Home Blog

દિલ્હીમાં મળેલા સગીરાના મૃતદેહનો રહસ્ય ઉકેલાયો!

0

દિલ્હીના સ્વરૂપ નગર વિસ્તારમાં ખેતરમાંથી મળી આવેલી કિશોરીની લાશ પાછળનું રહસ્ય હવે ઉકેલાયું છે. 13 સપ્ટેમ્બરે સડી ગયેલી હાલતમાં મૃતદેહ મળ્યા બાદ પોલીસે 50થી વધુ CCTV કેમેરાના ફૂટેજ ચકાસ્યા અને એક શંકાસ્પદ ટેમ્પોની હિલચાલના આધારે ત્રણ સગીર સહિત ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તેમની પૂછપરછના આધારે એ સગીરા પર સામુહિક દુષ્કર્મ કર્યા બાદ તેની હત્યા કરી લાશ ફેંકી દેવામાં આવી હોવાનું રહસ્ય ખુલ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું.

પોલીસને 13 સપ્ટેમ્બરની સવારે કુશક રોડ, લાલ બાઉન્ડ્રી પાસે આવેલા જયપાલ રાણાના ખેતરમાં એક કિશોરીનો મૃતદેહ પડ્યો હોવાની માહિતી મળી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ટીમે મૃતદેહની સ્થિતિ જોઈ તપાસ શરૂ કરી હતી. શરૂઆતમાં મૃતકની ઓળખ થઈ શકી નહોતી. બાદમાં તપાસ દરમિયાન તેની ઓળખ સ્વરૂપ નગર વિસ્તારમાં રહેતી કિશોરી તરીકે થઈ હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, કિશોરીની ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. ખુલ્લી જગ્યાએ પડેલા મૃતદેહને રખડતા કૂતરાઓએ ચુથી કાઢ્યું હતું. તપાસ દરમિયાન પોલીસને ઘટનાના કોઈ પ્રત્યક્ષ સાક્ષી મળ્યા નહોતા. ત્યારબાદ ટેક્નિકલ સર્વેલન્સ અને CCTV ફૂટેજને આધારે આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો હતો.

50થી વધુ કેમેરાના ફૂટેજ તપાસતા ઘટનાના સમયગાળા દરમિયાન વિસ્તારમાં એક શંકાસ્પદ ટેમ્પો જોવા મળ્યો હતો. શરૂઆતમાં અંધારાના કારણે તેનો નંબર સ્પષ્ટ મળ્યો નહોતો. પોલીસે સતત તેની હિલચાલ ટ્રેસ કરી અને 15 સપ્ટેમ્બરની રાત્રે ટેમ્પો ખડ્ડા કોલોની વિસ્તારમાંથી શોધી કાઢ્યો હતો. ટેમ્પો ચાલકની પૂછપરછ બાદ પોલીસે ત્રણ સગીર સહિત ચાર આરોપીઓને પકડ્યા હતા.

ગિરફ્તાર આરોપીઓમાં પુખ્ત આરોપી તરીકે શિવમ ઉર્ફે સુદામાની ઓળખ જાહેર થઈ છે. ત્રણેય સગીર આરોપીઓની ઉંમર 16થી 17 વર્ષની વચ્ચે હોવાનું પોલીસ તરફથી જણાવાયું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, એક સગીર આરોપી મૃતકનો ઓળખીતો હતો . તપાસમાં આરોપીઓએ ટેમ્પોમાં સાથે દારૂ પીધો હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસે આરોપીઓ પાસેથી બે ચાકુ, ઘટનાના સમયે પહેરેલા હોવાનું જણાવાયેલા કપડાં અને ટેમ્પો જપ્ત કર્યો છે. કથિત દુષ્કર્મની જાણ પોલીસને થઈ જશે તેવી ભીતિથી હત્યા કરવામાં આવી હોવાની આશંકા પણ તપાસમાં વ્યક્ત કરવામાં આવી છે. જોકે, સમગ્ર ઘટનાક્રમ અને દરેક આરોપીની ચોક્કસ ભૂમિકા અંગે ફોરેન્સિક તથા ટેક્નિકલ પુરાવાની તપાસ હજુ ચાલી રહી છે.

