Friday, Jun 26, 2026

ઉત્તરાખંડ-હિમાચલ બોર્ડર પર તણાવ: નિહંગ શીખોને રોકતા હોબાળો, બેરિકેડ તોડવાનો પ્રયાસ

2 Min Read

ઉત્તરાખંડના કર્ણપ્રયાગમાં નિહંગ શીખ અને સ્થાનિક લોકો વચ્ચે થયેલા વિવાદ બાદ હિમાચલ-ઉત્તરાખંડ બોર્ડર પર તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. કૂલ્હાલ બોર્ડર પર મોટી સંખ્યામાં પહોંચેલા નિહંગ સીખોને પોલીસે રોકતા ભારે હોબાળો મચ્યો હતો. આ દરમિયાન નિહંગોએ જોરદાર નારેબાજી કરી હતી અને આરોપ છે કે કેટલાક લોકોએ બેરિકેડિંગ તોડી આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ અને સુરક્ષા દળોએ તાત્કાલિક મોરચો સંભાળ્યો હતો.

કર્ણપ્રયાગ વિવાદ બાદ ઉત્તરાખંડ કૂચના એલાનને ધ્યાનમાં રાખીને કૂલ્હાલ બોર્ડર સહિત તમામ સરહદી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. વધારાની પોલીસ ફોર્સ, ITBP અને વહીવટી અધિકારીઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તમામ વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

બીજી તરફ, મામલાનું શાંતિપૂર્ણ નિરાકરણ લાવવા માટે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રશાસન સાથે નિહંગ સીખોના પ્રતિનિધિઓ વચ્ચે પોંટા સાહિબ સ્થિત ગુરુદ્વારામાં ચર્ચા ચાલી રહી છે.

આ સમગ્ર વિવાદની શરૂઆત 16 જૂનના રોજ કર્ણપ્રયાગમાં થઈ હતી, જ્યારે નિહંગ સીખો અને સ્થાનિક લોકો વચ્ચે અથડામણ થઈ હતી. આ ઘટનામાં ચાર સ્થાનિક લોકો ઘાયલ થયા હતા. મામલામાં પોલીસે ચાર નિહંગોને ધરપકડ કરી હતી. ત્યારબાદ નિહંગોએ નગરાસૂ સ્થિત ગુરુદ્વારા પર કબજો જમાવ્યો હતો. જોકે, સ્થાનિક પ્રશાસન અને પંજાબના પ્રતિનિધિમંડળની મધ્યસ્થતા બાદ ગુરુદ્વારાને મુક્ત કરાવવામાં આવ્યું હતું.

બોર્ડર પર પહોંચેલા નિહંગ શીખોએ જણાવ્યું કે તેઓ કાયદો અને વ્યવસ્થા બગાડવા માંગતા નથી. તેઓ માત્ર શાંતિપૂર્ણ રીતે ‘સત્નામ વાહેગુરુ’નો જાપ કરતા હેમકુંડ સાહિબ જવા માંગે છે. સાથે જ તેમણે માંગ કરી હતી કે ધરપકડ કરાયેલા તેમના ચાર સાથીઓને મુક્ત કરીને પંજાબ મોકલવામાં આવે. નિહંગોએ કહ્યું કે જ્યાં સુધી તેમના સાથીઓને છોડવામાં નહીં આવે, ત્યાં સુધી તેઓ પરત નહીં ફરે.

આ મામલે ગઢવાલના ઇન્સ્પેક્ટર જનરલ રાજીવ સ્વરૂપે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે શરૂઆતમાં આ વિવાદ નિહંગ શ્રદ્ધાળુઓ અને ગુરુદ્વારા મેનેજમેન્ટ વચ્ચેનો હતો. લંગરને લઈને થયેલી બોલાચાલી બાદ મેનેજમેન્ટે પોલીસને જાણ કરી હતી. પોલીસ પહોંચતા કેટલાક નિહંગો ગભરાઈ ગયા હતા અને ઇમારતની છત પર જઈને બંધ થઈ ગયા હતા. ત્યારબાદ તેમની સાથે અનેક તબક્કાની વાતચીત કરવામાં આવી હતી.

Share This Article