સુરત શહેરમાં છેલ્લા 24 કલાકથી સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સુરત મહાનગરપાલિકાએ બચાવ અને રાહત કામગીરી તેજ કરી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ સહિતની ટીમો 24 કલાક સતત કામગીરી કરી રહી છે.
પાલિકા કમિશનરના માર્ગદર્શન હેઠળ લિંબાયત ઝોનના ગીતાનગરમાંથી 8, વરાછા ઝોનમાં શીતળામાતા મંદિર નજીકથી 2 તેમજ ઉધના ઝોનના પાંડેસરા સ્થિત કૃષ્ણાનગર વિસ્તારમાંથી 40 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ઉપરાંત લિંબાયતના મીઠીખાડી વિસ્તારમાં પાણીમાં ફસાયેલા એક વ્યક્તિને બચાવી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
રેસ્ક્યુ ટીમો બોટ સહિતના જરૂરી સાધનો સાથે અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરી રહી છે અને જરૂરિયાતમંદ લોકોને સલામત સ્થળે પહોંચાડવાની કામગીરી ચાલુ રાખી છે.
પાલિકા કમિશનર એમ. નાગરાજને જણાવ્યું કે, હાલ શહેરની સ્થિતિ નિયંત્રણમાં છે. જ્યાં પાણી ભરાયા છે ત્યાં ઝડપી ધોરણે પાણીના નિકાલની કામગીરી ચાલી રહી છે. સાથે જ અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળોએ આશ્રય, ભોજન અને અન્ય જરૂરી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
હાઈ ટાઈડની સ્થિતિને ધ્યાનમાં રાખીને કમિશનરે શહેરીજનોને અનિવાર્ય કારણ સિવાય ઘરેથી બહાર ન નીકળવાની અને સત્તાવાળાઓની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.