સરખેજમાં પતિનો પત્ની વિરુદ્ધ માસ્ટરપ્લાન : આટલા લાખની ચોરી અને જાસૂસીનો આક્ષેપ

0

સરખેજમાં પતિ-પત્નીના વિવાદ વચ્ચે એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પતિ દ્વારા પત્નીના સ્કૂટરમાં GPS ટ્રેકર લગાવી તેના પર નજર રાખવામાં આવતી હોવાનો આક્ષેપ થયો છે. આ સાથે જ મહિલાએ પતિ અને તેના મિત્ર સામે ઘરનું તાળું ખોલી રૂ.1.50 લાખથી વધુની ઘરવખરી લઈ જવાની ફરિયાદ પણ નોંધાવી છે. સમગ્ર મામલે સરખેજ પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.

સરખેજમાં રહેતી મહિલાના લગ્ન વર્ષ 2007માં અહેસાનઅલી ભોવણિયા સાથે થયા હતા. દંપતીને ત્રણ સંતાનો છે. એપ્રિલ 2023માં બંને વચ્ચે અણબનાવ થતાં તેઓ અલગ રહેવા લાગ્યા હતા અને ત્યારથી ત્રણેય બાળકો મહિલાની સાથે રહે છે. ફરિયાદ મુજબ મહિલાએ પતિ વિરુદ્ધ ભરણપોષણનો કેસ નડિયાદ ફેમિલી કોર્ટમાં અને ઘરેલુ હિંસાનો કેસ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં કર્યો છે.

મહિલાના જણાવ્યા મુજબ, 21 માર્ચ 2026ના રોજ તે બાળકો સાથે પિયર ગઈ હતી. બીજા દિવસે ઘરે પરત ફરતાં ઘરવખરીનો સામાન ગાયબ હોવાનું જાણવા મળ્યું. ત્યારબાદ સોસાયટીના CCTV ફૂટેજ તપાસતાં 22 માર્ચની રાત્રે આશરે દોઢ વાગ્યે પતિ અહેસાનઅલી અને તેના મિત્ર મહેદીભાઈ ખાદીમભાઈ ભોવણિયા મકાનનું તાળું ખોલીને અંદર પ્રવેશતા અને બે છોટા હાથી વાહનમાં સામાન લઈ જતા દેખાયા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.

વધુમાં, 3 સપ્ટેમ્બર 2026ના રોજ મહિલાના નામે રહેલા જ્યુપિટર સ્કૂટરની સર્વિસ દરમિયાન ગેરેજના ઇરફાનભાઈએ આગળના ભાગમાં કાળા રંગનું GPS ડિવાઇસ મળ્યાની જાણ કરી હતી. મહિલાએ પોતે આવું ડિવાઇસ ન લગાવ્યું હોવાનું જણાવતાં પતિ પર શંકા વ્યક્ત કરી હતી. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

VIDEO: ભારે કરી! મધ્ય આકાશમાં અચાનક બે મુસાફરો વચ્ચે મારામારી

લંડનથી ઢાકા જઈ રહેલી બિમાન બાંગ્લાદેશ એરલાઈન્સની ફ્લાઈટમાં મુસાફરોને એવો નજારો જોવા મળ્યો, જેની કદાચ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. બે મુસાફરો વચ્ચે પહેલા કોઈ મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ વિવાદ એટલો વધી ગયો કે બંને એકબીજા પર લાત-ઘૂંસા વરસાવવા લાગ્યા હતા. મારામારી દરમિયાન એક મુસાફરનું ટી-શર્ટ પણ ફાટી ગયું હતું. ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

પહેલા બોલાચાલી , પછી શરૂ થઈ મારામારી

અહેવાલ મુજબ, ફ્લાઈટમાં બે મુસાફરો વચ્ચે પહેલા ભારે દલીલ થઈ હતી. ત્યારબાદ મામલો હાથાપાઈ સુધી પહોંચી ગયો. બંને મુસાફરો એકબીજા સાથે ઝઘડતા-ઝઘડતા લાત અને મુક્કા મારવા લાગ્યા હતા. અન્ય મુસાફરોએ બંનેને રોકવા અને વચ્ચે પડવાની કોશિશ કરી હતી, પરંતુ શરૂઆતમાં તેમને કાબૂમાં લેવા મુશ્કેલી પડી હતી.

