ભારતીય રિઝર્વ બેંક (RBI)ની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની ત્રણ દિવસીય બેઠક બાદ ગવર્નર સંજય મલ્હોત્રાએ મહત્વપૂર્ણ નિર્ણયોની જાહેરાત કરી છે. MPCએ સર્વાનુમતે રેપો રેટ 5.25 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. પરિણામે ઘર, વાહન અને અન્ય લોનની EMIમાં તાત્કાલિક કોઈ ફેરફાર થવાની શક્યતા નથી.
પશ્ચિમ એશિયામાં વધતા ભૂરાજકીય તણાવ, વૈશ્વિક અનિશ્ચિતતા અને મોંઘવારીના જોખમોને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલા આ નિર્ણય પર સમગ્ર બજારની નજર હતી. MPCએ વ્યાજદરમાં કોઈ ફેરફાર કર્યા વગર ‘તટસ્થ’ (Neutral) વલણ જાળવી રાખવાનું નક્કી કર્યું છે.
રેપો રેટ 5.25% પર યથાવત
RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે દેશની આંતરિક આર્થિક પ્રવૃત્તિઓ હાલમાં સ્થિર છે અને અર્થતંત્ર મજબૂત સ્થિતિમાં છે. તેથી MPCએ હાલ વ્યાજદરમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. તેમણે જણાવ્યું કે ભારતીય અર્થતંત્ર વૈશ્વિક પડકારો વચ્ચે પણ સ્થિરતા દર્શાવી રહ્યું છે.
વૈશ્વિક પડકારો અને મોંઘવારી પર RBIની નજર
ગવર્નરે જણાવ્યું કે વિશ્વ અર્થતંત્ર હાલમાં અનેક પડકારો અને અનિશ્ચિતતાઓનો સામનો કરી રહ્યું છે. ઊંચી ઊર્જા કિંમતો અને વૈશ્વિક તણાવના કારણે વિકાસદર પર દબાણ તેમજ મોંઘવારીમાં વધારો જોવા મળી શકે છે. જોકે હાલ ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) આધારિત મોંઘવારી લક્ષ્યાંકથી નીચે છે, પરંતુ તેમાં વધારો થવાની શક્યતા યથાવત છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત પાસે આ વૈશ્વિક પડકારોનો સામનો કરવાની પૂરતી ક્ષમતા છે અને RBI સતત આર્થિક પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.
GDP વૃદ્ધિ દરનો અંદાજ ઘટાડ્યો
RBIએ ચાલુ નાણાકીય વર્ષ માટે GDP વૃદ્ધિ દરનો અંદાજ 6.9 ટકાથી ઘટાડીને 6.6 ટકા કર્યો છે. ગવર્નરે જણાવ્યું કે ઊર્જા ખર્ચમાં વધારો, સપ્લાય ચેઇનમાં અવરોધો અને વૈશ્વિક માંગમાં નબળાઈના કારણે આર્થિક પ્રવૃત્તિઓ પર અસર પડી શકે છે. તેમણે કહ્યું કે ઊંચા લોજિસ્ટિક્સ ખર્ચ અને આંતરરાષ્ટ્રીય વેપારની અનિશ્ચિતતાઓના કારણે ભારતના નિકાસ ક્ષેત્ર સામે પણ પડકારો ઊભા થયા છે.
મોંઘવારીનું અનુમાન વધાર્યું
RBIએ નાણાકીય વર્ષ 2027 માટે CPI આધારિત રિટેલ મોંઘવારીનો અંદાજ 4.6 ટકાથી વધારીને 5.1 ટકા કર્યો છે. જ્યારે કોર ઇન્ફ્લેશન 4.7 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.
ગવર્નરે જણાવ્યું કે ઊર્જા કિંમતોમાં વધારો અને વૈશ્વિક વેપાર નીતિઓની અનિશ્ચિતતા ચાલુ ખાતાની ખાધ (CAD) પર દબાણ વધારી શકે છે. તેમ છતાં, ભારતનો વિદેશી મુદ્રા ભંડાર (Forex Reserve) મજબૂત છે અને કોઈપણ બાહ્ય આંચકાનો સામનો કરવા માટે પૂરતો છે.
વિદેશી રોકાણ માટે રાહત
RBIએ વિદેશી અને NRI રોકાણકારોને પ્રોત્સાહન આપવા માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય પણ લીધા છે. સરકારી સિક્યોરિટીઝમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI) માટે રોકાણના નિયમોને વધુ સરળ બનાવવામાં આવ્યા છે.
આ ઉપરાંત, એનઆરઆઈ (NRI) અને ઓવરસીઝ સિટિઝન ઓફ ઇન્ડિયા (OCI) માટે ઇક્વિટી રોકાણની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. RBIએ રૂપિયાના વિનિમય દર અંગેની પોતાની હાલની નીતિમાં પણ કોઈ ફેરફાર કર્યો નથી. RBIના આ નિર્ણયથી હાલ માટે લોનધારકોને EMIમાં કોઈ રાહત મળવાની નથી, પરંતુ આર્થિક સ્થિરતા જાળવવા માટે કેન્દ્રિય બેંકે સાવચેતીભર્યું વલણ અપનાવ્યું હોવાનું સ્પષ્ટ થયું છે.