Monday, May 18, 2026

પશ્ચિમ બંગાળમાં આશ્રમ બહાર બોમ્બબાજી બાદ મુંબઈમાં છુપાયેલા બે આરોપી ઝડપાયા

2 Min Read

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ક્રાઈમ ઇન્ટેલિજન્સ યુનિટ (CIU) એ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં આવેલા એક આશ્રમ બહાર બોમ્બ ફેંકવાના મામલે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓને બોરીવલી રેલવે સ્ટેશન પરથી ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના થોડા દિવસો અગાઉની હોવાનું સામે આવ્યું છે, જ્યારે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ બોમ્બ ફેંકવાની ઘટના બની હતી. આ મામલે બહેરામપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. હાલ બંને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.

આરોપીઓને બંગાળ પોલીસને સોંપાશે
માહિતી અનુસાર ઝડપાયેલા આરોપીઓની ઓળખ 24 વર્ષીય રોકી ખાન અને 25 વર્ષીય સહાદત સરકાર તરીકે થઈ છે. રોકી ખાન કાંદી હોટેલ પારા વિસ્તારનો રહેવાસી છે અને વ્યવસાયે ડ્રાઈવર છે. જ્યારે સહાદત સરકાર નતુન પુરા ગામનો રહેવાસી છે અને મજૂરી કામ કરે છે. બંનેની ધરપકડ બાદ ક્રાઈમ બ્રાન્ચે કોર્ટની કાર્યવાહી પૂર્ણ કરી તેમને પશ્ચિમ બંગાળ પોલીસને સોંપવા માટે બે દિવસની ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી છે.

કયા મામલે થઈ ધરપકડ?
માજીહેરપારા વિસ્તારના કરિયાણાની દુકાનના માલિક પશુપતિનાથ સાહાની ફરિયાદના આધારે આ કેસ નોંધાયો હતો. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે અલી હુસૈન ઉર્ફે લાદેન, હસન SK અને તેમના ત્રણ અજાણ્યા સાથીદારો આ ઘટનામાં સામેલ હતા અને હાલ ફરાર છે.

ફરિયાદ મુજબ 12 મેના રોજ અજાણ્યા શખ્સોએ આશ્રમ નજીક આવેલા માં દુર્ગા મંદિર સામેના વીજ થાંભલા પર લગાવેલા ફોટા ફાડી નાખ્યા હતા. ત્યારબાદ 13 મેની રાત્રે લગભગ 10:45 વાગ્યે આરોપીઓ અને તેમના સાથીદારો દ્વારા આશ્રમ પાસે આવેલા ખાલી મેદાનમાં સોકેટ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા.

ફરિયાદ કરશો તો વધુ બોમ્બ હુમલાની ધમકી
આટલું જ નહીં, 14 મેની સવારે લગભગ 10:30 વાગ્યે આરોપીઓ બાઈક પર આવી ફરિયાદીની કરિયાણાની દુકાને પહોંચ્યા હતા અને ધમકી આપી હતી કે જો મામલાની ફરિયાદ અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવશે તો આગળ પણ બોમ્બ હુમલા કરવામાં આવશે.

પોલીસ તપાસ દરમિયાન 15 મેના રોજ ખુલાસો થયો હતો કે આરોપીઓ ધરપકડથી બચવા માટે ગીતાંજલી એક્સપ્રેસ મારફતે મુંબઈ ભાગી આવ્યા હતા. ત્યારબાદ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી કરીને બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

Share This Article