ઉત્તર પ્રદેશમાં સોમવારે બે અલગ-અલગ સ્થળોએ થયેલા ભયાનક માર્ગ અકસ્માતોએ ભારે ચકચાર મચાવી દીધી છે. લખીમપુર ખિરી અને બહરાઈચ જિલ્લામાં બનેલી આ દુર્ઘટનાઓમાં કુલ 12 લોકોનાં મોત થયા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા છે. બંને અકસ્માતો બાદ સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ તાત્કાલિક બચાવ કામગીરીમાં લાગી ગઈ હતી.
માહિતી મુજબ લખીમપુર ખિરી જિલ્લાના ધૌરહરા વિસ્તારમાં સિસૈયા-લખીમપુર નેશનલ હાઈવે-730 પર મેજિક વાન અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટનાસ્થળે જ આઠ લોકોનાં મોત થયા હતા, જ્યારે બે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટના ઇસાનગર અને ધૌરહરા પોલીસ સ્ટેશન વિસ્તારની સરહદ પર આવેલા ઊંચગાંવ અને ભરેહતા ગામ વચ્ચે બની હતી.
પોલીસના જણાવ્યા અનુસાર લખીમપુર તરફથી સિસૈયા જઈ રહેલી મેજિક વાન સામે આવી રહેલા ટ્રક સાથે અથડાઈ ગઈ હતી. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને બચાવ ટીમો સ્થળ પર પહોંચી હતી અને ઘાયલોને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ધૌરહરાના સીઓ શમશેર બહાદુર સિંહે સમગ્ર ઘટનાની પુષ્ટિ કરી હતી.
બીજી તરફ બહરાઈચ જિલ્લામાં પણ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. બહરાઈચના પોલીસ અધિક્ષક વિશ્વજીત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે એક કાર બહરાઈચ તરફ જઈ રહી હતી ત્યારે બાજુના રસ્તા પરથી આવી રહેલા કમ્બાઈન હાર્વેસ્ટર સાથે તેની ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે બે લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
બંને દુર્ઘટનાઓ બાદ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે અને પ્રાથમિક તપાસમાં વધુ ઝડપ તથા બેદરકારી અકસ્માત પાછળનું કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે.