તામિલનાડુના તિરુવલ્લુર જિલ્લામાં આવેલી એક સી-ફૂડ એક્સપોર્ટ ફેક્ટરીમાં અમોનિયા ગેસ લીક થવાને કારણે ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં 7 મહિલા કર્મચારીઓનાં મોત થયા છે, જ્યારે 67થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. ઘાયલોમાંથી 9 લોકોની હાલત ગંભીર હોવાથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.
આ દુર્ઘટના સેન્ટ પીટર્સ પોલ સી-ફૂડ્સ એક્સપોર્ટ્સ યુનિટમાં બની હતી. ગેસ લીકેજ થતાં જ ફેક્ટરી પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને કામદારોમાં નાસભાગ મચી ગઈ હતી.
સ્થળાંતરિત મહિલા કામદારો સૌથી વધુ અસરગ્રસ્ત
અધિકારીઓના જણાવ્યા મુજબ, અસરગ્રસ્તોમાં મોટાભાગના લોકો ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાંથી આવેલા સ્થળાંતરિત કામદારો છે, જેમાં મહિલાઓની સંખ્યા વધુ છે. અમોનિયા ગેસના સંપર્કમાં આવતા અનેક કામદારોને શ્વાસ લેવામાં તકલીફ, ચક્કર આવવા, ઊબકા અને ઊલટી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.
ઘાયલોમાં મોટાભાગની યુવતીઓ 24થી 25 વર્ષની વયજૂથની હોવાનું જણાવવામાં આવ્યું છે. તબીબોનું માનવું છે કે તેમની ઉંમર ઓછી હોવાથી તેઓ ઝડપથી સ્વસ્થ થઈ શકે છે.
67થી વધુ લોકોને હોસ્પિટલમાં ખસેડાયા
જિલ્લા કલેક્ટર એસ. કવિતાએ જણાવ્યું હતું કે 46 દર્દીઓને વેલ્સ હોસ્પિટલમાં અને 21 દર્દીઓને વેન્કટેશ્વર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે ગંભીર હાલતમાં રહેલા 9 દર્દીઓને વધુ સારી સારવાર માટે ચેન્નઈની સરકારી સ્ટેનલી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મેજર વાલ્વમાંથી ગેસ લીક થવાનો પ્રાથમિક અંદાજ
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ફેક્ટરીના એક મેજર વાલ્વમાંથી અમોનિયા ગેસ લીક થયો હતો. ઘટનાના ચોક્કસ કારણોની તપાસ માટે ડીન ડૉ. શાંતારામની અધ્યક્ષતામાં વિશેષ તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.
આ ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસે ફેક્ટરીના માલિકની ધરપકડ કરી છે. સાથે જ સંબંધિત અધિકારીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ ગેસ લીકેજ પાછળના વાસ્તવિક કારણો સ્પષ્ટ થઈ શકશે.