મહારાષ્ટ્રના પરભણી જિલ્લામાં આવેલા યશવાડી દેવસ્થાન ખાતે શનિવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. હનુમાન મંદિરની સામે નિર્માણાધીન સભામંડપની છત અચાનક ધરાશાયી થતાં અનેક શ્રદ્ધાળુઓ કાટમાળ નીચે દટાઈ ગયા હતા. ઘટનામાં અત્યાર સુધી 6 લોકોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે, જ્યારે 30થી 40 લોકો ઘાયલ થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઘટનાના સમયે મંદિરમાં કીર્તન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. શનિવાર હોવાને કારણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રસાદ ગ્રહણ કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક સભામંડપનું માળખું તૂટી પડતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
CCTVમાં કેદ થઈ સમગ્ર ઘટના
આ દુર્ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં છત ધરાશાયી થતાની સાથે જ લોકોમાં નાસભાગ મચી જતી જોવા મળે છે. કાટમાળ, લોખંડના સળિયા અને પથ્થરો નીચે દબાઈ જતાં અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ
ઘટનાની જાણ થતાં જ પોલીસ, સ્થાનિક પ્રશાસન અને રાહત-બચાવ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. કાટમાળમાંથી અત્યાર સુધી 6 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે ઘાયલોમાંથી 10 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અન્ય ઘાયલોને પણ તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
નિર્માણાધીન સભામંડપની છત બની દુર્ઘટનાનું કારણ
રિપોર્ટ્સ મુજબ, હનુમાન મંદિરની બરાબર સામે સભામંડપના નિર્માણનું કામ ચાલી રહ્યું હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ જ નિર્માણાધીન સભામંડપની છત અચાનક તૂટી પડતાં દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રશાસને સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા છે અને રાહત-બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે.