Friday, Jun 5, 2026

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સુરતના પ્રવાસે આવશે, ₹21 હજાર કરોડથી વધુના વિકાસ કાર્યોની આપશે ભેટ

3 Min Read

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતી કાલે શુક્રવાર 5 જૂન 2026ના રોજ સુરત અને દમણની મુલાકાતે આવે તેવી શક્યતા છે. તેમના સંભવિત આગમનને ધ્યાનમાં રાખીને શહેર ભાજપ અને વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જો કે, વડાપ્રધાન કાર્યાલય તરફથી સત્તાવાર કાર્યક્રમ હવે પછી જાહેર કરાશે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દમણમાં એરપોર્ટના ઉદ્ઘાટન સહિતની વિવિધ વિકાસલક્ષી યોજનાઓના લોકાર્પણ કાર્યક્રમોમાં હાજરી આપવા આવવાના છે.

વડાપ્રધાન દિલ્હીથી સુરત એરપોર્ટ પર આવ્યા બાદ હેલિકોપ્ટરથી દમણ જશે. સુરતમાં વડાપ્રધાનના સંભવિત કાર્યક્રમ માટે ઇન્ડોર સ્ટેડિયમને પસંદ કરવામાં આવે તેવી ચર્ચા રાજકીય અને વહીવટી વર્તુળોમાં ચાલી રહી છે. વડાપ્રધાનની મુલાકાતને લઈને ભાજપના કાર્યકરો અને વિવિધ સંગઠનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ સુરત શહેર પોલીસ, મહાનગરપાલિકા અને અન્ય સરકારી વિભાગો દ્વારા પણ જરૂરી વ્યવસ્થાઓ અંગેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે. તાજેતરમાં સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત મેળવી છે જેમાં 120 માંથી 115 બેઠકો પર વિજય મેળવ્યો હતો.

વડાપ્રધાનના આ પ્રવાસ દરમિયાન સંઘપ્રદેશને બે સૌથી મહત્વાકાંક્ષી અને મોટા પ્રોજેક્ટ્સની ભેટ મળવાની છે, જેમાં ‘નમો મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ’ અને ‘નમો એરપોર્ટ’નું ભવ્ય લોકાર્પણ સામેલ છે. દમણમાં શરૂ થનારી આ અત્યાધુનિક નમો હોસ્પિટલ માત્ર સંઘપ્રદેશ જ નહીં, પરંતુ ગુજરાતના સરહદી જિલ્લા વલસાડ, વાપી અને મહારાષ્ટ્રના અંતરિયાળ ગામડાઓના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે પણ આશીર્વાદરૂપ સાબિત થશે. જ્યારે નમો એરપોર્ટના કારણે પ્રદેશના પ્રવાસન અને સ્થાનિક ઉદ્યોગોને એક નવો વેગ મળશે.

સુરતમાં 200 બેડની ESIC હોસ્પિટલનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે. આ હોસ્પિટલમાં આધુનિક આરોગ્ય સુવિધાઓ, 24 કલાક ઇમરજન્સી સેવા અને ટ્રોમા કેર ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત વીજ ટ્રાન્સમિશન નેટવર્કના વિસ્તરણ, વલસાડમાં સુધારણા આધારિત વીજ વિતરણ યોજના, દહેજ PCPIR અને જંબુસર બલ્ક ડ્રગ પાર્ક જેવી અનેક મહત્વપૂર્ણ ઔદ્યોગિક અને જાહેર ઉપયોગિતાની યોજનાઓનું ઉદ્ઘાટન તથા શિલાન્યાસ થશે.

વડાપ્રધાનની સુરત મુલાકાતને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા હોવાથી સ્થાનિક વહીવટી તંત્ર, કોર્પોરેશન અને પોલીસ વિભાગ સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગયા છે. સુરત શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને લોખંડી બનાવવા માટે પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત બેઠકોનો દોર ચાલી રહ્યો છે.

પીએમ મોદીના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત, ટ્રાફિક ડાયવર્ઝન અને પ્રોટોકોલ જાળવવા માટે વિવિધ વિભાગોને કડક સૂચનાઓ આપી દેવામાં આવી છે. તંત્ર દ્વારા આગામી 1-2 દિવસમાં પીએમ મોદીના સમગ્ર રૂટ અને મિનિટ-ટુ-મિનિટ કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. પીએમ મોદી સૌપ્રથમ દમણમાં કેન્દ્રશાસિત પ્રદેશના મહત્વકાંક્ષી એરપોર્ટ પ્રોજેક્ટ અને અન્ય વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવાના છે, જેની સીધી સકારાત્મક અસર પડોશી જિલ્લા વલસાડ અને સમગ્ર દક્ષિણ ગુજરાત પર પણ પડશે.

TAGGED:
Share This Article