Friday, Jun 19, 2026

કચ્છમાં 3.2 તીવ્રતા ભયાનક ભૂકંપનો આંચકો, કોઈ નુકસાન નહીં

1 Min Read

કચ્છ જિલ્લામાં બુધવારે બપોરે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. ભૂકંપશાસ્ત્રીય સંશોધન સંસ્થા, ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ 17 જૂન, 2026ના રોજ બપોરે 12:39:35 કલાકે ભચાઉથી આશરે 11 કિલોમીટર ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં ભૂકંપ નોંધાયો હતો.

રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.2 મેગ્નિટ્યુડ નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર અક્ષાંશ 23.396 અને રેખાંશ 70.337 પર સ્થિત હોવાનું જણાવાયું છે. તીવ્રતા ઓછી હોવાથી ભૂકંપની અસર મર્યાદિત રહી હતી અને કોઈ મોટા નુકસાનના અહેવાલ પ્રાપ્ત થયા નથી. કેટલાક વિસ્તારોમાં લોકોએ થોડા સમય માટે ધરતી ધ્રુજવાનો અનુભવ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે કચ્છ જિલ્લો ભૂકંપની દૃષ્ટિએ અતિસંવેદનશીલ ઝોન-5માં સમાવિષ્ટ છે. વર્ષ 2001ના વિનાશકારી ભૂકંપ બાદ આ વિસ્તારમાં સમયાંતરે નાના અને મધ્યમ તીવ્રતાના આંચકા નોંધાતા રહ્યા છે. હાલ સુધી તંત્રને કોઈ જાનહાનિ કે મિલકતને નુકસાન અંગેની માહિતી મળી નથી.

ભૂકંપ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર 3.0થી 4.0 મેગ્નિટ્યુડ વચ્ચેના ભૂકંપ સામાન્ય રીતે ગંભીર નુકસાન પહોંચાડતા નથી. તેમ છતાં, ભૂકંપપ્રવણ વિસ્તારોમાં રહેતા લોકોએ સાવચેતી રાખવી અને જરૂરી સુરક્ષા માર્ગદર્શિકાઓનું પાલન કરવું જરૂરી છે.

Share This Article