મધ્ય પૂર્વથી ભારત તરફ આવનારા કુલ 30 જહાજો હોર્મુઝની સામુદ્રધુનીમાંથી સુરક્ષિત રીતે પસાર થઈ ચૂક્યા છે, જ્યારે અન્ય 26 જહાજો હજુ પણ આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગમાંથી પસાર થવાની રાહ જોઈ રહ્યા છે. શિપિંગ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરક્ષિત રીતે પસાર થયેલા જહાજોમાંથી લગભગ અડધા જહાજો LPG અને LNG જેવા ઊર્જા ઉત્પાદનોનું પરિવહન કરી રહ્યા હતા. આ ઉપરાંત આઠ જહાજો બલ્ક કાર્ગો અને સાત જહાજો ક્રૂડ ઓઇલ લઈ જઈ રહ્યા હતા.
ઈરાન-યુએસ કરારની અસર
અધિકારીઓના જણાવ્યા મુજબ 1 માર્ચથી 17 જૂન દરમિયાન કુલ 19 જહાજો હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થયા હતા. જોકે ઈરાન અને અમેરિકા વચ્ચે સમજૂતી કરાર થયા બાદ વધુ 11 જહાજોએ પણ સુરક્ષિત રીતે આ માર્ગ પાર કર્યો છે. ભારત તરફ આવી રહેલા અથવા ભારતીય બંદરો તરફ જતાં આ 30 જહાજોમાંથી 17 વિદેશી ધ્વજવાળા છે. તેમાં માર્શલ આઇલેન્ડ્સના ધ્વજ હેઠળ સંચાલિત પાંચ જહાજોની સંખ્યા સૌથી વધુ છે.
અખાતમાં 26 જહાજોની સ્થિતિ
અહેવાલો અનુસાર ભારતીય હિતો સાથે સંકળાયેલા 26 જહાજો હાલમાં હોર્મુઝ સ્ટ્રેટની પશ્ચિમ તરફ આવેલા પર્શિયન ગલ્ફ વિસ્તારમાં હાજર છે. તેમાં ભારતીય તેમજ વિદેશી ધ્વજવાળા જહાજોનો સમાવેશ થાય છે, જે ભારત તરફ આવી રહ્યા છે.
આ 26 જહાજોમાંથી ત્રણ ઊર્જા ઉત્પાદનો, 10 ખાતર અને બાકીના 13 વિવિધ પ્રકારના કાર્ગોનું પરિવહન કરી રહ્યા છે. હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ જળમાર્ગોમાંથી એક છે, જ્યાંથી વૈશ્વિક ઊર્જા પુરવઠાનો લગભગ પાંચમો હિસ્સો પસાર થાય છે. ભારત માટે પણ આ માર્ગ અત્યંત મહત્વનો છે, કારણ કે LNG અને LPG માટે દેશ મોટા પ્રમાણમાં અખાતના દેશો પર નિર્ભર છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકા અને ઈરાન વચ્ચેના કરાર બાદ હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર ફરી સામાન્ય બની રહી છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ 17 જૂન પછી ભારત સાથે સંકળાયેલા 11 જહાજો સુરક્ષિત રીતે આ માર્ગમાંથી પસાર થયા છે, જેમાં ત્રણ ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કરનો પણ સમાવેશ થાય છે.
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે હાલમાં 10 ભારતીય ધ્વજવાળા જહાજો પર્શિયન ગલ્ફ વિસ્તારમાં કાર્યરત છે, જ્યારે બે અન્ય ભારતીય જહાજો તાજેતરમાં આ વિસ્તારમાં પ્રવેશ્યા છે. આ પરિસ્થિતિ દર્શાવે છે કે હોર્મુઝ સ્ટ્રેટ હાલમાં ખુલ્લું છે અને જહાજોની અવરજવર સામાન્ય રીતે ચાલુ છે.