આ દરમિયાન મારામારી એટલી ઉગ્ર બની ગઈ હતી કે એક મુસાફરનું ટી-શર્ટ ફાટી ગયું હતું. ફ્લાઈટમાં અચાનક સર્જાયેલા આ હંગામાને કારણે અન્ય મુસાફરોમાં પણ ગભરાટ ફેલાયો હતો.

એરલાઈને શું કહ્યું?

આ ઘટનાને લઈને એરલાઈને પૂછપરછ કરવામાં આવી ત્યારે જનરલ મેનેજર મહબૂબુદ્દીન અહમદે કહ્યું કે તેમને આ ઘટના અંગે હાલમાં કોઈ માહિતી નથી, પરંતુ તેઓ આ મામલે માહિતી મેળવશે. એરલાઈને આ ઘટનાને લઈને તે સમયે વધુ કોઈ વિગતવાર ટિપ્પણી કરી નહોતી.

અહેવાલ મુજબ, બંને મુસાફરો વચ્ચે ઝઘડો શરૂ થતાં ફ્લાઈટમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટના અંગે જાણ થતાં પાયલટે મુસાફરો સુધી પહોંચી પરિસ્થિતિને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ બંને મુસાફરોને કાબૂમાં લેવામાં આવ્યા હતા.

ફ્લાઈટની અંદર થયેલી આ મારામારીનો વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર પણ આ ઘટનાની ચર્ચા તેજ બની છે.

અમદાવાદમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ! સરખેજમાં આટલા ઇંચ વરસાદ, રસ્તાઓ બન્યા જળમાર્ગ

0

અમદાવાદમાં આજે સવારે મેઘતાંડવ સાથે થઈ હતી. વહેલી સવારથી ગાજવીજ સાથે પડેલા ધોધમાર વરસાદે શહેરના અનેક વિસ્તારોને જળબંબાકાર કરી દીધા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના આંકડા મુજબ સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીના માત્ર ચાર કલાકમાં શહેરમાં સરેરાશ 70.33 મિમી એટલે કે 2.77 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે અનેક મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી.

સરખેજમાં 5.22 ઇંચ, બાકરોલ-નવરંગપુરામાં પણ ભારે વરસાદ

આ ચાર કલાક દરમિયાન સરખેજ અર્બન હેલ્થ સેન્ટર ખાતે સૌથી વધુ 132.50 મિમી એટલે કે 5.22 ઇંચ વરસાદ નોંધાયો હતો. બાકરોલમાં 110 મિમી, નવરંગપુરામાં 109 મિમી, વાસણામાં 105 મિમી અને સરખેજમાં 98.50 મિમી વરસાદ નોંધાયો હતો.

આ ઉપરાંત કાલુપુરમાં 95 મિમી, ટાગોર કંટ્રોલમાં 93 મિમી, લાંભામાં 91.50 મિમી, મેમનગરમાં 88 મિમી, ચાંદલોડિયામાં 81.50 મિમી તથા દુધેશ્વર અને આશારવામાં 80 મિમી વરસાદ નોંધાયો હતો. શહેરના સાઉથ-વેસ્ટ ઝોનમાં સરેરાશ 89.43 મિમી અને વેસ્ટ ઝોનમાં 84.50 મિમી વરસાદ નોંધાયો હતો.

રસ્તાઓ પાણીમાં ગરકાવ, અંડરપાસ બંધ

ધોધમાર વરસાદના કારણે પરિમલ, શાહીબાગ, અખબારનગર અને મકરબા નજીકના LC-25 અંડરપાસ સહિત અનેક સ્થળોએ પાણી ભરાયું હતું. અખબારનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિને પગલે વાહનવ્યવહાર પર અસર પડી હતી. વેજલપુર, જોધપુર, ઇસ્કોન, શીલજ, હાટકેશ્વર અને નરોડા સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદને કારણે નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

AMTS-BRTS સેવા પણ ખોરવાઈ

ભારે વરસાદની સીધી અસર જાહેર પરિવહન પર પણ જોવા મળી હતી. ઉપલબ્ધ તાજા ડાયવર્ઝન મુજબ AMTSના 47 રૂટ અસરગ્રસ્ત થયા હતા, જેમાં 41 રૂટ ડાયવર્ટ અને 6 રૂટ અસ્થાયી રીતે ટૂંકાવાયા હતા. BRTSના 17 રૂટમાંથી 5 બંધ, 6 ટૂંકાવાયેલા અને 6 રૂટ ચાલુ રાખવામાં આવ્યા હતા.

