Monday, Jun 22, 2026

ખુશખબર! અંબાલાલ પટેલે ચોમાસાને લઈને કરી મોટી ભવિષ્યવાણી

2 Min Read

રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીને કારણે ઘણી જગ્યાએ વરસાદ થયો છે પરંતુ હજુ સુધી ચોમાસાનું સત્તાવાર આગમન થયું નથી. આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખુશીના સમાચાર આપ્યા છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે 21 જૂનથી વર્ષા ઋતુની શરૂઆત થઈ ગઈ છે. 23 જૂનથી ચોમાસું આગળ વધવાનું છે.

શું કહ્યું અંબાલાલ પટેલે
ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે આગામી 48 કલાકમાં ચોમાસું સક્રિય થઈ શકે છે. 25 જૂન સુધી મુંબઈ-મહારાષ્ટ્ર થઈ ચોમાસું દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં પહોંચી જશે. મુંબઈના વિસ્તારમાં બેથી ચાર ઈંચ વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે 26 જૂનથી 28 જૂન સુધીમાં મુંબઈ અને મહારાષ્ટ્રમાં વરસાદ થઈ શકે છે.

અતિભારે વરસાદની આગાહી
હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે 29 જૂનથી 5 જુલાઈ સુધીમાં અતિભારે વરસાદની સંભાવના છે. મુંબઈ, મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 29 જૂનથી 5 જુલાઈ સુધીમાં પૂર આવવાની સંભાવના છે. ભરૂચ અને વડોદરા જિલ્લામાં પણ વરસાદનું આગમન થઈ શકે છે. તો 29 જૂનથી 5 જુલાઈ વચ્ચે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ પડશે.

ઉત્તર ગુજરાતમાં ક્યારે આવશે વરસાદ?
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે ઉત્તર ગુજરાતના પંચમહાલ અને બનાસકાંઠા જિલ્લામાં વાવણી લાયક વરસાદ થશે. ઘણા ભાગોમાં 3થી 4 ઈંચ વરસાદ પડી શકે છે. 6-7 જુલાઈએ આદ્યા નક્ષત્રમાં ખાડા-ખાબોચિયા ભરાશે. 7 જુલાઈ બાદ નદી-નાળા છલકાવાની સંભાવના છે. 17 જુલાઈ સુધીમાં સમગ્ર રાજ્યમાં સારા વરસાદની સંભાવના છે. આ સાથે અંબાલાલે જણાવ્યું કે જુલાઈ મહિનામાં કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડતા પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.

Share This Article