Tuesday, Jun 2, 2026

પાકિસ્તાનને મોટો ઝટકો! ચિનાબ-બિયાસ લિંક પ્રોજેક્ટ માટે ભારતે નક્કી કરી 2029ની ડેડલાઇન

3 Min Read

કેન્દ્ર સરકારે ચિનાબ નદીના વધારાના પાણીને બિયાસ બેસિન તરફ વાળવા માટે 31 જુલાઈ 2029ની સમયમર્યાદા નક્કી કરી છે. આશરે ₹2352 કરોડના ખર્ચે તૈયાર થનારી આ મહત્ત્વાકાંક્ષી ચિનાબ-બિયાસ લિંક ટનલ યોજના હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પીતી જિલ્લામાં સ્થિત છે. 8.7 કિલોમીટર લાંબી આ ટનલ દ્વારા ચિનાબ નદીના વધારાના પાણીને બિયાસ બેસિન સિસ્ટમ તરફ વાળવામાં આવશે, જેના કારણે પાકિસ્તાન તરફ જતાં પાણીના પ્રવાહમાં ઘટાડો થશે. નોંધનીય છે કે ચિનાબ પશ્ચિમ તરફ વહેતી નદી છે, જેના પર સિંધુ જળ સંધિ હેઠળ ભારતને મર્યાદિત અધિકારો પ્રાપ્ત હતા. પરંતુ ગયા વર્ષે એપ્રિલમાં થયેલા પહેલગામ આતંકી હુમલા બાદથી ભારતે આ સંધિના નિયમોને અનુસરવાનું બંધ કર્યું છે.

લાહૌલ-સ્પીતીમાં બનશે વિશાળ જળ પરિવહન ટનલ
એક અહેવાલ અનુસાર, લિંક-3 પ્રોજેક્ટ હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પીતી જિલ્લાના લાહૌલ ખીણ વિસ્તારમાં ચિનાબ નદી પર પ્રસ્તાવિત છે. હાલની યોજના મુજબ ચિનાબ નદી પર 19 મીટર ઊંચો બેરેજ, ઇન્ટેક સ્ટ્રક્ચર અને લગભગ 8.7 કિલોમીટર લાંબી જળ પરિવહન ટનલનું નિર્માણ કરવામાં આવશે. ઉપરાંત, પ્રોજેક્ટના બીજા તબક્કામાં જળવિદ્યુત ઉત્પાદનની પણ સંભાવના છે.

સરકારના આ નિર્ણયનો હેતુ શું છે?
જળ પરિવહન સ્થળ કોસ્કર ગામ નજીક અને અટલ ટનલ રોહતાંગના ઉત્તર પ્રવેશદ્વારથી ઉપરની તરફ આવેલું છે. પ્રોજેક્ટ સાથે જોડાયેલા અધિકારીઓનું કહેવું છે કે આ યોજના માત્ર જળવિદ્યુત ઉત્પાદન અથવા એન્જિનિયરિંગ સુધી મર્યાદિત નથી, પરંતુ પશ્ચિમ તરફ વહેતી નદીઓના પાણીનો વધુ અસરકારક ઉપયોગ કરવાનો પણ તેનો મુખ્ય હેતુ છે.

પાકિસ્તાન માટે મોટો ફટકો
સિંધુ જળ સંધિ રદ થયા બાદ પાકિસ્તાન તરફ વહેતા પાણીનો ઉપયોગ પોતાના હિત માટે કરવાની દિશામાં ભારતનું આ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ભારત વધુ પાણીનો ઉપયોગ કરી શકશે, જ્યારે પાકિસ્તાન તરફ જતાં પાણીના પ્રવાહમાં ઘટાડો થશે.

ભારત સરકારના આ નિર્ણયથી આશરે 4000 મેગાવોટ વધારાની જળવિદ્યુત ઊર્જાનું ઉત્પાદન શક્ય બનશે. સાથે જ પંજાબ, હરિયાણા અને રાજસ્થાન જેવા ઉત્તર ભારતીય રાજ્યોમાં સિંચાઈ તથા પીવાના પાણીની સુવિધામાં વધારો થશે.

સિંધુ જળ સંધિ પછી ભારતને થઈ રહ્યો છે ફાયદો

  • 1960ની સિંધુ જળ સંધિ હેઠળ ચિનાબ નદીનું મોટાભાગનું પાણી પાકિસ્તાનના હિસ્સામાં ફાળવવામાં આવ્યું હતું, જેનો ઉપયોગ તે પોતાની વિશાળ નહેર પ્રણાલીઓ દ્વારા સિંચાઈ માટે કરતું હતું.
  • પરંતુ પહેલગામ હુમલા બાદ સંધિ અસરહીન બનતા હવે ભારત પોતાની સીમામાં ચિનાબના પાણીનો મહત્તમ ઉપયોગ કરી રહ્યું છે. ભારત વધારાના પાણીને ટનલ મારફતે પોતાના વિસ્તારમાં વાળવા માટે વિવિધ યોજનાઓ પર કામ કરી રહ્યું છે.
  • આ પ્રોજેક્ટના અમલીકરણથી ભારતની જળ સુરક્ષા અને ઊર્જા સુરક્ષા વધુ મજબૂત બનશે, જ્યારે પાકિસ્તાન માટે પાણીની ઉપલબ્ધિમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Share This Article