વાસણા બેરેજના 14 દરવાજા ખોલાયા

ભારે વરસાદ અને વધતી પાણીની આવક વચ્ચે વાસણા બેરેજના 14 દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા હતા. અહેવાલ મુજબ બેરેજનું પાણીનું સ્ત

ગુજરાતના આ જિલ્લાઓમાં IMDની Warning, અરવલ્લીમાં ધોધમાર વરસાદથી સ્થિતિ બગડી

0

ઉત્તર ગુજરાતમાં ચોમાસાએ ફરી એકવાર રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અરવલ્લી જિલ્લામાં મેઘરાજાએ એવો ધમાકો બોલાવ્યો છે કે માત્ર બે જ કલાકમાં ચારેય તરફ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. ખાસ કરીને મેઘરજ પંથકમાં સવાર-સવારમાં વરસેલા અઢી ઈંચથી વધુ વરસાદે જનજીવન પ્રભાવિત કર્યું છે, જ્યારે હવામાન વિભાગે સમગ્ર પ્રદેશ માટે ગાજવીજ સાથે ભારે વરસાદની આશંકા વ્યક્ત કરતા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના તાજા આંકડા અનુસાર, ૧૮ સપ્ટેમ્બરે સવારે ૬થી ૮ વાગ્યા દરમિયાન મેઘરજમાં રાજ્યનો સૌથી વધુ ૬૫ મિમી (૨.૫૬ ઈંચ) વરસાદ ખાબક્યો હતો. આ જ સમયગાળામાં અરવલ્લીના મોડાસામાં પણ ૫૩ મિમી (૨.૦૯ ઈંચ) વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત સાબરકાંઠાના તાલોદમાં ૪૮ મિમી, મહેસાણાના ખેરાલુમાં ૩૮ મિમી અને મહેસાણા તાલુકામાં ૩૫ મિમી વરસાદ નોંધાતાં સમગ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ વધુ ઘેરો બન્યો છે.

ભારતીય હવામાન વિભાગ (IMD)ના તાજેતરના નાઉકાસ્ટ (Nowcast)માં ગુજરાતમાં સાબરકાંઠા,અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ખેડા જિલ્લા માં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને અન્ય વિસ્તારોમાં યેલ્લો અને ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની સ્થિતિમાં લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા અપીલ કરાઈ છે.

વિદેશ જવાનું પ્લાનિંગ છે? બાળકોના પાસપોર્ટ અંગે સરકારે બદલ્યો મહત્વનો નિયમ

0

જો તમે તમારા બાળક માટે નવો પાસપોર્ટ બનાવવાનું વિચારી રહ્યા છો અથવા આગામી સમયમાં વિદેશ પ્રવાસનું આયોજન કરી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. કેન્દ્ર સરકારે બાળકોના પાસપોર્ટની માન્યતા અંગેના નિયમોમાં ફેરફાર કર્યો છે. નવા નિયમ હેઠળ 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકને આપવામાં આવતો 36 પાનાનો સામાન્ય પાસપોર્ટ હવે 5 વર્ષ અથવા બાળક 18 વર્ષની ઉંમર પૂર્ણ કરે ત્યાં સુધી—જે પણ વહેલું હોય—માન્ય રહેશે.

વિદેશ મંત્રાલયે Passports (Amendment) Rules, 2026 જાહેર કરીને Passports Rules, 1980ના Rule 12(1A)માં ફેરફાર કર્યો છે. સત્તાવાર Gazetteમાં પ્રકાશિત સુધારા મુજબ આ નિયમ 36 પાનાના ordinary passport માટે છે. નવા નિયમો Official Gazetteમાં પ્રકાશિત થયાની તારીખથી અમલમાં આવ્યા છે.

પહેલાં શું નિયમ હતો?

જૂના Rule 12(1A) મુજબ 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકનો 36 પાનાનો સામાન્ય પાસપોર્ટ 5 વર્ષ અથવા બાળક 15 વર્ષની ઉંમર સુધી—જે પણ વહેલું હોય—માન્ય રહેતો હતો. હવે આ મર્યાદામાં ફેરફાર કરીને બાળકની ઉંમર 18 વર્ષ કરવામાં આવી છે.

