સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના કરોડો ગ્રાહકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ચાલુ મહિનામાં સતત 6 દિવસ સુધી બેંકની શાખાઓ બંધ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પરિસ્થિતિ પાછળ કર્મચારી યુનિયન દ્વારા જાહેર કરાયેલા વિરોધ કાર્યક્રમ અને સંભવિત હડતાળને મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ SBI કર્મચારી યુનિયન 25 અને 26 મે 2026ના રોજ હડતાળ પર જઈ શકે છે. આ પહેલા 23 મેના રોજ ચોથો શનિવાર અને 24 મેના રોજ રવિવાર હોવાથી બેંકો નિયમિત રીતે બંધ રહેશે. ત્યારબાદ 27 અને 28 મે દરમિયાન બકરીદ નિમિત્તે અનેક રાજ્યોમાં જાહેર રજા હોવાથી બેંકિંગ સેવાઓ પર અસર પડી શકે છે. આવી સ્થિતિમાં અનેક સ્થળોએ SBIની શાખાઓ સતત 6 દિવસ સુધી બંધ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હડતાળ પાછળના મુખ્ય કારણો
ઓલ ઈન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સ્ટાફ ફેડરેશન (AISBISF) દ્વારા બેંક મેનેજમેન્ટ સમક્ષ કુલ 16 માંગણીઓ રજૂ કરવામાં આવી છે. યુનિયનનું કહેવું છે કે અનેક શાખાઓમાં સ્ટાફની ભારે અછત છે અને વર્ષોથી કેટલાક પદો પર ભરતી કરવામાં આવી નથી. પરિણામે હાલના કર્મચારીઓ પર કામનો બોજ સતત વધી રહ્યો છે.
યૂનિયને આક્ષેપ કર્યો છે કે નિયમિત કામો માટે આઉટસોર્સ કર્મચારીઓનો ઉપયોગ થઈ રહ્યો છે, પરંતુ તેમને યોગ્ય વેતન અને જરૂરી સુવિધાઓ મળતી નથી. કર્મચારીઓના મતે આ પરિસ્થિતિ બેંકિંગ સેવાઓની ગુણવત્તા અને કર્મચારીઓની સુરક્ષા બંને માટે ગંભીર ચિંતાનો વિષય બની છે.
કર્મચારીઓની મુખ્ય માંગણીઓ
કર્મચારીઓએ શાખાઓમાં સ્ટાફની અછત દૂર કરવાની, વધતા વર્કલોડમાં રાહત આપવાની, પેન્શન પેરિટી લાગુ કરવાની અને સેવા શરતોમાં સુધારો કરવાની માંગ કરી છે. સાથે જ પ્રમોશન અને ટ્રાન્સફર નીતિને વધુ પારદર્શક બનાવવા તથા કર્મચારીઓ માટે વધુ સારા વેલફેર અને સુરક્ષા ઉપાયો અમલમાં મૂકવાની માંગ પણ ઉઠાવવામાં આવી છે.
યુનિયનનું કહેવું છે કે NPS હેઠળ કર્મચારીઓને પોતાની પસંદનો પેન્શન ફંડ મેનેજર પસંદ કરવાની છૂટ મળવી જોઈએ. ઉપરાંત છેલ્લા લગભગ 30 વર્ષથી ‘મેસેન્જર’ જેવા પદો પર ભરતી ન થતાં કર્મચારી માળખું કમજોર બન્યું છે. કર્મચારીઓએ આઉટસોર્સિંગ ઘટાડવાની પણ માંગ કરી છે.
સાથે જ 12th દ્વિપક્ષીય સમાધાન હેઠળ 17 ટકા સેલેરી વધારો નક્કી થયો હોવા છતાં SBI અધિકારીઓને સ્પેશિયલ પે સાથે આશરે 22 ટકા સુધીનો લાભ મળ્યો હોવાનું યુનિયનનું કહેવું છે, જ્યારે વર્કમેન સ્ટાફને હજુ માત્ર 17 ટકા જ સેલેરી વધારો મળ્યો છે.
આખો મહિનો ચાલશે વિરોધ કાર્યક્રમ
હડતાળ પહેલા સમગ્ર મે મહિનામાં તબક્કાવાર વિરોધ કાર્યક્રમ યોજવાની યોજના બનાવવામાં આવી છે. જેમાં લંચ ટાઈમ પ્રોટેસ્ટ, સોશિયલ મીડિયા અભિયાન, ધરણા, શાંતિપૂર્ણ રેલી અને સરકાર તથા સાંસદોને રજૂઆતો સામેલ રહેશે.
જો હડતાળ અમલમાં આવશે તો દેશભરમાં બેંકિંગ સેવાઓ પર અસર પડી શકે છે. ગ્રાહકોને ચેક ક્લિયરન્સ, બ્રાન્ચ ટ્રાન્ઝેક્શન અને અન્ય ઓફલાઇન સેવાઓમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જોકે Online Banking, UPI અને ATM જેવી ડિજિટલ સેવાઓ સામાન્ય રીતે ચાલુ રહેવાની શક્યતા છે.