Wednesday, May 20, 2026

CBIની મોટી કાર્યવાહી: 50 લાખની લાંચ કેસમાં ભારતીય સેનાના કર્નલની ધરપકડ

2 Min Read

કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI)એ મોટી કાર્યવાહી કરતાં ભારતીય સેનાના કર્નલ હિમાંશુ બાલીની ધરપકડ કરી છે. તેમના પર 50 લાખ રૂપિયાની લાંચ લેવાનો આરોપ છે. હિમાંશુ બાલી આર્મી ઓર્ડિનન્સ કોર્પ્સ, ઈસ્ટર્ન કમાન્ડ, ફોર્ટ વિલિયમ્સ, કોલકાતામાં કર્નલ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. લાંચ કેસમાં FIR નોંધાયા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.

સેના ટેન્ડરમાં ભ્રષ્ટાચારનો આરોપ
CBIએ સેનાના ટેન્ડરોમાં થયેલા કથિત ભ્રષ્ટાચાર અને લાંચખોરી મામલે FIR નોંધાવી હતી. આ કેસમાં કર્નલ હિમાંશુ બાલી સહિત અનેક લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. FIR મુજબ, કાનપુર સ્થિત કંપની Eastern Global Limitedના સંચાલકો પર સેનાના ટેન્ડર મેળવવા માટે લાંચ આપવાનો આરોપ છે. તપાસ એજન્સી મુજબ કંપનીને ગેરરીતિથી અનેક ટેન્ડરોમાં લાભ અપાવવામાં આવ્યો હતો.

CBIના જણાવ્યા અનુસાર, કર્નલ હિમાંશુ બાલી તે સમયે ઈસ્ટર્ન કમાન્ડ, ફોર્ટ વિલિયમ, કોલકાતામાં તૈનાત હતા. તેમના પર ટેન્ડર અપાવવા, નીચી ગુણવત્તાવાળા સેમ્પલ પાસ કરવા અને વધારેલા બિલ ક્લિયર કરાવવા બદલ લાંચ લેવાનો આરોપ છે.

FIRમાં દાવો કરવામાં આવ્યો છે કે માર્ચ અને એપ્રિલ 2026 દરમિયાન એક મોટા ટેન્ડર માટે લાંચ લેવામાં આવી હતી અને કંપનીને ફાયદો અપાયો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે 22 એપ્રિલ 2026ના રોજ કોલકાતાના પાર્ક સ્ટ્રીટ વિસ્તારમાં કર્નલ બાલી અને કંપનીના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક થઈ હતી. ત્યારબાદ માત્ર બે દિવસમાં એટલે કે 24 એપ્રિલે સંબંધિત ટેન્ડર કંપનીને મળી ગયું હતું.

CBIએ આરોપ લગાવ્યો છે કે 16 મે 2026ના રોજ કર્નલ બાલીએ લાંચની બાકી રકમની માંગ કરી હતી. આશરે 50 લાખ રૂપિયા હવાલા મારફતે દિલ્હી-NCR પહોંચાડવાની તૈયારી ચાલી રહી હતી. આ કેસમાં અક્ષત અગ્રવાલ, મયંક અગ્રવાલ, આશુતોષ શુક્લા, નરેશ પાલ અને અન્ય અજાણ્યા લોકોને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. કેસ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અને ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 61(2) હેઠળ નોંધાયો છે. સમગ્ર મામલાની તપાસ CBIના DSP સુનીલ કુમાર કરી રહ્યા છે.

Share This Article