એટલે કે, ઉદાહરણ તરીકે, 10 વર્ષના બાળકનો પાસપોર્ટ બનશે તો તે 5 વર્ષ સુધી માન્ય રહેશે. જ્યારે 14 વર્ષની ઉંમરે પાસપોર્ટ બનાવવામાં આવે તો તે બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી માન્ય રહેશે.

પાસપોર્ટની ફીમાં પણ ફેરફાર

હાલના revised fee structure મુજબ 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના અરજદારો માટે 36 પાનાના સામાન્ય પાસપોર્ટની ફી ₹2,500 અને 60 પાનાના પાસપોર્ટની ફી ₹3,500 છે. બાળકો માટે 36 પાનાના સામાન્ય પાસપોર્ટની ફી ₹1,750 છે.

8 વર્ષથી નાના બાળકોને 10% ડિસ્કાઉન્ટ

પાસપોર્ટની fresh application કરાવતા 8 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને 10 ટકા fee discount મળતો રહે છે. 60 વર્ષથી વધુ ઉંમરના senior citizens માટે પણ fresh passport application પર 10 ટકા discountની જોગવાઈ ચાલુ છે. આ છૂટ re-issue application માટે લાગુ પડતી નથી.

આ રીતે નવા નિયમથી ખાસ કરીને નાના બાળકોના વાલીઓને પાસપોર્ટની validity બાબતે વારંવારની પ્રક્રિયામાંથી રાહત મળી શકે છે. જોકે, બાળકની ઉંમર પ્રમાણે actual validity 5 વર્ષ કરતાં ઓછી પણ થઈ શકે છે, કારણ કે નિયમમાં 18 વર્ષની ઉંમરને અંતિમ મર્યાદા રાખવામાં આવી છે.

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાને પ્રથમ ‘રાજભાષા કીર્તિ પુરસ્કાર’થી સન્માન

0
ભારત સરકારના ગૃહ મંત્રાલયના રાજભાષા વિભાગ દ્વારા નવી મુંબઈમાં 14-15 સપ્ટેમ્બર 2026 દરમિયાન આયોજિત અખિલ ભારતીય રાજભાષા સંમેલનમાં સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાને રાજભાષાના શ્રેષ્ઠ અમલીકરણ બદલ પ્રથમ રાજભાષા કીર્તિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.

પ્રથમ પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવેલી રાજભાષા શિલ્ડ બેંકના MD અને CEO શ્રી કલ્યાણ કુમારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને સુનેત્રા પવારની ઉપસ્થિતિમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે સ્વીકારી હતી.

આ સન્માન બેંક દ્વારા રાજભાષાના અસરકારક અમલીકરણ, હિન્દીના પ્રચાર-પ્રસાર અને રાજભાષા નીતિ પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે કરવામાં આવેલા સતત પ્રયાસોનું પરિણામ છે.

આ પ્રસંગે બેંકની દ્વિભાષી ગૃહપત્રિકા ‘સેન્ટ્રલાઈટ’ના 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિશેષ ‘વારસા અંક’નું પણ વિમોચન કરવામાં આવ્યું. રાજભાષા વિભાગના રાજ્યમંત્રી નિત્યાનંદ રાય, બંડી સંજય કુમાર અને રાજભાષા સચિવ અંશુલી આર્યા દ્વારા તેનું વિમોચન કરવામાં આવ્યું.

સંમેલન દરમિયાન સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાની 115 વર્ષની ગૌરવશાળી સફર રજૂ કરતી વિશેષ પ્રદર્શન પણ યોજ્યું હતું. તેમાં બેંકની વિરાસત, નવીન પહેલો, રાજભાષા ક્ષેત્રની સિદ્ધિઓ અને વિકાસયાત્રાને વિવિધ મોડલ તથા પ્રસ્તુતિઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી.

આ મહત્વપૂર્ણ પ્રસંગે બેંકના MD અને CEO કલ્યાણ કુમાર, કાર્યપાલક નિયામક મહેન્દ્ર દોહરે, મુખ્ય મહાપ્રબંધક-રાજભાષા કુશલ પાલ, સહાયક મહાપ્રબંધક-રાજભાષા હિતેન્દ્ર ધૂમાલ સહિત દેશભરના રાજભાષા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

18 સપ્ટેમ્બરનું રાશિફળ: આજે કોના ભાગ્યમાં આવશે નવી તક અને સફળતા?

