Tuesday, Aug 18, 2026

15 ઓગસ્ટની રાત્રે પરિવાર જમ્યું પંજાબી શાક, બીજા દિવસે ઘરમાં માતમ!

2 Min Read

સુરતમાં 15 ઓગસ્ટની રાત્રે રેસ્ટોરન્ટમાંથી મંગાવેલું ભોજન ખાધા બાદ એક જ પરિવારના પાંચ સભ્યોની તબિયત અચાનક લથડતાં ચકચાર મચી ગઈ છે. વરાછાની રણુજાધામ સોસાયટીમાં બનેલી આ ઘટનામાં માત્ર 5 વર્ષની બાળકી આર્યાનું સારવાર દરમિયાન મોત થયું છે, જ્યારે તેના માતા-પિતા અને બે બહેનો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પરિવારજનોના જણાવ્યા મુજબ, કાજુ અને પનીરનું પંજાબી શાક ખાધા બાદ પરિવારના સભ્યોની તબિયત બગડી હતી.

મળતી માહિતી મુજબ, અશોકભાઈ કળસરિયા અને તેમનો પરિવાર 15 ઓગસ્ટની રાત્રે ‘શીતલ રેસ્ટોરન્ટ’માંથી લાવેલું પંજાબી શાક જમ્યા હતા. બીજા દિવસે વહેલી સવારે લગભગ 4 વાગ્યે અશોકભાઈ અને તેમની એક પુત્રીને પેટમાં ભારે દુખાવો શરૂ થયો હતો. સ્થાનિક ક્લિનિકમાં સારવાર અને બોટલ ચડાવ્યા બાદ પણ રાહત ન મળતાં પરિવારના અન્ય સભ્યોની પણ તબિયત બગડવા લાગી હતી.

પરિસ્થિતિ ગંભીર બનતાં તમામને સદવિચાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરિવારના કહેવા પ્રમાણે, હોસ્પિટલમાં લાવ્યાના આશરે 15થી 20 મિનિટમાં જ 5 વર્ષની આર્યાનું મોત થયું હતું. બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.

હાલ અશોકભાઈ, તેમની પત્ની અને બે પુત્રીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પરિવારજનોના જણાવ્યા મુજબ, ચારેયના તબીબી રિપોર્ટમાં ફૂડ પોઈઝનિંગ સામે આવ્યું છે.

આ ઘટનાને પગલે પરિવારજનોએ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માગ કરી છે. ભોજનમાં બેદરકારી કે ખોરાકની ગુણવત્તા અંગે કોઈ જવાબદારી સામે આવે તો સંબંધિત રેસ્ટોરન્ટ સંચાલકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માગ કરવામાં આવી છે.

Share This Article