે તબાહી સર્જાઈ છે. પૂર અને ભુસ્ખલનના કારણે અનેક ગામો તબાહ થઈ ગયા છે, જ્યારે અનેક લોકોના હજુ સુધી કોઈ સમાચાર મળ્યા નથી. રાહત અને બચાવ કામગીરી સતત ચાલી રહી છે.
નેપાળ એમ્બેસી અનુસાર અત્યાર સુધી 175 લોકોનાં મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 28 દેશોના કુલ 476 લોકો લાપતા હોવાની માહિતી સામે આવી છે. પૂર એટલું વિનાશક હતું કે અનેક પુલ તૂટી ગયા, ઘરો અને રસ્તાઓને નુકસાન થયું તથા અનેક જળવિદ્યુત પ્રોજેક્ટ્સ પણ પ્રભાવિત થયા છે.
આ વિનાશની સૌથી વધુ અસર રસુવા અને ધાદિંગ જિલ્લામાં જોવા મળી છે. આ ઉપરાંત નુવાકોટ, ચિતવન અને નવાલપરાસી ઈસ્ટ સહિતના વિસ્તારો પણ અસરગ્રસ્ત થયા છે. ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનને કારણે અનેક માર્ગો બંધ થઈ ગયા છે.
આ મુશ્કેલ ઘડીમાં ભારતે નેપાળ તરફ મદદનો હાથ લંબાવ્યો છે. ભારત તરફથી રાહત સામગ્રી, દવાઓ અને ખાદ્ય પેકેટ્સ મોકલવામાં આવી રહ્યા છે. સાથે જ બચાવ અને રાહત કામગીરીમાં પણ મદદ કરવામાં આવી રહી છે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહ સાથે વાત કરી અને પૂરથી થયેલા જાનમાલના નુકસાન અંગે ઊંડી સંવેદના વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે સંકટની આ ઘડીમાં ભારત નેપાળની સાથે મજબૂતીથી ઊભું છે અને શક્ય તમામ માનવતાવાદી સહાય આપવા તૈયાર છે. બંને દેશોની ટીમો રાહત અને બચાવ કામગીરીમાં સાથે મળીને કામ કરી રહી છે.