🌟 18 સપ્ટેમ્બર 2026 — દૈનિક રાશિફળ

♈ મેષ: આજે કાર્યક્ષેત્રમાં પ્રગતિના નવા માર્ગ ખુલશે. તમારી મહેનત અને નિર્ણયશક્તિથી મહત્વપૂર્ણ કામ પૂર્ણ થશે. નાણાકીય બાબતમાં લાભ મળી શકે છે, પરંતુ ઉતાવળથી રોકાણ ન કરવું. પરિવાર સાથે સમય પસાર કરવાથી મન પ્રસન્ન રહેશે.


♉ વૃષભ: વ્યવસાય અને નોકરીમાં સ્થિરતા જળવાઈ રહેશે. કોઈ જૂના સંપર્કથી લાભદાયી તક મળી શકે છે. આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવું જરૂરી રહેશે. પ્રેમજીવનમાં સમજદારી અને મધુરતા વધશે.


♊ મિથુન: આજે તમારી વાણી અને સંવાદકૌશલ્યથી કામ સરળ બનશે. નવી જવાબદારી અથવા પ્રોજેક્ટ મળી શકે છે. અટકેલા નાણાકીય કામમાં પ્રગતિ થવાની શક્યતા છે. મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં સારી રીતે વિચારવું.


♋ કર્ક: મનમાં નવી આશા અને ઉત્સાહ રહેશે. નોકરી-વ્યવસાયમાં તમારી કામગીરીની પ્રશંસા થઈ શકે છે. પરિવાર તરફથી સહયોગ મળશે અને કોઈ શુભ સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય માટે આરામ અને નિયમિતતા જાળવવી.


♌ સિંહ: આજે આત્મવિશ્વાસ અને નેતૃત્વની ભાવના મજબૂત રહેશે. કાર્યક્ષેત્રમાં કોઈ મહત્વપૂર્ણ તક તમારા પક્ષમાં આવી શકે છે. નાણાકીય લાભની સાથે ખર્ચ પણ વધી શકે છે. સંબંધોમાં નમ્રતા રાખશો તો દિવસ વધુ સુખદ રહેશે.


♍ કન્યા: આયોજનપૂર્વક કરેલા કાર્યોમાં સફળતા મળશે. નોકરીમાં નવી જવાબદારી અથવા પ્રગતિની સંભાવના છે. વેપારમાં નવી ડીલ કરતા પહેલાં તમામ વિગતો તપાસવી. અભ્યાસ અને નવી કુશળતા માટે દિવસ અનુકૂળ છે.


♎ તુલા: સંબંધો અને ભાગીદારી માટે દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં સહયોગીઓનો સહકાર મળવાથી કામ ઝડપથી પૂર્ણ થશે. નાણાકીય સ્થિતિમાં સુધારો થઈ શકે છે. પ્રેમસંબંધોમાં મધુર વાતચીતથી નિકટતા વધશે.


♏ વૃશ્ચિક: આજે કામમાં વ્યસ્તતા અને જવાબદારીઓ વધશે. ધીરજ રાખશો તો મુશ્કેલ પરિસ્થિતિ પર સરળતાથી નિયંત્રણ મેળવી શકશો. નાણાંની લેવડદેવડમાં સાવચેતી રાખવી. કોઈ અંગત બાબતમાં ગુપ્તતા જાળવવી તમારા હિતમાં રહેશે.


♐ ધન: ભાગ્યનો સારો સાથ મળવાની શક્યતા છે. કારકિર્દીમાં નવી તક અથવા મહત્વપૂર્ણ સંપર્ક મળી શકે છે. પ્રવાસ સંબંધિત યોજના બની શકે છે. પરિવાર અને પ્રિય વ્યક્તિ સાથે આનંદદાયક સમય પસાર થશે.


♑ મકર: આજે મહેનત અને શિસ્તથી સારા પરિણામ પ્રાપ્ત થશે. વડીલ અથવા અનુભવી વ્યક્તિની સલાહ ઉપયોગી સાબિત થશે. નાણાકીય બાબતમાં લાંબા ગાળાનું આયોજન કરવું. ઘર-પરિવારમાં શાંતિ જાળવવા માટે વાતચીતમાં ધીરજ રાખવી.


