NEET-UG 2026 પેપર લીક મામલે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગ (CBI)ને મોટી સફળતા મળી છે. એજન્સીએ બાયોલોજીના પ્રશ્નો લીક કરનાર વધુ એક કથિત માસ્ટરમાઇન્ડની ધરપકડ કરી છે. ઝડપાયેલી આરોપીની ઓળખ પુણેની સિનિયર બોટની શિક્ષિકા મનીષા ગુરુનાથ માંઢરે તરીકે થઈ છે.
CBI મુજબ મનીષા માંઢરેને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા NEET-UG 2026 પરીક્ષા પ્રક્રિયામાં એક્સપર્ટ તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. જેના કારણે તેને બોટની અને ઝૂલોજીના પ્રશ્નપત્રો સુધી સંપૂર્ણ ઍક્સેસ હતી. તપાસમાં સામે આવ્યું છે કે એપ્રિલ 2026 દરમિયાન તેણે પુણેની મનીષા વાઘમારે મારફતે અનેક NEET ઉમેદવારોને જોડ્યા હતા. મનીષા વાઘમારેની અગાઉ 14 મેના રોજ ધરપકડ કરવામાં આવી ચૂકી છે.
CBIના જણાવ્યા અનુસાર મનીષા માંઢરેએ પોતાના પુણે સ્થિત ઘરે વિદ્યાર્થીઓ માટે ખાસ કોચિંગ ક્લાસીસ ચલાવી હતી. આ ક્લાસીસમાં તેણે બોટની અને ઝૂલોજીના અનેક સંભવિત પ્રશ્નો વિદ્યાર્થીઓને જણાવ્યા હતા, નોટબુકમાં લખાવ્યા હતા અને પુસ્તકોમાં માર્ક પણ કરાવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે આમાંથી મોટા ભાગના પ્રશ્નો 3 મે 2026ના રોજ યોજાયેલી અસલી NEET-UG પરીક્ષાના પ્રશ્નપત્ર સાથે મેળ ખાતા હતા.
તપાસ એજન્સીઓનું કહેવું છે કે અત્યાર સુધીની તપાસમાં કેમિસ્ટ્રી અને બાયોલોજી પેપર લીકના મૂળ સ્ત્રોત સુધી પહોંચવામાં સફળતા મળી છે. સાથે જ એવા દલાલોની પણ ઓળખ થઈ છે, જેમણે લાખો રૂપિયા લઈને વિદ્યાર્થીઓને એવી “સ્પેશિયલ ક્લાસીસ” સુધી પહોંચાડ્યા હતા જ્યાં પરીક્ષામાં આવનારા પ્રશ્નો અગાઉથી જણાવવામાં આવતા હતા. CBIએ જણાવ્યું છે કે મામલાની તપાસ સંપૂર્ણ નિષ્પક્ષતા અને વ્યાવસાયિક રીતે આગળ વધારવામાં આવી રહી છે.
કેમિસ્ટ્રી લેક્ચરર પીવી કુલકર્ણી અને બોટની શિક્ષિકા મનીષા ગુરુનાથ બંનેને NTA દ્વારા NEET-UG 2026 પરીક્ષા પ્રક્રિયામાં એક્સપર્ટ તરીકે સામેલ કરવામાં આવ્યા હતા. બંનેએ પેપર લીક કરવા માટે પુણેની જ રહેવાસી મનીષા વાઘમારેનો સહારો લીધો હતો. મનીષા વાઘમારેએ NEETની તૈયારી કરતા પૈસાદાર પરિવારોના વિદ્યાર્થીઓને એકત્ર કર્યા હતા. ત્યારબાદ પીવી કુલકર્ણી માટે એક અને મનીષા ગુરુનાથ માટે એક ખાસ ક્લાસ ચલાવવામાં આવ્યો હતો અને એ જ ક્લાસમાં પેપર લીક કરવામાં આવ્યું હતું.
હાલ મનીષા વાઘમારે આ પેપર લીક કેસની એક મહત્વપૂર્ણ કડી બની ગઈ છે. તેનું બેંક એકાઉન્ટ પણ સીઝ કરવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેસમાં હજુ વધુ એક મોટી ધરપકડ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
CBIએ જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 6 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. આ દરમિયાન અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો, લેપટોપ, બેંક સ્ટેટમેન્ટ અને મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. હવે આ તમામ ઇલેક્ટ્રોનિક અને દસ્તાવેજી પુરાવાઓની વિગતવાર તપાસ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગની ફરિયાદ બાદ 12 મે 2026ના રોજ CBIએ આ કેસ નોંધ્યો હતો. કેસ નોંધાયા બાદ અનેક વિશેષ ટીમો બનાવવામાં આવી હતી અને દેશભરમાં દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
હાલ સુધીમાં દિલ્હી, જયપુર, ગુરુગ્રામ, નાસિક, પુણે અને અહિલ્યાનગરમાંથી કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. જેમાંથી 5 આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને 7 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. જ્યારે ગઈકાલે ઝડપાયેલા 2 આરોપીઓને પુણેની કોર્ટમાં રજૂ કર્યા બાદ ટ્રાન્ઝિટ રિમાન્ડ પર દિલ્હી લાવવામાં આવ્યા છે.