♒ કુંભ: નવા વિચારોને કાર્યમાં મૂકવા માટે દિવસ અનુકૂળ છે. વ્યવસાયિક ક્ષેત્રે નવી તક અથવા સંપર્ક મળી શકે છે. અચાનક ખર્ચ થવાની શક્યતા હોવાથી બજેટનું ધ્યાન રાખવું. મિત્રો અને પરિવાર સાથે સારો સમય મળશે.


♓ મીન: આજે ધીરજ અને સમજદારીથી આગળ વધવું જરૂરી રહેશે. જૂના અધૂરા કામ પૂર્ણ કરવાની તક મળશે. નાણાકીય બાબતમાં સાવચેતી અને આયોજન લાભદાયી રહેશે. આધ્યાત્મિક પ્રવૃત્તિ અથવા ધ્યાનથી મનને શાંતિ મળશે.

દિશા સાલિયન કેસમાં મોટો વળાંક! આદિત્ય ઠાકરે-અનિલ દેશમુખને ₹500 કરોડની નોટિસ

0

દિશા સાલિયનના મૃત્યુ કેસમાં CBIની નવી તપાસ શરૂ થયાના ગણતરીના દિવસોમાં જ મામલો વધુ ઉગ્ર બન્યો છે. હવે દિશાના પિતા સતીશ સાલિયાને શિવસેના (UBT) નેતા આદિત્ય ઠાકરે અને મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને ₹500 કરોડની માનહાનિની કાનૂની નોટિસ મોકલી છે. બંનેને તેમના નિવેદનો પાછા ખેંચી જાહેર માફી માંગવા માટે 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે.

રિપોર્ટ મુજબ, નોટિસમાં સતીશ સાલિયાને આક્ષેપ કર્યો છે કે બંને નેતાઓના જાહેર નિવેદનોથી તેમની દીકરીના મૃત્યુ અંગે ફરી તપાસની માંગને રાજકીય રંગ આપવામાં આવ્યો અને તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું હતું. નોટિસમાં નિવેદનો પાછા ખેંચવા, લેખિત જાહેર માફી માગવા અને ₹500 કરોડનું વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે.

આ મામલો 16 સપ્ટેમ્બરે આદિત્ય ઠાકરેના નિવેદન બાદ વધુ ચર્ચામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેઓ દિશા સાલિયનને ક્યારેય મળ્યા નથી કે તેમની સાથે કોઈ ઓળખાણ નહોતી. તેમણે છેલ્લા કેટલાક વર્ષોથી પોતાનું નામ આ કેસ સાથે જોડવાના પ્રયાસોને રાજકીય અને વ્યક્તિગત કારણોથી કરવામાં આવતી કાર્યવાહી ગણાવી હતી. સાથે જ તેમણે કોઈ રાજકીય હસ્તક્ષેપ વિના નિષ્પક્ષ તપાસની વાત કરી હતી.

અનિલ દેશમુખના અગાઉના નિવેદનનો પણ નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. માર્ચ 2025માં દેશમુખે દિશા સાલિયન કેસને આદિત્ય ઠાકરેને બદનામ કરવાના ષડયંત્ર તરીકે વર્ણવ્યો હતો. હવે સતીશ સાલિયાને આ પ્રકારના નિવેદનો સામે વાંધો ઉઠાવ્યો છે.

દરમિયાન, 2 સપ્ટેમ્બર 2026ના રોજ બોમ્બે હાઈકોર્ટે દિશા સાલિયનના મૃત્યુની નવેસરથી CBI તપાસનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ CBIએ 14 સપ્ટેમ્બરે FIR નોંધાવી હતી. FIRમાં આદિત્ય ઠાકરે સહિત અનેક વ્યક્તિઓના નામ છે, જેમની ભૂમિકાની તપાસ કરવાની વાત છે.

દિશા સાલિયનનું 8 જૂન 2020ના રોજ મુંબઈમાં બિલ્ડિંગ પરથી પડી જવાથી મૃત્યુ થયું હતું. તેઓ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર હટી. અગાઉ પોલીસ તપાસમાં તેમના મૃત્યુને આત્મહત્યા તરીકે નોંધવામાં આવ્યું હતું, જ્યારે હવે CBI સમગ્ર ઘટનાક્રમ અને અગાઉની તપાસમાં ઉઠેલા સવાલોની ફરી તપાસ કરી રહી છે.

ટાટા સન્સના ચેરમેન અને IPO લિસ્ટિંગને લઈને બોર્ડનો મોટો નિર્ણય!

0

થોડા સમય પહેલાં જ એન. ચંદ્રશેખરન ફેબ્રુઆરી 2027 બાદ ટાટા સન્સના ચેરમેન તરીકે ફરી કાર્યકાળ નહીં સ્વીકારે તેવી જાહેરાત કરી ચૂક્યા હતા, પરંતુ હવે અચાનક આખી સ્થિતિ બદલાઈ ગઈ છે. ટાટા સન્સના બોર્ડે 17 સપ્ટેમ્બર 2026ના રોજ ચંદ્રશેખરનને વધુ 5 વર્ષ માટે એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે ફરી નિયુક્ત કરવાની મંજૂરી આપી છે. એટલું જ નહીં, ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપનીને શેરબજારમાં લિસ્ટ કરવાની પ્રક્રિયા પણ આગળ વધારવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી ટાટા ગ્રુપમાં આગામી દિવસોની દિશા અંગે ચર્ચા તેજ બની છે.

ટાટા સન્સના બોર્ડે મળેલી બેઠકમાં ચંદ્રશેખરનના નવા કાર્યકાળને મંજૂરી આપી હતી. તેઓ વર્ષ 2017થી ટાટા સન્સના ચેરમેન તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે અને તેમનો વર્તમાન કાર્યકાળ 20 ફેબ્રુઆરી 2027એ પૂર્ણ થવાનો હતો. ખાસ વાત એ છે કે ઓગસ્ટ 2026માં તેમણે પોતે જ કહ્યું હતું કે હાલનો કાર્યકાળ પૂરો થયા બાદ તેઓ બીજા કાર્યકાળ માટે ચૂંટણી નહીં લડે. હવે બોર્ડના તાજા નિર્ણયથી આ સ્થિતિ બદલાઈ ગઈ છે.

આ નિર્ણયને લઈને ટાટા ટ્રસ્ટ્સના ચેરમેન નોએલ ટાટાએ વિરોધ નોંધાવ્યો હોવાનું રિપોર્ટ્સમાં જણાવાયું છે. જ્યારે ટાટા ટ્રસ્ટ્સના નામાંકિત ડિરેક્ટર વેણુ શ્રીનિવાસને ચંદ્રશેખરનની પુનર્નિયુક્તિનું સમર્થન કર્યું હતું. રિપોર્ટ્સ મુજબ બોર્ડમાં આ પ્રસ્તાવને સર્વસંમતિ મળી નહોતી.

બીજી તરફ, ટાટા સન્સના લિસ્ટિંગનો મુદ્દો પણ આ બેઠકમાં મહત્વનો રહ્યો હતો. ભારતીય રિઝર્વ બેન્કે તાજેતરમાં ટાટા સન્સની કોર ઇન્વેસ્ટમેન્ટ કંપની તરીકેની NBFC નોંધણી સરેન્ડર કરવાની અરજી ફગાવી દીધી હતી. પરિણામે ટાટા સન્સ માટે શેરબજારમાં લિસ્ટિંગની નિયમનકારી જરૂરિયાત ફરી કેન્દ્રમાં આવી છે.

RBIએ સપ્ટેમ્બર 2022માં ટાટા સન્સને Upper Layer NBFC તરીકે વર્ગીકૃત કરી હતી. આવા NBFC માટે નિર્ધારિત સમયમર્યાદામાં શેરબજારમાં લિસ્ટિંગ કરવું જરૂરી છે. લિસ્ટિંગની આ અનિવાર્યતા ટાળવા માટે ટાટા સન્સે 2024માં ₹21,000 કરોડથી વધુનું દેવું ચૂકવીને NBFC રજિસ્ટ્રેશન સરેન્ડર કરવાનો પ્રયાસ કર્યો હતો.

હવે બંને મહત્વના પ્રસ્તાવો—ચંદ્રશેખરનનો નવો કાર્યકાળ અને ટાટા સન્સનું લિસ્ટિંગ—આગામી AGMમાં શેરધારકોની મંજૂરી પર નિર્ભર રહેશે. ટાટા ટ્રસ્ટ્સ પાસે ટાટા સન્સમાં આશરે 66 ટકા હિસ્સો હોવાથી AGMના નિર્ણયમાં ટ્રસ્ટ્સની ભૂમિકા મહત્વપૂર્ણ બની શકે છે.